________________
- જયવીયરાય સૂત્ર (પ્રાર્થના સૂત્ર)
સૂત્ર પરિચય :
આ સૂત્રમાં મોક્ષમાર્ગે આગળ વધવા માટે અત્યંત ઉપયોગી ભવનિર્વેદ આદિ આઠ વસ્તુની ભગવાન પાસે માંગણી કરવામાં આવી છે, માટે તેનું બીજું નામ, પ્રાર્થના સૂત્ર” છે. વળી આ માંગણીઓ મનની એકાગ્રતાપૂર્વક અને દૃઢ નિશ્ચય સાથે કરવાની છે, માટે તેને પ્રણિધાન સૂત્ર' પણ કહેવાય છે.
આ સૂત્ર બોલતાં પહેલાં સૌના ખ્યાલમાં રહેવું જોઈએ કે (૧) પ્રાર્થના કરનાર સાધક કેવો હોવો જોઈએ ? (૨) પ્રાર્થના કરવા યોગ્ય ચીજો કેવી હોવી જોઈએ ? અને (૩) પ્રાર્થના કોની પાસે કરવાની છે ?
આ સૂત્રમાં જે ચીજો માંગવાની છે તે સંસાર રસિક જીવો માટે નકામી છે; પરંતુ જેને સંસારથી છૂટવાની સાધના કરવી છે, તેવા અપુનબંધકાદિ જીવો માટે જ આ ચીજો ઉપયોગી છે. માટે આ સૂત્ર બોલતાં પહેલાં સાધકે સૌ પ્રથમ તો જાતને પૂછવું જોઈએ કે, સંસાર ઉપરથી કંટાળો આવ્યો છે ? મને મોક્ષ ગમે છે ? મોક્ષની મને ઝંખના જાગી છે ? અને જો આ ત્રણે પ્રશ્નોનો જવાબ “હા” છે તો જ હું આ માંગણી કરવાનો અધિકારી છું.
મારે આ માંગણી જેની તેની પાસે કરવાની નથી. પરંતુ અચિંત્ય શક્તિયુક્ત, પરહિતમાં રત, ભવથી અલિપ્ત એવા અરિહંત પરમાત્મા પાસે કરવાની છે. વળી, એવી દઢ શ્રદ્ધા હોવી જોઈએ કે, “આવા નાથ પાસે માંગવાથી મને આ ચીજો જરૂર મળશે જ.”