________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ રીતે ભારતની આઝાદીની લડતમાં અમદાવાદનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. ગુજરાત વિદ્યાપીઠ, નવજીવન પ્રેસ, સાબરમતી આશ્રમ, કોચરબ આશ્રમ જેવાં કેટલાંય મહત્ત્વનાં કેન્દ્રો એના સાક્ષીરૂપ છે. ઈ.સ. ૧૮૫૭ થી ઈ.સ. ૧૯૪૮ સુધીની અમદાવાદ શહેરની આઝાદીની લડતનો ઘટનાક્રમ નકશાઓ અને તસવીરો સાથે આ સંગ્રહાલયના સ્વાતંત્ર્ય સંગ્રામ વિભાગમાં તાદેશ થાય છે. સંગ્રહાલયના “કલાનું વૃક્ષ” વિભાગમાં ચિત્રકલા સંબંધી વિગતો રજૂ કરવામાં આવી છે. ગુજરાત કલા જાગૃતિનાં મંડાણ ‘ગુજરાત ચિત્રકલા સંઘ” ની રચના સાથે થયાં. આ સંઘની રચના રવિશંકર રાવળ દ્વારા કરવામાં આવી હતી. પાછળથી ગુજરાત લલિતકલા અકાદમીની રચના થતાં એના દ્વારા ઘણા ઉત્તમ કલાકારો ગુજરાતને મળ્યા. રસિકલાલ પરીખ, કનુ દેસાઈ, છગનલાલ જાદવ વગેરે ઉત્કૃષ્ટ કલાકારની હરોળમાં આવે છે. આરસનું કોતરકામ અને તાંબાના ઢાળવાની કલામાં શિલ્પી કાન્તિ પટેલ ખૂબ જ કુશળ હતા.
પીરાજી સાગરાનું કામ છ છ દાયકાથી જાણીતું છે. કુ શાહ અને અમિત અંબાલાલ પણ કુશળ કળાસર્જકો છે. આ અને આવા અનેક કુશળ કલાકારોની કળાને એક સ્થળે માણવા આ સંગ્રહાલયની મુલાકાત લેવી જ રહી. સલ્તનત કાળથી પશ્ચિમ ભારત ખાસ કરીને અમદાવાદ સુતરાઉ કાપડની નિકાસ માટે જાણીતું છે. મુઘલ સમય દરમ્યાન કિનખાબ, જરીભરત કાપડ, સૂતર તથા રેશમ મિશ્રિત મશરુ કાપડનો ઉદ્યોગ અમદાવાદમાં વિકાસ પામ્યો હતો, બ્લોક પ્રિન્ટિંગ અને ચિત્રકારીવાળા કાપડનું મહત્ત્વ પણ વધ્યું હતું. જરીભરતનું વણાટ કામ “આશાવલી”ના નામથી જાણીતું હતું, જેમાં સૂતરની સાથે સોનાના તારની પણ ગૂંથણી કરવામાં આવતી હતી.
સુતરાઉ કાપડ ઉપર દેવી-આરાધનાનાં ચિત્રો બ્લોક પ્રિન્ટિંગથી છાપી કરવામાં આવે છે, જેને “માતાની પછેડી' તરીકે ઓળખવામાં આવે છે.
આવા કિનખાબ, જરી ભરત, મશરુ કાપડ, બ્લોક પ્રિન્ટિંગના કાપડના નમૂના, લાકડાના બ્લોક વગેરે કલાવિભાગમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
સંગ્રહાલયનો તસવીર કલાવિભાગ પણ સમૃદ્ધ છે. જૂના અને વર્તમાન તસવીરકારોની વિવિધ શ્વેત શ્યામ અને રંગીન તસવીરો, જૂના કૅમેરાઓ અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. અમદાવાદની સર્વપ્રથમ તસવીરકારની દુકાન ઈ.સ. ૧૯૧૭માં સ્થપાયેલી, જેનું નામ “કાનેટકર એન્ડ કું.” હતું. ઈ.સ. ૧૯૩૮માં “નિહારિકા ફોટો કલબ”ની સ્થાપના થઈ, અમદાવાદનું સર્વ પ્રથમ તસવીર પ્રદર્શન ૧૯૫૫માં “એ ફેમિલી મેન”ના શીર્ષકથી હતું. દત્તા ખોપકર, બળવંત ભટ્ટ, જગન મહેતા જેવા તસવીરકારોએ અમદાવાદ શહેરના ભૂતકાળ, આઝાદીની ચળવળ, દાંડીકૂચ જેવા કેટલાય વિરલ, અવિસ્મરણીય પ્રસંગોને કચકડામાં કેદ કરી આપણી ભાવી પેઢી માટે સાચવી રાખ્યા છે. જ્યારે શુકદેવ ભચેચ, પ્રાણલાલ પટેલ અને પરમાનંદ દલવાડી વગેરેએ પણ ફોટોગ્રાફી ક્ષેત્રે નવી નવી કેડીઓ કંડારી છે. અહીંનો તસવીર કલાવિભાગ યાદગાર તસવીરોથી સમૃદ્ધ છે.
ગુજરાતી સાહિત્યક્ષેત્રે અમદાવાદનું યોગદાન તો પુષ્કળ પ્રમાણમાં છે. જે વર્તમાન કાળમાં પણ છે જ. ઈ.સ. ૧૩૦૪ થી ૧૭૫૩ના મુસ્લિમ શાસનકાલમાં સ્થિરતાના સમયગાળાનો સદ્ ઉપયોગ ગુજરાતી સાહિત્યકારોએ કર્યો. આ સમયગાળો એટલે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સમય. એ વખતે અખો, વલ્લભ અને શામળ જેવા કવિઓ થઈ ગયા. વચ્ચે મરાઠાકાળ દરમ્યાન ગુજરાતી સાહિત્યમાં શૂન્યાવકાશ સર્જાયો. પાછળથી બ્રિટિશ કાળમાં તેમાં ભારે ઉછાળો આવ્યો. આધુનિક સાહિત્યકારો એ સમયે અમદાવાદમાં થયા અથવા તો અમદાવાદમાં આવીને વસ્યા. કવિ દલપતરામ આધુનિક સાહિત્ય જગતના જનક છે. નરસિંહરાવ દિવેટિયા, રમણભાઈ, કવિ ન્હાનાલાલ વગેરે જન્મે અમદાવાદી છે, તો ગાંધીજી, રણજીતરામ, ધૂમકેતુ, સુંદરમ્, ઉમાશંકર જોશી જેવા કર્મે અમદાવાદી સાહિત્યકારોએ અમદાવાદની સાથે સમગ્ર ગુજરાતના સાહિત્ય જગતને ધબકતું રાખેલ છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી (આજની ગુજરાત વિદ્યાસભા)સન ૧૮૪૮ થી સાહિત્ય ક્ષેત્રે પ્રદાન કરી રહી છે, તો ગુજરાત સાહિત્યસભા’સન ૧૯૦૪ થી. સંગ્રહાલયના સાહિત્ય વિભાગમાં આવા કેટલાય જન્મે અને કર્મે અમદાવાદી સાહિત્યકારોનો પરિચય, તસવીર અને એમના સાહિત્યની હસ્તપ્રતો પ્રદર્શિત કરવામાં આવી છે.
પથિક, દીપોત્સવાંક - ઓક્ટો.-નવે.-ડિસે., ૨૦૦૧ - ૧૧૧
For Private and Personal Use Only