Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
બારવ્રતની પૂજા
શ્રી સમ્યક્ત્વ આરોપણમાં પ્રથમ જળપૂજા દુહા સુખકર શંખેશ્વર પ્રભુ, પ્રણમી શુભ ગુરુ પાય; શાસનનાયક ગાઇશું, વર્ધમાન જિનરાય. ૧ સમવસરણ સુરવર રચે, વન મહસેન મઝાર; સંઘ ચતુર્વિધ થાપીને, ભૂતળ કરત વિહાર. ૨ એક લખ શ્રાવક વ્રતધરા, ઓગણસાઠ હજાર; સૂત્ર ઉપાસકે વર્ણવ્યા, દશ શ્રાવક શિરદાર. ૩ પ્રભુ હાથે વ્રત ઉચ્ચરી, બાર તજી અતિચાર; ગુરુ વંદી જિનની કરે, પૂજા વિવિધ પ્રકાર. ૪
દુહાનો અર્થ- સુખને કરનાર એવા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને તથા શ્રી શુભવિજયજી નામના મારા ગુરુના ચરણોને પ્રણામ કરી શાસનના નાયક શ્રી વર્ધમાનસ્વામીના ગુણોનું ગાન કરીશું. ૧. વીર પરમાત્મા મહાસેન વનમાં પધાર્યા ત્યારે દેવોએ ત્યાં સમવસરણની રચના કરી અને ત્યાં ચતુર્વિધ સંઘની સ્થાપના કરી પ્રભુએ પૃથ્વીતળ ઉપર વિહાર કર્યો. ૨.
પ્રભુની પાસે વ્રત ઉચ્ચરનાર શ્રાવકો એક લાખ ને ઓગણસાઠ હજાર હતા. તેમાં મુખ્ય શ્રાવકો કે જેનું ઉપાસકદશાંગ સૂત્રમાં વર્ણન કરવામાં આવેલ છે, તે દશ હતા. તેઓ પ્રભુ પાસે બારવ્રત ઉચ્ચરી, અતિચાર તજી, ગુરુને વંદન કરી, જિનપ્રતિમાની વિવિધ પ્રકારે પૂજા
કરતા હતા. ૩-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org