________________
ભાવ
૭૫
ધર્મમાં ખૂબ આસ્થાવાળું હતું. એકદા નગરમાં મુનિમહારાજ પધાર્યા ત્યારે આ દ્વિજ-દંપતી તે જ્ઞાની મુનિમહારાજની ધર્મદિશના સાંભળવા ગયું. વૈરાગ્યરસ ઝરતી દેશનાથી તેઓને સંસાર અસાર લાગ્યો. વ્રત ગ્રહણ કરવાની ભાવના તીવ્ર થઈ ને મુનિમહારાજ પાસે દીક્ષા ગ્રહણ કરી. સાધુસમુદાયમાં તો વિવિધ દેશના, વિવિધ જાતિના ઘણાયે સાધુઓ હોય, તે જાણીને આ અગ્નિશમાં મુનિને પોતાની બ્રાહ્મણ જાતિનું અભિમાન થયું. તે પોતાની જાતિને અન્ય કરતાં ઉચ્ચ માનવા લાગ્યા ને ત્યાં જાતિમદ કર્યો. અંતે જીવનભર ચારિત્રની આરાધના કરી તે જાતિના મદરૂપ દુષ્કૃતની આલોચના કર્યા વગર કાળધર્મ પામ્યા. ચારિત્રના પ્રભાવે તેઓ બંને વૈમાનિક દેવ થયા. ત્યાંથી ચ્યવીને ઈલાવર્ધન નામના નગરમાં ધનદત્ત શેઠને ત્યાં ધારિણીદેવીની કુક્ષીએ અગ્નિશમ બ્રાહ્મણનો જીવ અવતર્યો. યોગ્ય સમયે ધારિણી દેવીએ રૂપરૂપના અંબાર જેવા પુત્રને જન્મ આપ્યો. તે પુત્ર ઈલાદેવીના વરદાનથી થયો હોવાથી તેનું નામ ઈલાપુત્ર રાખ્યું. પુત્ર તો બીજના ચંદ્રમાની જેમ દિવસે દિવસે વધવા લાગ્યો. યોગ્યવયે કલાચાર્ય પાસે તે સઘળી કળાઓ શીખ્યો ને કામદેવના ભવનસમા યૌવનવયમાં આવ્યો.
એકદા ઈલાવર્ધન નગરમાં એક નટ પરિવાર આવ્યો. તેમાં મુખ્ય નટ વાંસ ઉપર ચડીને સુન્દર નૃત્ય કરતો હતો. ને નીચે જેનાં અંગે અંગ યૌવનથી ખીલ્યાં છે એવી એક નટકન્યા કોકિલશા કોમલ કંઠે ગીત ગાતી હતી. ઈલાપુત્રે તે જોયું. એને તો નટનું નૃત્ય જોવા કરતાં આ નટકન્યાનું ગીત સાંભળવું બહુ ગમતું. તેને જોતાવેત જાણે પોતાને કોઈ મેળ હોય એવો ભાવ