________________
૧૦૮
ભાવન-વિભાવન
વેદના પર ઠરે છે. ફૈઝે એક મિત્ર સમક્ષ પોતાનો મનોભાવ વ્યક્ત કરતાં કહ્યું હતું કે એમણે રૂપ, જવાની, હોઠ અને આંખો પર પ્રેમ કર્યો પરંતુ એ પછી એમની નજ૨ સમાજની સાચી વાસ્તવિકતા તરફ વળી. જુલ્મ, અત્યાચાર અને ગરીબી જોઈ. મૃત્યુથી પણ બદતર જીવન જીવનારા હજારો માનવીઓ જોયા અને એ સમયે એમને એવો અનુભવ થયો કે માત્ર હુશ્ન સાથે જ પ્રેમ કરવાનો નથી, પરંતુ આ દલિત અને પતીતને ચાહવાના છે અને એમનાં ગીત ગાવાનાં છે. ફૈઝે એમની શાયરીમાં એશિયાઈ માનવીના સૌંદર્યનું આલેખન કર્યું. ફૈઝ એક એવો માનવી હતો કે જેના હૃદય પર સિતારાની માફક હજારો જ ચમકી રહ્યા હતા. રાવળપિંડીની જેલમાં એમણે લખ્યું –
‘લંબી હું ગમકી શામ, મગર શામ હી તો હૈ”
ફૈઝની ખોજ મુક્ત માનવની હતી. એમણે માનવીના શોષણ અને વેદનાનો ઉપાય સમાજવાદી વિચારસરણીમાં જોયો, પરંતુ પરંપરાની ભૂમિમાં આ સર્જકનાં મૂળિયાં એટલાં ઊંડાં ગયાં હતાં કે કોઈ રાજકીય પવન એમને હલાવી કે લલચાવી શક્યો નહીં. ફૈઝની કવિતાએ ઉર્દૂ સાહિત્યમાં મોટું પરિવર્તન આણ્યું. ફૈઝ એક બાજુ ઊર્મિકવિ તરીકે ઘણું ઊંચું સ્થાન મેળવે છે તો બીજી બાજુ એમણે માનવીય મૂલ્યોની પ્રતિષ્ઠા કરી. માનવી પર થતા દરેક પ્રકારના જુલ્મ, શોષણ, અન્યાય, અત્યાચાર, જોહુકમી અને સરમુખત્યારી સામે ફૈઝે જીવનભર સંઘર્ષ ખેડ્યો. માશૂકાના ઇશ્કમાં સર્વસ્વ સમર્પણ કરનાર આશિકની માફક સમાજવાદની માશુકાની તેઓએ શબ્દરૂપે એકનિષ્ઠ ઉપાસના કરી. ક્યારેક વેદનાથી, ક્યારેક છટાથી, તો ક્વચિત્ કઠોર વાણીમાં ફૈઝ કહે છે –
અબ ટૂટ ગિરેંગી ઝંજીર્
બામ–એ–સરવત કે ખુશનશીનોં સે અઝમતે ચર્મ નમ કી બાત કરો ! જાન જાયેંગે જાનનેવાલે
‘ફૈઝ’ ફરહાદ ઓ જમ કી બાત કરો !
૧૦૯
[ ઐશ્વર્યની ઉત્તુંગ અટ્ટાલિકાઓમાં પ્રસન્ન આવાસ કરવાવાળાઓની આગળ આંસુભરી આંખોના ગૌરવની ગરિમાનો પ્રસંગ રચો. સમજદાર સમજી જશે ફૈઝ, જરા ફરહાદ જેવા મજૂર અને જમશેદ જેવા બાદશાહની ચર્ચા કરો અર્થાત્ ફરહાદનો પ્રેમ આજે પણ અમર છે જ્યારે જમશેદની બાદશાહતનું નામનિશાન મળતું નથી. ]
ફૈઝ સાહિત્યકારને સમાજની સાથે બે રીતે જોડાયેલો માનતા હતા. એક વ્યક્તિ તરીકે અને બીજો સાહિત્યકાર તરીકે. સમાજના કોઈ પણ નાગરિક જેવી જવાબદારી તો સાહિત્યકારે અદા કરવાની છે, પણ બીજી વિશિષ્ટ જવાબદારી પણ સાહિત્યકારે બજાવવાની છે જે સાહિત્યકારની કલા સાથે સંબંધિત છે. આમ સાહિત્યકારને માથે
બેવડી જવાબદારી છે. આ બંને સંબંધો એકબીજા સાથે ગૂંથાયેલા છે અને તેથી કોઈ સાહિત્યકાર એમ કહે કે મારું કામ તો માત્ર સાહિત્યસૌંદર્યનાં મૂલ્યોનું જતન કરવાનું જ છે અને પ્રવર્તમાન સમાજ સાથે મારે કોઈ સંબંધ નથી તો એ માન્યતાનો ફૈઝ વિરોધ કરે છે. સાહિત્યકારે વ્યક્તિ તરીકે સમાજના વિકાસ અને પરિવર્તનની ખેવના કરવાની હોય છે અને કોઈ પણ પ્રકારનું ‘પોએટિક લાયસન્સ' આમાંથી સાહિત્યકારને બાકાત રાખી શકે નહીં. ફૈઝ એ બાબતમાં સ્પષ્ટ હતા
કે કવિએ એના એકદંડિયા મહેલમાંથી બહાર આવીને આસપાસની માનવયાતનાનો ખ્યાલ કરવો જોઈએ. જોકે તેઓ માનતા હતા કે કવિતાએ એના સૌંદર્ય અને કલાને જાળવવાનાં હોય છે. પ્રચાર કે એવી બીજી પળોજણથી એણે દૂર રહેવું જોઈએ.