Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Author(s): Punitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
છે ચામડાનું પુટક, જેમ મુરજ અને મૃદંગનો ચર્મ મઢેલો ભાગ એકદમ સમતલ હોય છે. તેવી રીતે એકોરુકદ્દીપનો ભૂમિભાગ એકદમ સમતલ અને રમણીય છે યાવત્ શબ્દથી અન્ય ઉપમાઓનું ગ્રહણ થાય છે—
૧૪
જેમ પાણીથી છલોછલ ભરેલા તળાવનું પાણી, હથેળીનું તળીયું, ચંદ્રમંડળ, દર્પણતલ સમતલ હોય છે, તેમ આ ભૂમિભાગ સમતલ હોય છે. ઘેટા, બળદ, ભૂંડ, સિંહ, વાઘ, વરૂ અને ચિત્તાના ચામડાને ઓજાર દ્વારા ખેંચીને(અત્યંત) ઘણું જ સમતલ બનાવવામાં આવે છે. તે જ રીતે ત્યાંનો ભૂમિનો ભાગ ઘણો જ સમતલ અને રમણીય છે. તે ભૂમિ સ્વસ્તિક, વર્ધમાન, મત્સ્યાંડ, મકરાંડ, પુષ્પાવલી પદ્મપત્ર, સાગરતરંગ, વાસંતીલતા, પદ્મલતા વગેરે વિવિધ પ્રકારના માંગલિક ચિત્રો તથા સુંદર દશ્યો, વિવિધ પ્રકારના પાંચ વર્ણોવાળા તૃણો અને મણિઓથી શોભાયમાન હોય છે.
તે ભૂમિભાગ કોમળ સ્પર્શવાળો છે. મુલાયમ ચામડું, રૂ, બૂર, માખણ અને તૂલના સ્પર્શની જેમ કોમળ હોય છે. તે ભૂમિ ભાગ રત્નમય, સ્વચ્છ, ચીકણો, દૃષ્ટ, ભૃષ્ટ (ઘસેલો માંજેલો), રજ રહિત, નિર્મળ નિષ્પક, કાંકરાથી રહિત, પ્રસન્નતાજનક, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હોય છે. વિવિધ પ્રકારના વનો, લતાઓ, પુષ્પો, ફળોથી તે ભૂમિ અત્યંત દર્શનીય અને હરિયાળી લાગે છે.
=
દશ પ્રકારના વૃક્ષો :– તે દ્વીપના મનુષ્યોનો સંપૂર્ણ જીવનનિર્વાહ વૃક્ષ આધારિત હોય છે. તે દ્વીપોમાં વિશિષ્ટ પ્રકારના ૧૦ જાતિના વૃક્ષો હોય છે. તેમાંથી કેટલાક વૃક્ષોના ફળાદિ ખાધ પદાર્થ રૂપે પરિણત થઈ જાય છે. કેટલાક વૃક્ષોના પત્રાદિ વસ્ત્ર રૂપે ઉપયોગમાં આવે છે. કેટલાક વૃક્ષો સૂર્ય સમ પ્રકાશ આપે છે. આ રીતે તે વૃક્ષોની વિવિધ પ્રકારની પરિણતિઓની અપેક્ષાએ તેના ૧૦ વિભાગ કર્યા છે.
(૧) મતંગા :– મત્ત એટલે માદક રસ. જે વૃક્ષના અંગ–અવયવો માદક રસની જેમ પ્રમોદભાવ જનક, આનંદદાયક પેય વસ્તુઓ પ્રદાન કરે છે, તે વૃક્ષોને મતંગા કહે છે. આ વૃક્ષના ફૂલો પરિપકવ થાય ત્યારે તેમાંથી રસ પ્રવાહિત થાય છે. તેનું રસપાન કરીને યુગલિકો આનંદિત બને છે.
સૂત્રમાં તે વૃક્ષના રસની મધુરતા આદિને સ્પષ્ટ કરવા અનેક ઉપમાઓ આપી છે. તે ઉપમિત પ્રત્યેક પદાર્થથી મતાઁગ જાતિના વૃક્ષનો રસ અનંતગુણો અધિક મધુર, બલવીર્યની વૃદ્ધિ કરનાર છે અને રસપાન કરનારને આનંદ પ્રદાન કરે છે.
--
(૨) ભૃતાંગા :– ભાજન–પાત્ર આપનારા વૃક્ષો. સૂત્રમાં વિવિધ પ્રકારના પાત્રોના નામ અને તેની સુંદરતાને વર્ણવી છે. આ વૃક્ષોના પત્રો આદિ વિવિધ પ્રકારના ભાજન વાસણના આકારે સ્વાભાવિક રીતે પરિણત થઈ જાય છે. તે વૃક્ષોના પત્રોનો વાસણ તરીકે ઉપયોગ થઈ શકે તેવા હોય છે.
(૩) ત્રુટિતાંગા :– – અનેક પ્રકારના વાજિંત્રો આપનારા વૃક્ષો. આ વૃક્ષોના પત્રો પુષ્પો આદિને તોડતા તેમાંથી વિવિધ પ્રકારના સુમધુર વાજિંત્રોના ધ્વનિ નીકળે છે. તત–વીણા આદિ તારવાળા વાજિંત્રો, વિતતઢોલ વગેરે, ઘન—કાંસ્ય, તાલ, મંજીરા વગેરે અને શુધિર–વાંસળી વગેરે પોલાણવાળા વાજિંત્રો, આ ચારે પ્રકારના વાજિંત્રોના ધ્વનિ તે વૃક્ષોમાંથી સ્વાભાવિક નીકળે છે અને તે ધ્વનિ કર્ણપ્રિય અને મનોહર હોય છે, (૪) દીપશિખા :– ઉદ્યોત આપનારા વૃક્ષો. તે વૃક્ષો સ્વાભાવિક રીતે ઉદ્યોત-પ્રકાશયુક્ત હોય છે. તે સંધ્યા સમયે પ્રગટાવેલા દીપક જેવો પ્રકાશ આપે છે.
(૫) જ્યોતિશિખાઃ— જ્યોતિ–જ્યોતિષી દેવોના વિમાન જેવો પ્રકાશ આપનારા વૃક્ષો. તે વૃક્ષો સ્વાભાવિક રીતે ચંદ્ર, સૂર્યની સમાન પ્રકાશિત હોય છે. દીપશિખા વૃક્ષથી જ્યોતિશિખા વૃક્ષનો પ્રકાશ અનેક ગુણો અધિક હોય છે.