________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંશોધનક્ષેત્ર : પ્રાચ્યવિદ્યામંદિર
જે. કે. ઉમરેઠિયા *
પ્રાચ્ય વિઘાના ક્ષેત્રની વિશ્વભરની સંસ્થાઓમાં અગ્રણી અને ગાયકવાડુઝ ઓરિએન્ટલ સીરીઝ તથા વાલ્મીકિ રામાયણની સંશોધિત આવૃત્તિના પ્રકાશનથી વિશ્વના વિદ્વત્ જગતમાં આદરપાત્ર બનેલી વડોદરાની ગૌરવવંતી સંશોધન સંસ્થા પ્રાચ્યવિદ્યામંદિર, ભારતભરની પ્રાચ્યવિદ્યાના ક્ષેત્રે કાર્ય કરતી, સૌથી પ્રાચીન અને જગવિખ્યાત સંસ્થાઓમાંની એક છે.
દીર્ધદષ્ટિસંપન્ન મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા પોતાની પ્રજા અને સમાજના સર્વતોમુખી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેતા. ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિમાં એમને વિશેષ રુચિ હતી. પોતાની આ સચિને કેળવવા એમને એક એવી કેન્દ્રવર્તી સંસ્થા સ્થાપવાનો વિચાર સ્ફર્યો કે જેમાં ઝડપથી લુપ્ત થતા આપણા વિરલ અને મહત્ત્વના હસ્તપ્રતોના વારસાને જાળવી શકાય. પ્રાચ્યવિદ્યામંદિરની સ્થાપનાના બીજવરૂપ ઈ.સ. ૧૮૯૩માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ ભારતભરમાંથી હસ્તપ્રતોનો સંગ્રહ કરવાનો આદેશ કેટેલાક વરિષ્ઠ વિદ્વાનોને આપ્યો અને શરૂઆતમાં ૧૦,૦૦૦ જેટલી હસ્તપ્રતો ભેગી કરીને વડોદરાના કેન્દ્રવર્તી પુસ્તકાલય(સંદર્ભ ગ્રંથાલય)માં સંસ્કૃત વિભાગ શરૂ કરવામાં આવ્યો. ત્યારબાદ ૧૯૧૫માં મહારાજા સાહેબે ગાયકવાડ્ઝ ઓરિએન્ટલ સીરીઝ શરૂ કરવાનો આદેશ આપ્યો. ૧૯૧૬માં સી.ડી. દલાલ સંપાદિત રાજશેખરનું “કાવ્યમીમાંસા” નામનું ઉપર્યુક્ત શ્રેણીનું પ્રથમ પુસ્તક પ્રકાશિત થયું. ૧ સપ્ટેમ્બર, ૧૯૨૭ના રોજ મહારાજાએ કેન્દ્રવર્તી પુસ્તકાલયમાંથી સંસ્કૃત વિભાગ છૂટો પાડીને આ વિશિષ્ટ સંસ્થા નિર્માણ કરી જે પ્રાચ્યવિદ્યામંદિર (Oriental Institute) નામથી ઓળખાય છે.
નાશ પામી રહેલાં પ્રાચીન પુસ્તકો અને હસ્તપ્રતોના સંગ્રહ, સંરક્ષણ અને પ્રકાશન માધ્યમથી તેનો વિદ્વાનો અને સામાન્ય પ્રજા સુધી પ્રસાર-પ્રચાર, એ આ સંસ્થાના ત્રણ મુખ્ય ઉદ્દેશો રહેલા છે.
આ સંસ્થાનો સૌથી અગત્યનો એવો હાર્દસમો વિભાગ છે હસ્તપ્રતવિભાગ : ૨૮૫૦૦ જેટલી હસ્તપ્રતોથી સમૃદ્ધ એવા આ વિભાગમાં કેટલીક ખૂબ જ પ્રાચીન, દુર્લભ, સચિત્ર અને રંગીન હસ્તપ્રતો પણ છે. સોનેરી શાહીથી અને બારીક અક્ષરોમાં લખાયેલ મહાભારત અને ગીતાના વીંટાઓ આ વિભાગનું મુખ્ય આકર્ષણ છે. હસ્તપ્રતોના અમૂલ્ય ખજાનામાં વેદ, ઉપનિષદ, સ્મૃતિ, વેદાંત, વ્યાકરણ વગેરે વિષયોની હસ્તપ્રતો સચવાયેલી છે. કેટલીક હસ્તપ્રતો તેલુગુ, કન્નડ, ગ્રંથ, મલયાલમ અને બંગાળી, શારદા, નેવારી, ઉડિયા જેવી લિપિઓમાં જોવા મળે છે. કેટલીક જૈનેતર હસ્તપ્રતો પણ અહીં જોવા મળે છે. આવી દુર્લભ અને મૂલ્યવાન હસ્તપ્રતોના આધારે ગ્રંથોનું સંપાદન કરી ગા.ઓ.સિ. અંતર્ગત પ્રકાશિત કરી જ્ઞાનનો પ્રસાર કરવામાં આવે છે. આ સંસ્થાએ ગા.ઓ.સિ. મારફતે આજ સુધીમાં ૧૮૨ જેટલા મહત્ત્વના અને વિરલ ગ્રંથોનું પ્રકાશન કર્યું છે. આ શ્રેણીમાં જે પ્રકાશનો થયાં છે તેમાં નીચે જણાવેલ નોંધપાત્ર છે.
(૧) તારીખ-ઈ-મુબારકશાહી (૨) ધ ફોરેન વોકેબ્યુલરી ઓફ ધ કુરાન (૩) મિરાત-ઈ-અહમદી (૪) શાબરભાષ્ય (૫) પધસંહિતા (૬) તત્ત્વસંગ્રહ (૭) સંગીતપનિષત્કારોદ્ધાર (૮) નાટ્યશાસ્ત્ર (૯) મલ્લપુરાણ (૧૦) સમરાંગણસૂત્રધાર (૧૧) નાટ્યદર્પણમ્ (૧૨) ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતમ્ (૧૩) સોઢલનિઘટ્ટ (૧૪) ન્યાયકન્ટલી (૧૫) પરશુરામકલ્પસૂત્ર (૧૬) ગન્ધસાર (૧૭) કિરણાવલી વગેરે
- આ શ્રેણી (ગા.ઓસિ.) અંતર્ગત પ્રસિદ્ધ થતાં પુસ્તકોના વિષયોનો વ્યાપ પણ આશ્ચર્ય પમાડે છે. એમાં વેદાંત, ન્યાયવૈશેષિક, શ્રૌત અને ગૃહ્યસૂત્રો, વ્યાકરણ, અલંકારશાસ્ત્ર, જ્યોતિષ, ગણિત, આયુર્વેદ, ધર્મશાસ્ત્ર, તંત્ર, બૌદ્ધધર્મ, જૈનધર્મ, ફારસી-ઉર્દૂ, યોગ, સ્મૃતિ, દંડનીતિ, સ્થાપત્ય, નગરરચના, ઇજનેરી, લલિત કલાઓ વગેરે જોવા મળે છે. * સંશોધન અધિકારી, પ્રાચ્યવિદ્યામંદિર, મ.સ. વિશ્વવિદ્યાલય, રાજમહેલ દરવાજા પાસે, રાજમહેલ રોડ, વડોદરા ૧
પથિક દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧, ૧૭૫
For Private and Personal Use Only