Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
દેવલોકના દેવોથી) પહેલા દેવલોકના દેવપુરુષો સંખ્યાતગુણા છે, કારણ કે પહેલા અને બીજા દેવલોકમાં સ્થિતિ, અવગાહના, ક્ષેત્ર વિસ્તાર પ્રાયઃ સમાન છે અને વિમાનોની સંખ્યામાં વિશેષ તફાવત નથી તેથી તે સંખ્યાતગુણા જ થાય છે.
૧૪૪
(૧૭)પહેલા દેવલોકના દેવપુરુષોથી ભવનવાસી દેવપુરુષો અસંખ્યાતગુણા છે કારણ કે દશ જાતિના ભવનપતિ દેવોના ભવનો વધુ છે. (૧૮) તેનાથી વ્યંતર દેવપુરુષો અસંખ્યાતગુણા છે કારણ કે તેના નગરો અસંખ્યાતા છે. (૧૯)તેનાથી જ્યોતિષ્ક દેવપુરુષો સંખ્યાતગુણા છે કારણ કે તેમાં તારા વિમાનો ઘણા છે અને અતિ સઘન રૂપે આખા તિરછા લોકમાં ફેલાયેલા છે.
સર્વ પુરુષોનું સમ્મિલિત અલ્પબહુત્વ :– (૧) સર્વથી થોડા અંતરદ્વીપના મનુષ્યો છે, કારણ કે તેનું ક્ષેત્ર અલ્પ છે. (૨) તેનાથી દેવકુરુ-ઉત્તરકુરુના મનુષ્ય પુરુષો સંખ્યાતગુણ છે અને બંને પરસ્પર તુલ્ય છે, કારણ કે તે ક્ષેત્ર વિસ્તૃત છે. (૩) તેનાથી હરિવર્ષ-રમ્યવર્ષના મનુષ્ય પુરુષો સંખ્યાતગુણ છે અને પરસ્પર તુલ્ય છે, કારણ કે તે ક્ષેત્ર અતિ વિસ્તૃત છે. (૪) તેનાથી હેમવય હેરણ્યવયના મનુષ્ય પુરુષો સંખ્યાતગુણા છે અને પરસ્પર તુલ્ય છે, કારણ કે તેમાં ક્ષેત્રની અલ્પતા હોવા છતાં સ્થિતિ અને અવગાહનાની અલ્પતાને કારણ કે તેની સંખ્યા પ્રચુર છે.
(૫) તેનાથી ભરત ઐરવત કર્મભૂમિના મનુષ્ય પુરુષો સંખ્યાતગુણા છે. તે ક્ષેત્રમાં સ્વાભાવિક રીતે જ મનુષ્ય પુરુષોની અતિ પ્રચુરતા હોય છે, સ્વસ્થાનમાં બંને પરસ્પર તુલ્ય છે કારણ કે ક્ષેત્રની તુલ્યતા છે. (૬) તેનાથી પૂર્વવિદેહ અને પશ્ચિમ વિદેહમાં મનુષ્ય પુરુષો સંખ્યાતગુણા છે અને પરસ્પર તુલ્ય છે, કારણ કે તે ક્ષેત્ર વિશાળ છે. તેની કુલ ૧૬૦ વિજયો છે, જેથી મનુષ્ય પુરુષોની પ્રચુરતા હોય છે.
(૭) તેનાથી અનુત્તરોપપાતિક દેવો અસંખ્યાત ગુણા છે, કારણ કે ચાર અનુત્તર વિમાનમાં દેવો અસંખ્ય છે જ્યારે મનુષ્ય પુરુષો સંખ્યાતા જ હોય છે.
(૮) તેનાથી ઉપરિતન ત્રૈવેયક દેવપુરુષો સંખ્યાતગુણા છે, (૯) તેનાથી મધ્યમ ત્રૈવેયક દેવપુરુષો સંખ્યાતગુણા છે, (૧૦) તેનાથી અધસ્તન ત્રૈવેયક દેવપુરુષો સંખ્યાતગુણા છે.
(૧૧) તેનાથી અચ્યુત કલ્પના દેવપુરુષો સંખ્યાતગુણા છે, (૧૨) તેનાથી આરણ કલ્પના દેવપુરુષો સંખ્યાતગુણા છે, (૧૩) તેનાથી પ્રાણત કલ્પના દેવપુરુષો સંખ્યાતગુણા છે, (૧૪) તેનાથી આનત કલ્પના દેવપુરુષો સંખ્યાતગુણા છે.
(૧૫) તેનાથી સહસ્રાર કલ્પના દેવપુરુષો અસંખ્યાતગુણા છે, (૧૬) તેનાથી મહાશુક્ર કલ્પના દેવપુરુષો અસંખ્યાતગુણા છે, (૧૭) તેનાથી લાંતક કલ્પના દેવપુરુષો અસંખ્યાતગુણા છે, (૧૮) તેનાથી બ્રહ્મલોક કલ્પના દેવપુરુષો અસંખ્યાતગુણા છે, (૧૯) તેનાથી માહેન્દ્ર કલ્પના દેવપુરુષો અસંખ્યાતગુણા છે, (૨૦) તેનાથી સનત્કુમાર કલ્પના દેવપુરુષો અસંખ્યાતગુણા છે, (૨૧) તેનાથી ઈશાનકલ્પના દેવપુરુષો અસંખ્યાતગુણા છે.
(૨૨) તેનાથી સૌધર્મ કલ્પના દેવ પુરુષો સંખ્યાતગુણા છે, (૨૩) તેનાથી ભવનપતિ દેવપુરુષો અસંખ્યાતગુણા છે.