________________
૯૮
આત્મબોધ
લાભ ન મળ્યો. ધીમે ધીમે નંદિષેણની સેવાનાં શ્રમણ સંઘમાં ચારેકોર વખાણ થવા લાગ્યાં. નંદિષેણ એટલે મૂર્તિમંત મેવા. સોનાની કસોટી થાય. સત્યની પરીક્ષા થાય.
આ પ્રશંસા તો દેવલોકમાં પહોંચી ને સૌધર્મ સભામાં ઈન્દ્ર મહારાજે દેવો આગળ નંદિષેણની સ્વમુખે પ્રશંસા કરી. બે દેવને તેમાં વિશ્વાસ ન બેઠો ને પરીક્ષા કરવાનું મન થયું. પરીક્ષા પણ એવી કપરી કે કાચોપોચો તો નાસી જ જાય. પણ નંદિષેણ તો નંદિષેણ. પરીક્ષા કરનારની પરીક્ષા થઈ જાય. એવું એમણે કરી બતાવ્યું. - છઠ્ઠને પારણે ગૌચરી લાવી, પચ્ચખાણ પારીને વાપરવાની તૈયારી કરતા હતા ત્યાં એક મુનિ હાંફળા-ફાંફળા દોડતા આવ્યા અને કહેવા લાગ્યા કે “નગરની બહાર એક વૃદ્ધ સાધુ અતિસારના વ્યાધિથી પીડાય છે. અમે તમારું નામ સાંભળીને તો અહીં આવ્યા છીએ પણ નંદિષેણ દેખાય છે જ ક્યાં. લોકો કહે છે કે- “નંદિષેણ સેવાપરાયણ છે પણ આજે ખાત્રી થઈ કે આ તો દંભ છે. નહિ તો સાધુ રોગથી પીડાતો હોય અને ખરો સેવાભાવી આમ ખાવામાં સમય બગાડે ખરો !”
બસ. કોઈ સાધુ બીમાર છે એટલું સાંભળતાં જ નંદિષેણે ગોચરી આઘી મૂકી ને ગ્લાન સાધુ માટે પાણી લેવા ગામમાં ગયા. પણ દેવે બધા ઘરે પાણી ન ખપે એવું કરી દીધું. ઘણાં ઘરે ફર્યા પછી એક ઘરે ખપે એવું જલ મળ્યું, તે લઈને નગરની બહાર ગ્લાન મુનિ પાસે તેઓ આવી પહોંચ્યા. આવતાંની સાથે જ વૃદ્ધ અને રોગી મુનિએ નંદિષણને ઉઘડા લીધા, “ગ્લાન મુનિઓની માવજત કરનાર નંદિષેણ મુનિ તમે જ કે ! ક્યારનો ય તમારી