Book Title: Ghantakarn Mahavir Dev
Author(s): Mahudi Jain Shwetambar Murtipujak Trust
Publisher: Mahudi Jain Shwetambar Murtipujak Trust
View full book text
________________
ઘંટાકર્ણ મહાવીરદેવ પહેલાં પૂર્વભવમાં એક આર્ય રાજા હતા. તે સતીઓનું અને સાધુઓનું તથા ધર્મી મનુષ્યોનું રક્ષણ કરવામાં જીવન ગાળતા હતા. દુષ્ટ રાક્ષસ જેવા મનુષ્યોના હુમલાઓથી ધર્મ પ્રજાનું રક્ષણ કરતા હતા.
કુંવારી કન્યાઓના શિયળનું રક્ષણ કરતા હતા. પાપીઓના ત્રાસને હઠાવી પ્રજાનું કલ્યાણ કરતા હતા. ધનુષ્યબાણ વડે અનેક દુષ્ટ રાજાઓ જોડે યુદ્ધ કરીને તેઓને જીત્યા અને આર્યદેશોમાં શાંતિ ફેલાવી.
તેમને સુખડી પ્રિય હતી. તેઓ અતિથિઓની સેવાભક્તિ કરતા હતા અને ઘણા શૂરા હતા. તેથી તે મરણ પામીને દેવ થયા અને બાવનવીરોમાં ત્રીશમા દેવ તરીકે તેમની ગણના થઈ.
તેઓ પૂર્વભવનાં પરોપકારી હતા. તેથી વીરના ભવમાં પણ તે બને તેટલી સહાય ધર્મી ભક્તજનોને તેઓના શુભકર્માનુસારે આપે છે.
પૂર્વભવમાં તેમના હાથમાં ધનુષ્યબાણ ખડગ હતા,તેથી તેમની મૂર્તિના હાથમાં ધનુષ્યબાણ ખડગ આપવામાં આવેછે. તેસમ્યગ્દષ્ટિદેવ ક્ષત્રિય રાજાના જેવા આત્મા હોવાથી અને હાલ પણ તેવાં કાર્યો કરતા હોવાથી ઉત્તર વૈક્રિય શરીરની અપેક્ષાએ ધનુષ્યબાણવાળી મૂર્તિ કરાય છે.
જેમ રાજાને સર્વધર્મવાળી પ્રજા માને છે, તેમ બાવન વીરોને પણ તે સર્વના ભલાનાં રક્ષક સૈનિકોની પેઠે ભાગ લેતા હોવાથી, જૈન, હિંદુ, બૌદ્ધ વગેરે ધર્મવાળાઓ માને છે, પૂંજે છે.
ડોકટરને ડોકટરની અપેક્ષાએ માનવાથી જેમ મિથ્યાત્વ લાગતું નથી અને દવા કરાવવાથી જેમ મિથ્યાત્વ લાગતું નથી, તેમ ઘંટાકર્ણ વીરને વીર તરીકે માનવાથી અને દેવાધિદેવ વીતરાગને અરિહંત દેવ તરીકે માનીને પુજવાથી લોકોત્તર મિથ્યાત્વ લાગતું નથી..
ઘંટાકર્ણ વીર છે, તે અવિરત સમ્યગદષ્ટિદેવ છે. તે ચોથા ગુણઠાણામાં જૈન ગૃહસ્થ જેવા છે, તેથી આપણે શ્રાવકો તેમને પોતાના શ્રાવકબંધુઓ જેવા પ્રિય ગણી તેમના ગુણોની સ્તુતિ કરીએ, તેમની મૂર્તિ આગળ ધૂપ, દીપ નૈવેધ ધરીએ, તેથી કંઈ સમકિતમાં દૂષણ લાગતું નથી. જો તેમને તીર્થંકર દેવ તરીકે માનીએ તો મિથ્યાત્વ લાગે.
જૈનો, રાજા વગેરેને પોતાના સ્વાર્થ માટે પ્રાર્થે છે, રાજા વગેરેનો વિનય કરે છે, તેથી જેમ તેઓને મિથ્યાત્વ લાગતું નથી, તેમ ઘંટાકર્ણ વગેરે શાસન યક્ષ દેવોની ધર્મ કર્મમાં સહાયતા માગવાથી લોકોત્તર મિથ્યાત્વ લાગતું નથી.
Jain Educationa International
૧૬
For Personal and Private Use Only
www.jainelibrary.org