________________
પર
ભાવન-વિભાવન
જરૂર છે. જમણી ખુરસીનો બેસનાર પ્રધાન ધર્મ અને ડાબી ખુરસીએ બેસનાર પ્રધાન રાજ્યસત્તા છે. એ બે પ્રધાન અને ત્રીજી રાણી એકમત થઈ કામ કરે, તો દેશસુધારો વહેલો અને પાકો અને બહોળો થાય, એમાં કંઈ શક નહિ.”
ક્યારેક તે રૂપકને ખૂબ ચગાવે છે. ‘ડાંડિયો માં શેરના કાગળના કનકવા બનાવવાનું કહીને નર્મદ લખે છે –
“છોકરાઓ હૈ, તમારે મજા છે – શેરનાં કાગળિયાંના કનકવા બનાવી ચગાવવાનું ઠીક થશે. એ કનકવા ચગશે ત્યારે તેમાં ફીનાનસો અને બેંકો દેખાશે અને પછી એકદમ ગૌથ ખવાડી તમારા મોટેરાઓને બતાવજો કે તમારી ફીનાનસો અને બેંકો આમ જ હવામાં ચડી ચળકી હશે અને આમ જ પાછી નીચે પડી સૂઈ ગઈઓ હશે અને પછી ‘આનું કરનાર તો આમ ગયું ને અંડળગંડળ હાથમાં રહ્યું' એમ બોલી હૈયાશોકે હાથમાંની દોરી પણ મૂકી દેવી પડી હશે. છોકરાઓ, હવે તમારો વારો છે. પણ જરા સીધા રહો. દોરી, માંજો, લાહી, કામડી તૈયાર કરવા માંડો, એટલે કનકવાના કાગળો (શેરનાં ખોખાં) પણ રસ્તે કૂદતાં કૂદતાં તમારી પાસે આવશે !”
નર્મદે ઠેર ઠેર આવી રૂપકીલી પ્રયોજી છે. ક્યાંક આ રૂપક સ્થૂળ અથવા તો સાતત્ય વિનાનું બની જાય છે, તેમ છતાં ગુજરાતી ગદ્યમાં આ વિશિષ્ટ નિરૂપણરીતિ નોંધપાત્ર બને છે. ઘણી વાર પ્રાંતિક ભાષાઓ વિશે બન્યું છે તેમ રૂપકો દુરાકૃષ્ટ લાગે છે.
નર્મદે ઉપમા અને દૃષ્ટાંતોનો પણ ખૂબ ઉપયોગ કર્યો છે. સજીવારોપણ વિશે તેણે એક સ્વતંત્ર લેખ લખ્યો છે. સજીવારોપણને અલંકાર ગણતો નર્મદ સંપ વિશે સજીવારોપણથી વાત કરે છે.
ગુજરાતી ગદ્યનું પ્રભાત
૫
આવી જ રીતે નર્મદની શૈલી ચિત્રાત્મક વર્ણનો આપવામાં ખીલી ઊઠે છે. સામાજિક કુરિવાજોનું વર્ણન – પછી તે કુસંપ કે વિધવાની દુર્દશાનું હોય, બંકબાઈના વિલાપનું હોય કે રોવા-કૂટવાના કુરિવાજનું હોય – ચિત્રાત્મક રીતે તીખા શબ્દો અને ટાઢા કટાક્ષથી આપે છે.
નર્મદના ગદ્યમાં દલપતરામના ગદ્ય જેટલું હાસ્ય નથી, પરંતુ ‘ડાંડિયો ’માં એણે ક્યાંક શબ્દના પુનરાવર્તનથી કે ક્યાંક ગદ્યમાં પ્રાસ મૂકીને હાસ્ય નિષ્પન્ન કર્યું છે. જેમ કે –
“જે સુધારાવાળા ખારા થઈને ભાષણોના ભારા બાંધી મહારાજોને ડારા દેતા હતા તે રાંડેલી દારાઓનાં લગ્ન કરવાના ધારા કહોડવામાં સારા આગેવાન તારા જેવા ગણાતા હતા, તે હવે પરબારા નઠારા થઈ જઈ મહોડેથી કહેવાતા સુધારાને છોડી રાંડીરાંડોની પેઠે કાળાં હોડાં કરી ક્યાં ફરે છે.”
+,૭
*
રસળતી શૈલીમાં અમૂર્ત ભાવને મૂર્ત કરવાની એના ગદ્યમાં શક્તિ છે. કામને સંબોધીને એણે લખેલો નિબંધ કામના વશીકરણને હૂબહૂ દર્શાવે છે. નર્મદ સીધો જ વિષયની વચ્ચે ઊભો રહી, હાથ ઊંચો કરીને જુસ્સાભેર વક્તવ્યનો આરંભ કરે છે. અનેકવિધ વિષયો પર લખીને એણે વિભિન્ન શૈલીપ્રયોગથી શિષ્ટ ગદ્યલેખનની નવી નવી દિશાઓ ઉઘાડી આપી. નવપ્રસ્થાનની અને નવીનતાની દિશામાં ગતિ કરવામાં જે મુશ્કેલીઓ આવે તેનો સતત સામનો કર્યો. પોતાના સમયમાં ઉપલબ્ધ સાધનોથી ગુજરાતી ભાષાની જોડણી સ્થાપવા પ્રયાસ કર્યો. નર્મદની દૃષ્ટિમર્યાદા માત્ર સાંપ્રતમાં જ સીમિત નહોતી. એના ઘણા નિબંધો એની વ્યાપક અને દૂરગામી દ્રષ્ટિનો સંકેત કરે છે. માત્ર ખળભળાટ કે પ્રહારમાં રાચનારો નહીં, બલ્કે પ્રજામાનસના સમૂળગા પરિવર્તનની એની નેમ હતી. સુખસંપત્તિના વરસાદ માટે સંપની જરૂર છે એમ કહીને એ પ્રશ્ન કરે છે –