________________
[9]
સપ્ત પ્રકારના શબ્દ પ્રયોગ થાય તેને સપ્તભંગી કહેવાય છે. પ્રકરણ આદિ દ્વારા અપ્રતિપત્તિ આદિનું નિરાકરણ કરીને ઉચિત સ્થાનમાં વિનિયોગ કરવા માટે શબ્દના વાચ્ય અર્થના વિષયમાં જે રચના વિશેષ કરાય છે, તેને નિક્ષેપ કહેવાય છે. આ પાંચે વિષયોને અલગ અલગ ચેપ્ટરમાં અનેક ગ્રંથોના સહારે સમજાવવામાં આવ્યા છે. જે જિજ્ઞાસુવર્ગને જૈનદર્શનના સિદ્ધાંતોને સમજવામાં જરૂર સહાયક બનશે.
ષદર્શન સમુચ્ચય, ભાગ-૧-૨ ના હિન્દી અનુવાદના કાર્ય વખતે સ્યાદ્વાદ આદિ વિષયોને આવરી લેતું એક પુસ્તક તૈયાર થાય તો દરેક ભૂમિકાના આરાધકોને પ્રભુશાસનના સિદ્ધાંતોનો બોધ સુલભ બને એવી ભાવના સેવી હતી. તે કાર્ય પૂર્ણ થતાં પૂજ્ય ઉપકારી વડીલોના મંગલ આર્શીવાદથી આ કાર્યનો પ્રારંભ કર્યો હતો, જે આજે પૂર્ણ થાય છે. વિશેષ અનુમોદનાઃ
પ્રસ્તુત પુસ્તકની પ્રુફશુદ્ધિનું તેમજ સંકલનાદિનું કાર્ય તપાગચ્છાધિરાજશ્રીજીના સામ્રાજ્યવર્તી તપસ્વી સાધ્વીવર્યા શ્રીસુનિતયશાશ્રીજી મ.સા.ના સુશિષ્યા વિદુષી સાધ્વીવર્યા શ્રીશાનદર્શિતાશ્રીજી મહારાજે કર્યું છે. તેમની નિઃસ્વાર્થ શ્રુતભક્તિની હાર્દિક અનુમોદના.
આ પુસ્તકના માધ્યમે આરાધકવર્ગને પ્રભુના શાસનના મહત્ત્વના સિદ્ધાંતનો બોધ થાય અને એ દ્વારા માન્યતાઓની શુદ્ધિ થવા દ્વારા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય અને સમ્યગ્દર્શનના પાયા ઉપર ચારિત્રની ઈમારત રચી સૌ કોઈ આરાધકો વહેલામાં વહેલા મુક્તિને પામી જાય એ જ એકની એક સદા માટે શુભાભિલાષા.....
ચૈત્ર સુદ-૧, ૨૦૬૮ શુક્રવાર, તા. ૨૩/૩/૨૦૧૨
મુ. સંયમકીર્તિ વિ.
વસંતકુંજ જૈન ઉપાશ્રય
અમદાવાદ.