________________
૪૦ આત્મવિશુદ્ધિ બાંધ્યા છે, તે તે કર્મ તેવા તેવા રસે અને પરીણામે તેને ભોગવ્યા સિવાય છૂટકો નથી. કાળ કાળનું કામ કરે છે, દિવસ આવે છે, રાત્રિ આવે છે, ઋતુઓ નિયમિત આવ્યા કરે છે, શીયાળા પછી ઉનાળો અને ઉનાળા પછી વર્ષાઋતુ, એમ કાળનું યંત્ર વ્યવસ્થાસર આ વિશ્વમાં ચાલ્યા કરે છે, તેમ કર્મનું ચક્ર પણ કોઈનો પક્ષપાત કર્યા વિના, રાજાને અને રાંકને, ઇન્દ્રને અને વિઝાના કિડાને તેના યોગ્ય કિર્તવ્યનો બદલો આપ્યા જ કરે છે. આમાં પક્ષપાત ચાલતો નથી, સિફારસ કામ આવતી નથી, લાંચ રૂશ્વત આપી શકાતી નથી, ગરીબ અને ધનાઢ્યોનો ન્યાય, ન્યાયને એક છાબડે જ તોળાય છે. પોતાનો ઉદ્ધાર કે વિનાશ એ પોતાના સારાં ખોટાં કર્મોથી જ થાય છે. જેમ કાળ કાળનું કામ કરે છે તેમ કર્મો કર્મોનું કામ કરે છે. પોતાને કે પરને, ઉત્તમ કે અધમ જે જે સુખ દુઃખ મળે છે તે પૂર્વે ઉપાર્જન કરેલ કર્મ જ આપે છે. તે છતાં ભાન ભૂલીને આણે મને દુઃખ આપ્યું, અને આણે મને સુખ આપ્યું, અને હું સુખી કરીશ અને આને હું દુઃખી કરીશ, આવું ચિંતન કરવું કે માનવું તે મોહનો જ પ્રભાવ છે. ઓ આત્મદેવ! પારકી ચિંતા મૂકી દે. ખરા શત્રુને શોધી કાઢ, ખરા ગુનેગારને પકડ અને તેને શિક્ષા કર. તારી ભૂલ તું સુધાર. ખરો ગુનેગાર તું પોતે જ છે. આત્મભાન ભૂલી મોહને આધિન થયેલો તારો આત્મા જ તારો શત્રુ છે તેને શિક્ષા કર, તેને સુધાર. તેને સુધારવા માટે તે શુદ્ધ આત્માના ઉપયોગમાં તદાકાર પરિણમી રહે.