________________
૩૬ * આત્મવિશુદ્ધિ
તળાવ પ્રમુખમાંથી મનુષ્યો પાણી પીવે છે, તેમ વિકલ્પોરૂપ સેવાળને દૂર કરીને પોતાની અંદર રહેલા આત્માના ધ્યાનરૂપ અમૃતને કર્મ ક્લેશના નાશ માટે પીવું જોઈએ.
આત્માના ધ્યાનથી પર બીજું કોઈ તાત્ત્વિક સુખ નથી, આત્મધ્યાનથી પર બીજું કોઈ તપ નથી. અને આત્મધ્યાનથી પર બીજો કોઈ મોક્ષનો માર્ગ નથી.
આત્મભાન ભૂલી મોહમાં આસક્ત બનેલા કેટલાએક જીવો યશને, સુખને, રાજ્યને, સુંદર સ્ત્રીને, પુત્રને, સેવકને, સ્વામિત્વને, ઉત્તમ વાહનને, બળને, મિત્રોને, શબ્દ પાંડિત્યને અને રૂપાદિકને પામીને હર્ષ પામતા છતાં પોતાનાં જન્મને સફળ માને છે, પણ ખરી રીતે વિચારતાં તેઓ આત્મભાન ભૂલેલો હોવાથી આ સર્વ વસ્તુઓ તેમને અહિતકારી થાય છે. આ સુખમાંથી જ દુઃખ પ્રગટ થાય છે. આ વસ્તુઓમાં મારો—તારાપણાની માન્યતાથી અને રાગદ્વેષથી ઉત્પન્ન થયેલાં કર્મો તેમને દુઃખના અને પુનર્જન્મના ખાડામાં ઘસડી જાય છે. હે મનુષ્યો! જડ ચૈતન્યના ભેદવાળા દુર્લભ જ્ઞાનને પામીને ખુશી થાઓ. આ ભેદજ્ઞાનની મદદથી નવીન કર્મો આવવાનો માર્ગ અટકાવો અને આત્મજાગૃતિના બળે પૂર્વના કર્મોને તોડીને તમારા શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરો. આ દુઃખે ભેદી શકાય તેવા કર્મરૂપ પર્વતોને ભેદજ્ઞાનરૂપ વજ્રના બળવડે ઘણા થોડા વખતમાં ભેદી નાખો.
2