________________
ટ
પ્રબુદ્ધ જીવન
‘ચરણ-ચલણ' વિશે ] ડૉ. એમ. એમ. ભમગરા
તા. ૧૬ જાન્યુઆરીના ‘પ્રબુદ્ધ જીવન'માં ‘ચરણ-ચલણનો મહિમા ગાતો લેખ વાંચી માર કસરતી જીવનને આનંદ થયો. નિસર્ગોપચારમાં શારીરિક વ્યાયામ પર હું ખૂબજ ભાર મૂકું છું. બેઠાડૂ દર્દીઓને મારે ટોકતા રહેવું પડે છે. 'BE MORE ON YOUR FEET, LESS ON YOUR SEAT’ પૈસાપાત્ર ગાડીવાળાઓનાં ગાડીનાં ટાયરો જેટલા ઘસાતા રહે છે તેના પ્રમાણમાં એ લોકોના જોડાના તળિયા ઘસાતાં નથી એ ખેદની વાત છે.
'એરોબિક્સ' નામની ઉછળ-કૂદનો જે વ્યાયામ છે તેનો હેતુ શ્વાસોચ્છવાસ ફૂલે ત્યાં સુધી પગ ઉપર જુદી જુદી રીતે કૂદતા રહેવાનો હોય છે. જેથી હૃદય અને ફેફસાં મજબૂત બને, પરંતુ એ વ્યાયામ સશક્ત લોકો માટે છે, કે જેમને હૃદયની, ફેફસાની, સ્લીપ ડિસ્કની, ઘૂંટણના વાની કે એવી કોઈ બીમારી નથી. બીજા સૌએ તો બિનહાનિકારક એવી ચાલવાની કસરત જ કરવી રહી. ચાલવું એ પણ એક સારી એરોબિક્સ કસરત બની શકે, પરંતુ તેમ ત્યારે બને જ્યારે (૧) ચાલવામાં શક્ય એટલી સારી ઝડપ હોય (૨) શ્વાસ ધીરે ધીરે અને ઊંડો લેવાય અને તે ધીરે ધીરે અને સંપૂર્ણ કાઢવામાં આવે અને (૩) ચાલતી વેળા વાત ન કરાય, ન તો ચણાસીંગ, પાન-સોપારી કે કશું પણ મોઢામાં નંખાય. ચાલવાની કસરત એ 'વોકિંગ-બ્રિધિંગ કસરત છે, ફક્ત વોકીંગ નહિ.
કેટલાક વ્યાયામ-પ્રેમીઓ પોતાની ફેવરીટ' કસરત જ સર્વશ્રેષ્ઠ છે એમ કહેતા હોય છે પરંતુ ચાલવાની કસરતની તોલે બીજી કોઈ કસરત નહિ, એમ ઘણા કહે છે. વસ્તુત: એ ધ્યાનમાં રહે કે શરીર-શાસ્ત્રની દૃષ્ટિએ એ માન્યતા બરાબર નથી. શરીરના છસો ઉપરાંત સ્નાયુમાંથી ચાલવામાં સોએક સ્નાયુઓનેજ અમુક હદે વ્યાયામનો લાંભ મળે છે. જે કરી શકે તેમણે અનેક વિવિધ પ્રકારના વ્યાયામ કરવા જોઈએ, જેમાં યોગાસનોનો પણ સમાવેશ કરવો જોઈ.
વ્યાયામ ચિકિત્સા એક અદ્ભુત, ફાયદેમંદ ચિકિત્સા છે, જેનો ઊંડો અભ્યાસ કરવો હોય તો સહેલાઈથી પાંચેક વર્ષ લાગી જાય. લગભગ દરેક રોગ માટે (કેન્સર સુદ્ધાં) વ્યાયામનો ઉપચાર છે. એ વાત ઘણા ડૉક્ટરોને પણ ખબર નથી. હૃદયરોગ હોય, બાય-પાસની નોબત હોય, લીવર, ફેફસાં કે કીડનીના રોગ હોય તેમાં પણ LIFE- SAVING'ના EXERCISES હોય છે. LIFE-SAVEING DRUGS ના આપણે ગુણગાન ગાઈએ છીએ પરંતુ LIFE SAVING DIETના કે વ્યાયામના કે ધ્યાનના પ્રયોગનાં ગાન કોઈ ગાતું નથી, એ અફસોસ અને શરમની વાત છે. (અફસોસ દર્દીના દૃષ્ટિકોણની અને `શરમ' ડૉક્ટરની !!)
બચપણથી શરૂ કરી જીવનના છેલ્લા શ્વાસ સુધી દરેક વ્યક્તિએ રોજ અચૂક યથાશક્તિ વ્યાયામ કરવો જોઈએ. શરીર પ્રત્યે પણ આપણી ફરજ છે. એમાં વ્યાયામ ફરજિયાત છે. મરજિયાત નહિ માનવી છેલ્લા દાયકાઓમાં આળસુ કે કામચોર બનતો ગયો છે. શારીરિક શ્રમનો મહિમા ઓછો થતો જાય છે. શાળા કોલેજોમાં હવે કસરત રોજ કરાવાતી નથી. અભ્યાસ-કાળ પછી, વ્યવસાય, નોકરીમાં પડતાં કે લગ્ન થતાં સમયનો અભાવ છે એવું બહાનું કાઢી, છોકરા, છોકરીઓ વ્યાયામ લગભગ છેકી જ દે છે. આ મોટી ભૂલ છે, આરોગ્ય-નાશક ભૂલ છે. સમય નથી મળતો એ બહાનું હોવું જ ન જોઈએ. ખાવા માટે, સ્નાન માટે, ઊંધવા માટે, એની આવશ્યક્તા જાણીને આપણે જે રીતે આપણો સમય ફાળવીએ છીએ તે રીતે વ્યાયામ માટે પણ સમય ફાળવવો જ જોઈએ. ટી. વી. જોતાં જોતાં પણ વ્યાયામ કરી શકાય; જો કે ધ્યાનપૂર્વક વ્યાયામ કરી, વ્યાયામ કરતી વેળા બીજાં આકર્ષણ ન હોય એ ઉત્તમ ગણાય. ગપસપ કે ગંજીફા કે બીજા વ્યસનો પાછળ વેડફાતો સમય બચાવીને વ્યાયામમાં સમયનો સદઉપયોગ કરવો
તા. ૧૬-૨-૯૪
જરૂરી છે. પગને વાપરવામાં, ચાલવા ઉપરાંત દાદરા ચઢ-ઉતર કરતા રહેવું. લીટ બનતાં સુધી ન વાપરવી, પાણીમાં તરવું, વગરે અનેક અક્સીર વ્યાયામ છે, જે યથાશક્તિ કરતા રહેવું, જેથી અનેકવિધ શારીરિક લાભ મળે.
ચાલવાના માસિક ફાયદા વિષે પણ તમે બરાબર કહ્યું છે. ડૉક્ટર પોલ ડડલી વ્હાઈટ, જેમણે ૯૨ વર્ષની જિંદગીમાં એક પછી એક, પાંચ અમેરિકન પ્રેસિડન્ટના નિયામક કાર્ડીઓલોજીસ્ટ તરીકે ખ્યાતિ મેળવી હતી, અને જેમણે અમેરિકનોને ‘પગભર કર્યા, તેમણે કહ્યું હતું કે અનિદ્રાના રોગ માટે ‘સ્લીપીંગ પીલ્સ, શરાબ કે બીજા નશા કરતાં 'LONG WALK' વધુ અક્સીર છે. તમે દુ:ખ કે હતાશામાં ડૂબેલા હોવ, તો Mood-Changing દવાઓ લેવા કરતાં કે મનો-વિશ્લેષણના ચક્કરમાં પડવા કરતાં રોજ પાંચ માઈલ ચાલો તો ફાયદો વિશેષ થશે. માનસિક કામ કરનારે પણ માનસિક થાક ઉતરવા માટે ચાલવું જરૂરી છે. હ્રદયની ધમનીઓમાં લોહી ગંઠાઈ ગયું હોય અને એન્જાઈનાનો હળવો દુ:ખાવો હોય તો પણ ધીરે ધીરે ચાલવાનો, બાગબાનીનો કે પ્રાણાયામનો વ્યાયામ કરવાથી લાભ થઈ શકે, પરંતુ તે નિષ્ણાત ચિકિત્સકની સલાહ હેઠળ કરવાં જોઈએ. આજના વિશ્વ વિખ્યાત ડૉક્ટર ડીન ઓર્નિય પણ હૃદય રોગીઓને આવા જ ઉપચાર ફરમાવે છે. અમદાવાદના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. રમેશ કાપડિયા પણ લોકોને ચાલવાનો તેમજ યોગનો વ્યાયામ શીખવાડે છે અને ઓનિયની જેમ તેલ, ધી, સાર મેદાના વપરાશને ન્યૂનતમ કરી, તાજાં શાકભાજી, ચુંબર તેમજ ફળોનો ઉપયોગ વધારે અને રોજ કરવાની સલાહ આપે છે.
લાઓત્સેની જેમ ચાલતી વેળા મૌન પાળવું જોઈએ અને ધીમા ઊંડા શ્વાસ લેવા અને 'કાઢવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. એ અગત્યનો મુદ્દો છે. ટી. વી. જોતી વેળા અને ચાલુ કે બંધ કરવા યા ચેનલ બદલવા માટે લેવાં પડતાં ત્રણ-ચાર ડગલાં પણ હવે લોકો ટાળતાં થયા છે. કારણ ‘રીમોટ કંટ્રોલ' હાથવગું હોય છે !
જેમ સમાજમાં કોઈ માનવ-સમૂહ ક્ષુદ્ર નથી તેમ તબીબી વિજ્ઞાનની દૃષ્ટિએ શરીરમાં કોઈ અંગ નીચા દરજ્જાનું નથી. આંતરડામાં મળ એકઠો થતો રહે છે, એ આપણી કચરાપેટી છે, માટે આપણે એને નિમ્ન કક્ષાનું અંગ નથી ગણતા. પગ પણ નિટીંગ નથી. પગને ન વાપરીએ તો લોહીનું ભ્રમણ બરાબર ન થાય. ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ લોહીને પગમાંથી પાછું હૃદયમાં લઈ જનાર આપણી પિંડીના સ્નાયું છે, જેને સક્કિ કરનાર અંગ તે પગની પાની છે. હૃદયમાં એટલી તાકાત નથી કે પગના સ્નાયુઓની મદદ વિના, લોહીને પાછું પોતાની અંદર ખેંચી શકે. ચરણને તળિયે આવેલાં ‘પ્રેશર પોઈન્ટ્સ'ને અમુક રીતે દાબીને શરીરના કોઈ પણ અવયવ-લીવર, હ્રદય અને મસ્તિક સુદ્ધાંને ફાયદો પહોંચાડી શકાય છે, એવું રીફલોશ્નોલોજી અને એક્યુપ્રેશરનું વિજ્ઞાન આપણે કહે છે. મસ્તક કે ભેજું શરીરના દરેક અંગ- ઉપાંગનું સંચાલન કરે છે. એ સ્થૂલ હકીક્ત છે. શરીરના અબજો કોષોને પોતાનું એક મન હોય છે એ સૂક્ષ્મ વાસ્તવિકતા છે. જે વિષે વિજ્ઞાનના સંશોધનનો આરંભ થઈ ચૂક્યો છે.
છેવટે એક વાત. પગની ચર્ચા કરીએ છીએ ત્યારે પગરખાં વિષે પણ લખવું જોઈએ, જૈનો ચામડાનાં જોડા પહેરે એ હિંસાને પ્રોત્સાહન આપવા જેવું છે. પાટલુંન પર પહેરાતા પટ્ટા, પુરુષોનાં વોલેટ, સ્ત્રીઓનાં પર્સ કે મનીબેગ કે સેન્ડલ કે ચંપલ કોઈ પણ ચીજ ચામડાની ન હોય એ જરૂરી છે. હિંસાી મેળવેલાં રેશમી વસ્ત્રો કે ચામડાની વસ્તુઓનો તો બહિષ્કાર જ થવો જોઈએ.
__
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ – મુદ્રક, પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, ♦ પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી રોડ, મુંબઇ-૪૦૦ ૦૦૪ ફોન : ૩૫૦૨૯૬, મુદ્રણસ્થાન · રિલાયન્સ ઓફસેટ પ્રિન્ટર્સ, ૬૯, ખોડિયા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૮. લેસરટાઇપસેટિંગ : મુદ્રાંકન, મુંબઈ-૪૦૦ ૦૯૨.
શું મુંબઇ