________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમરેલીની સંસ્કૃતિનું પ્રતિબિંબ : શ્રી ગિરધરભાઈ સંગ્રહાલય
ઈલા નરેશ અંતાણી * સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના મુખ્ય શહેર અમરેલી ખાતે આવેલું ‘ગિરધરભાઈ સંગ્રહાલય' અમરેલી જિલ્લાની સંસ્કૃતિનું પ્રતિબિંબ પાડે છે. તો અમરેલી શહેરની અને શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું એ કેંદ્રસ્થાન છે.
અમરેલી શહેરના હાર્દ સમા વિસ્તારમાં આવેલ ‘રંગમહેલમાં આ સંગ્રહાલય આવેલું છે, જેની સ્થાપના ૧૯૫૫માં કરવામાં આવેલી.
ભૂતપૂર્વ વડોદરા રાજયનો વિસ્તાર એવા આ અમરેલી શહેરથી એક કિ.મી. દૂર આવેલ ‘વડી’ અને ‘ઠેબી' નદીઓના સંગમસ્થાને “ગોહિલવાડના ટીંબા” નું ખોદકામ તેમ સંશોધન અમરેલી શહેરના સેવાભાવી “મહેતા પરિવારના સ્વ. પ્રતાપરાયભાઈ ગિરધરલાલભાઈ મહેતાએ ૧૯૩૪માં હાથ ધરેલ, જેમાં સરકાર તથા પુરાતત્ત્વખાતાનો સહકાર મળેલો. આ ઉખનન બાદ પ્રાપ્ત થયેલ અમૂલ્ય અવશેષોની જાળવણી માટે સ્વ. પ્રતાપરાય મહેતાએ ૧૯૫૫માં પોતાના સદૂગત પિતાશ્રી ગિરધરલાલ મહેતાની સ્મૃતિમાં આ સંગ્રહાલયની સ્થાપના કરી ત્યારથી “શ્રી ગિરધરભાઈ સંગ્રહાલય' તરીકે આ જાણીતું બન્યું છે,
૨૦૮૦ ચોરસ વાર વિસ્તાર ધરાવતા આ સંગ્રહાલયમાં ૧૯૫૭માં બાલભવનનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. અહીં નાના-મોટા પંદર વિભાગોમાં ૯૪00 થી વધુ નમૂનાઓનો સંગ્રહ કરવામાં આવ્યો છે.
અહીં રહેલ સંગ્રહના કેટલાક મહત્ત્વના વિભાગોનો સંક્ષિપ્ત પરિચય અહીં રજૂ કરું છું. ૧. ખગોળ વિભાગ અને માતુશ્રી ઇચ્છાલક્ષ્મી પ્રતાપરાય પ્લેનેટોરિયમ :
આ વિભાગમાં ખગોળને લગતાં વિવિધ વૈજ્ઞાનિક ઉપકરણોના માધ્યમથી ગ્રહો તેમ એની ભ્રમણની અસરો વગેરેની સમજ અપાય છે.
અહીં રૂ. ૬૭000/-ના ખર્ચે પ્લેનેટોરિયમ ઊભું કરાયું છે, આ નમૂનેદાર પ્લેનેટોરિયમ દ્વારા રાત્રિ આકાશ સૂર્ય ચંદ્રદર્શન પૃથ્વી અન્ય-ગ્રહો તારામંડળ વગેરે આશ્ચર્યજનક આભાને ઘરઆંગણે લાવી અંધકારમય ઓરડામાં પરફોરેટેડ ફરતાં પ્લાસ્ટિક ગોળ નાનાં કાણાંઓ દ્વારા પ્રતિબિંબ થાય છે. સાથે સાથે ગુજરાતી કેસેટ-પ્લેયર દ્વારા એનું વર્ણન આપવામાં આવે છે, જેથી મુલાકાતીઓ પ્રત્યક્ષ જ્ઞાન મેળવી શકે છે.
અહીં વિદ્યાર્થીઓ માટે એમના અભ્યાસક્રમ અનુરૂપ ખગોળજ્ઞાન પ્રત્યક્ષ દર્શન દ્વારા અપાય છે. આ વિષયને લગતા ફિલ્મ-શો પણ અવારનવાર યોજાતા રહે છે. રાષ્ટ્રિય કક્ષાની ઍસ્ટ્રોનોમી વર્કશોપ પણ અહીં યોજાઈ ગયેલ છે તેમ અમરેલી શહેરમાં ખગોળવિદ્યામાં રસ ધરાવતા લોકો માટે એસ્ટ્રોનોમી ક્લબ પણ આ સંગ્રહાલય દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં ૨૦૦ જેટલા સભ્યો રસ લઈ રહેલ છે. ૨. પ્રાકૃતિક વિભાગ :
વિવિધ પશુ-પક્ષી જળચર તથા અન્ય વન્ય પ્રાણીઓના રદ્દ કરેલ નમૂના આ વિભાગમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ગીર નજીક હોઈ ગીરના સિંહ, ચિત્તા વગેરે પણ સ્ટફડ કરી અત્રે મૂકવામાં આવ્યા છે, જેથી મુલાકાતીઓ વન્ય જીવોને પ્રત્યક્ષ નિહાળી શકે, સાથે સાથે વન્ય જીવોની રક્ષા કરવાની પોતાની ફરજથી પ્રેરણા પણ મેળવી શકે. વળી અહીં અવારનવાર વન્ય જીવને લગતાં ચિત્રો-તસવીરોનું પ્રદર્શન પણ યોજવામાં આવે છે તેમ પર્યાવરણ અને વન્ય સૃષ્ટિને લગતી પરિસંવાદ-શિબિર પણ યોજાઈ ચૂકી છે.
* નાગરવંડી, છઠ્ઠી બારી, ભૂજ-૩૭૦૦૦૧ (કચ્છ)
પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧, ૧૦૩
For Private and Personal Use Only