________________
સમગ્ર વિશ્વની સુરક્ષા અને સાનુકૂળતા આર્હત્ત્વના પ્રભાવે જ સચવાય છે. સૂર્ય અને ચન્દ્રનું સમયસર ઊગવું અને આથમવું, પર્વતોનું ન કંપવું, પ્રલયકાળ જેવા ભયંકર વાવાઝોડા ન થવા, સમુદ્ર વારંવાર મર્યાદા ન તોડે, જંગલી પશુઓનું જંગલની મર્યાદા તોડી બધે જ વારંવાર વસતિમાં ન આવવું, આ તમામના કારણભૂત આર્હત્ત્વ છે. લવણસમુદ્રમાં આવેલી ૧૭,૦૦૦ યોજન ઊંચી પાણીની શિખામાં સમાયેલો વિરાટ પાણીનો જથ્થો જંબૂદ્વીપને ડૂબાડી ન દે તે માટે ૧,૪૨,૦૦૦ થી અધિક વેલંધ૨-અનુવેલંધર દેવતાઓ સતત તે પાણીના જથ્થાને control માં રાખે છે, તેના મૂળમાં આર્હત્ત્વ છે. આવી તો પુષ્કળ બાબતો છે. આર્હત્ત્વ એટલે ભૌતિક અને આધ્યાત્મિક વિશ્વની જીવાદોરી. આવા આર્હત્ત્વને ભાવથી વંદન કરીએ.
(૨) વ્યક્તિરૂપ ઈશ્વર - જબરદસ્ત કરુણાભાવના, વિશિષ્ટ સમ્યગ્દર્શન, વીશસ્થાનકમાંના કોઇ પણ એક અથવા વધારે સ્થાનકોની ઉત્કૃષ્ટ આરાધના આદિથી તીર્થંક૨ થવા માટે જરૂરી તીર્થંકર નામકર્મનું જે ઉપાર્જન કરી શકે, તે ત્યાર બાદના ભવમાં દેવલોકમાં અથવા ક્યારેક જ નરકમાં જઇ આવી મનુષ્યલોકમાં આવી તીર્થંક૨ બને છે. તીર્થંકરપણાના કર્મના પ્રભાવે તેમનો ખૂબ મહિમા અને પ્રભાવ હોય છે, તેથી તેમની પરમસત્ય વાતને સ્વીકારનારાઓનો મોટો સમુદાય ઊભો થાય છે. ઘણા ઘણા ભવ્યાત્યાઓ સંસારના સુખોનો સર્વથા ત્યાગ કરીને સાધુ-સાધ્વીજી પણ બની જાય છે, લાખોકરોડો કે અસંખ્ય વર્ષ સુધી તે તીર્થંકર ભગવંતની વાણીને As it is form માં સતત તેજસ્વી સાધુ-સાધ્વીજીઓ અને શ્રાવક-શ્રાવિકાઓ આગળ વધારતા રહે છે અને તે મોક્ષમાર્ગ બની અસંખ્ય જીવોના આત્મકલ્યાણનું કારણ બની રહે છે. આમ, સંખ્યાત કે અસંખ્યાત કાળ સુધી મોક્ષમાર્ગનું જીવંત પ્રવર્તન કરાવનારા, સત્યને સમજીને આચરવા તૈયાર થયેલા અસંખ્ય જીવોનું કલ્યાણ કરનારા, વિશ્વમાંથી અશુભની અસરને ઘટાડનારા વ્યક્તિરૂપ તીર્થંકર ભગવંત હોય છે. વિશ્વમાં જ્યાં જે કાંઇ પણ શુભ દેખાય છે, તે તમામના મૂળમાં આવા વ્યક્તિ ઈશ્વરૂપ-તીર્થંકર ભગવંતોની વાણીની અસર હોય છે.