________________
અનુસાર કાળ દ્રવ્યની પર્યાયમાં ચોથો કાળ કે પંચમ કાળ એમ ઉપચાર કરવામાં આવે છે. પંચમ કાળે ભરતક્ષેત્રમાં જન્મેલા જીવો મુક્તિ ન પામે, એનો ખરો અર્થ એ છે કે તે તે જીવોની વર્તમાન સ્વપર્યાયની લાયકાત જ મુક્તિ પામે એવી નથી અને તેથી જ કાળને તે પ્રકારનું (મુક્તિનું) નિમિત્ત કહેવાતું નથી.
પરંતુ મહાવિદેહ ક્ષેત્રના કોઈ મુનિને ઉપાડીને દેવો અહીં મૂકી જાય, તો તે મુનિ અહીં પણ મોક્ષ પામી શકે છે. આ જ ભરતક્ષેત્ર અને આ જ પંચમ કાળ હોવા છતાં તે જીવની પોતાની સ્વ પર્યાયની લાયકાત વડે મોક્ષ પામી શકે છે. જો જીવની પોતાની સ્વ પર્યાયની લાયકાત મોક્ષ પામવાની હોય તો, તેને આ જ ક્ષેત્ર અને આ જ કાળ મોક્ષનું નિમિત્ત કહી શકાય છે.
સિદ્ધાંત એ છે કે ઉપાદાનની સ્વ પર્યાયની લાયકાત મુજબ પર દ્રવ્યમાં આરોપ કરીને તેને નિમિત્ત કહેવાય છે; પરંતુ પર દ્રવ્યને અનુસરીને ઉપાદાનની પર્યાય થતી નથી.
પોતાની દરેક સમયની પર્યાયની લાયકાત જીવ પોતે પોતાના તે સમયના પુરુષાર્થથી કરે છે. એટલે લાયકાતમાં બીજું કોઈ કારણ નથી પણ તે વખતનો પુરુષાર્થ જ લાયકાતનું કારણ છે. જેવો પુરુષાર્થ કરે તેવી લાયકાત તે સમયે થાય છે.
પર્યાય તે તો દ્રવ્યનો સ્વભાવ છે, દરેક દ્રવ્ય પોતાથી સ્વતંત્રપણે પરિણમે છે, અને તે તે સમયની પોતાની લાયકાત અનુસાર પર્યાય થાય છે. જીવ પોતાના પુરુષાર્થથી જે સમયે જેવી લાયકાત કરે તે સમયે તેવી પર્યાય થાય છે. કદી કોઈ પર દ્રવ્ય આત્માની પર્યાયને વશ કરતું નથી, પણ આત્મા પોતે સ્વ લક્ષ ચૂકીને પર લક્ષમાં એકાગ્ર થાય છે, એ જ પરાધીનતા છે. અજ્ઞાનીઓ સ્વ પર્યાયને ન જોતાં પર દ્રવ્યનો દોષ કાઢે છે.
‘‘પર દ્રવ્યો તો સૌ પોતપોતાના ભાવમાં હતાં, પણ તું પોતે શા માટે સ્વભાવની એકાગ્રતાથી છૂટ્યો ?’’ એમ જ્ઞાનીઓ કહે છે. પર દ્રવ્યોના કારણે દોષ થયો નથી. રસ્તામાં કૂવો હોય અને તેમાં કોઈ માણસ પડે તો કોનો દોષ? શું કૂવો વચ્ચે આવ્યો માટે તે પડ્યો ? તેણે જોઈને સાવધાનીથી ચાલવું હતું; કૂવો તો તેના ઠેકાણે જ પડ્યો હતો. કૂવાએ કાંઈ માણસને પરાણે ખેંચીને પાડ્યો ન હતો. જો માણસ પોતે કૂવાથી જુદા રસ્તે ચાલે તો કૂવો કાંઈ તેને બળજબરીથી પોતા તરફ ખેંચી લાવતો નથી. તેમ કાળ અને કર્મો વગેરે બધા પર દ્રવ્યો પોતપોતાના કારણે આ જીવથી ભિન્નપણે સ્થિત છે, તે કાંઈ આ જીવના પુરુષાર્થને બળજબરીથી રોકતા નથી, જીવ પોતે ઊંધા પુરુષાર્થ વડે પોતાના