________________
૧૧૨ ૦ અભિષેક
“અરે, ઔષધનો ઉપયોગ ન થયો, અને આવી વિસ્મૃતિ થઈ ગઈ ! આ તો ભારે પ્રમાદ થયો કહેવાય ! સાધુ-જીવનનો મોટો દોષ!'
અને પછી તો આર્ય વજ વિચારે ચડી ગયા : “આવી વિસ્મૃતિ એ તો કાળદેવતાની હાકલ ! એની ઉપેક્ષા કેમ કરાય ! આ વિસ્મૃતિને બહાને કાળ નજીક આવ્યાની ચેતવણી મળી ! આ વિસ્મૃતિનો પણ એટલો ઉપકાર ! હવે તો નવા પ્રવાસની તૈયારી જ કરવી ઘટે.”
કહે છે કે દેવોને પોતાના મૃત્યુની છ માસ પહેલાં સૂચના મળે છે, અને એ બિચારા ભારે દુઃખમાં અને શોકમાં દિવસો કાઢે છે; અપાર ધનવૈભવ અને વિલાસને છોડવાનું કોને ગમે ?
પણ અહીં આર્ય વજને તો ન કશો શોક, ન કશો સંતાપ. એમને મન તો આ પ્રસંગ કોઈ વધારે સારે સ્થાને જવાનું હોય એવો આનંદનો પ્રસંગ બની ગયો : જીર્ણ કલેવર તજવાનું, નવું કલેવર મેળવવાનું ! ' સૂરિજીએ ભિક્ષુસંઘને પોતાનો કાળ પાકી ગયાની વાત કરી : “ભિક્ષુઓ, કાળનાં એંધાણ કળાઈ ગયાં. અત્યાર સુધી જીવતર ઉજાળ્યું, હવે મૃત્યુને ઉજાળી લેવાની ઘડી આવી પહોંચી છે.”
પછી એ જ્ઞાની આચાર્યે આવતા દુષ્કાળની મુસીબત સામે સંઘને સાવચેત બનાવ્યો, પોતાના જ્ઞાનનું થઈ શકે તેટલું વિતરણ કર્યું અને પૂર્ણ આત્મજાગૃતિ સાથે અંતિમ અનશનનો નિર્ણય કર્યો.
ભિક્ષુ-ભિક્ષુણી-સંઘ ગદ્ગદ બની આર્ય વજનો નિર્ણય સાંભળી રહ્યો !
આર્ય વજે પહાડ ઉપર જઈ અંતિમ અનશન આદર્યું, ન ક્લેશ, ન સંતાપ ઃ સદા કાળ શાંતિ, સમતા અને સંપૂર્ણ આત્મજાગૃતિ.
એ રીતે સમાધિપૂર્વક આર્ય વજે પરલોક-પ્રયાણ આદર્યું.
સમસ્ત સંઘ એ જાગૃત આત્માને વંદી રહ્યો : જય જય નંદા ! જય જય ભદ્દા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org