________________
૧૧૨
ભાવન-વિભાવના
એમણે સાહિત્ય, સંસ્કૃતિ અને રાજકારણના આંતરસંબંધો વિશે માર્મિક વિશ્લેષણ કર્યું છે તેમ જ યુદ્ધ અને શાંતિની સમસ્યાઓ પર ગંભીર પર્યેષણાઓ કરી છે. ‘મીઝાન' (૧૯૬૩) એ એમનો લેખસંગ્રહ છે, તો ‘સલીબું મેરે દરીચે મેં' (૧૯૭૧) એ એમની પત્ની એલિસ ફેઝને લખેલા પત્રોનો સંગ્રહ છે. ‘પાકિસ્તાન ટાઇમ્સ’ અને ‘ઇમરોઝ” દ્વારા ગંભીર પત્રકારત્વ અને ઉચ્ચ કક્ષાનું સંપાદનકાર્ય કર્યું. વિશ્વબંધુત્વની ભાવનાને દઢ કરવા અને શાંતિપ્રયાસોને વેગવાન બનાવવા માટે એમણે અનેક દેશોની યાત્રા કરી.
અગણિત માનવોના હૃદયમાં ધરબાયેલી વેદનાને વાચા આપતા આ કવિ ક્રાંતિનું એલાન કરે છે. જ્યાં સુધી પૃથ્વી પર અન્યાય અને આતંક પ્રવર્તે છે ત્યાં સુધી ફ્રેઝનો અક્ષરદેહ મરજીવાઓને ક્રાંતિ અને વિદ્રોહની પ્રેરણા પૂરી પાડશે.
સાત
રા. વિ. પાઠકકૃત “બુદ્ધિવિજય'
વાર્તાલેખન એ શ્રી રા. વિ. પાઠકની મુખ્ય સાહિત્યિક પ્રવૃત્તિ નહોતી, તેમ છતાં એમનામાં રહેલ નૈસર્ગિક વાર્તાકાર પાસેથી થોડી, પણ મૂલ્યવાન નવલિકાઓ મળે છે. તેઓ આને ‘વાતો’ કહે છે. એનું એક કારણ એ છે કે નિરૂપણ નવલિકાનું હોવા છતાં કથનમાં વાત કહેનારનો વિઠંભ અને અનૌપચારિક નિકટતા દેખાય છે. એમની વાર્તાઓમાં કોઈ ને કોઈ રહસ્ય ગર્ભિત હોય છે. આ રહસ્ય એટલે એમના મતે જીવનનો અમુક વસ્તુ તરફનો લાગણીમય - ભાવાત્મક સંબંધ. ‘બુદ્ધિવિજય'માં ધાર્મિકતાના સ્વાંગ હેઠળ ઐહિક મહત્તા મેળવવાની તાલાવેલી દેખાય છે. ત્યાગપૂત ધર્મમય જીવનને બદલે ચમત્કારિક સિદ્ધિના સસ્તા પ્રદર્શનમાં અને એ દ્વારા ધર્મપ્રચારની ઘેલછાની મનોવૃત્તિ બુદ્ધિવિજયના પાત્રમાં આલેખાય છે.