________________
શ્રી ડોલરરાય માંકડ
શ્રી કેશવરામ શાસ્ત્રી શ્રી અનંતરાય રાવળ
શ્રી હરિવલ્લભ ભાયાણી આ સમિતિએ પ્રથમ શ્રી ઉમાશંકર જોશી અને શ્રી યશવંત શુક્લની મુખ્ય સંપાદકો તરીકે નિયુક્તિ કરી હતી અને પાછળથી શ્રી અનંતરાય રાવળની સેવાઓ પણ સંપાદનકાર્ય માટે માગી લીધી હતી. સલાહકાર સમિતિએ વખતોવખત ચર્ચાવિચારણા કરીને આ યોજના હેઠળ ચાર ગ્રંથોમાં ગુજરાતી સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ તૈયાર કરવાનું નક્કી કર્યું હતું. ઉપરાંત, પ્રત્યેક ગ્રંથની રૂપરેખા તૈયાર કરીને જુદાજુદા વિદ્વાનોને આ કાર્ય માટે નિમંત્રણ આપવાનું ઠરાવ્યું હતું. એ મુજબ આપણા વિદ્વાન અભ્યાસીઓને ગુજરાતી સાહિત્યના ઇતિહાસનાં જુદાંજુદાં પ્રકરણો કે એના અંશો તૈયાર કરી આપવાની વિનંતી કરવામાં આવી હતી. સલાહકારસમિતિના માર્ગદર્શન મુજબ તૈયાર થયેલી યોજનાનો આ પ્રથમ ગ્રંથ આજે પ્રગટ થાય છે. બાકીના ગ્રંથો પણ તૈયાર થઈ રહ્યા છે. બીજો ગ્રંથ ટૂંક સમયમાં જ પ્રેસમાં જશે. ત્રીજા અને ચોથો ગ્રંથ પણ આ વર્ષ દરમ્યાન પ્રેસમાં આપી શકાય એ માટે તૈયાર ચાલી રહી છે.
ગુજરાત રાજ્યના ભાષાનિયામક શ્રી હસિતભાઈ બૂચે અને નાયબ ભાષાનિયામક શ્રી ઈશ્વરપ્રસાદ જોષીપુરાએ તથા એમની કચેરીએ અમને વખતોવખત માર્ગદર્શન અને સહકાર આપીને અમારું કામ સરળ બનાવ્યું છે એ માટે અમે એમનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. સ્વ. જયંતી દલાલે તેમજ ગુજરાત રાજ્યના એ સમયના નાણામંત્રી શ્રી જશવંત મહેતાએ સંસ્કારપ્રીતિને વશ થઈ આ કાર્યને આગળ ધપાવવામાં પુષ્કળ અંગત રસ લીધો હતો એ માટે એમના તથા પ્રારંભિક સહાય માટે આચાર્યશ્રી વિનોદ અધ્વર્યુના અમે ઋણી છીએ. ચંદ્રિકા પ્રિન્ટરીના સંચાલકોએ આ ગ્રંથના છાપકામ અંગે કરી આપેલી સુવિધા માટે એમના પણ અમે આભારી છીએ. | ગુજરાતની સાહિત્યરસિક પ્રજાને આ ઇતિહાસગ્રંથો ઉપયોગી લાગશે તો ગુજરાતી સાહિત્ય પરિષદ કૃતાર્થતા અનુભવશે.
ઉમાશંકર જોશી અનંતરાય રાવળ
યશવંત શુક્લ અમદાવાદ, ૨૮, ફેબ્રુઆરી ૧૯૭૩
સંપાદકો