Book Title: Bhavan Vibhavan Author(s): Kumarpal Desai Publisher: Jaibhikkhu Sahitya Trust View full book textPage 8
________________ ભાવન-વિભાવન પોતે કરીને પાણિનિ, ભટ્ટજી દીક્ષિત અને ભટ્ટિ એ ત્રણેય વૈયાકરણોનું કામ એકલે હાથે કર્યું. એમના આ વ્યાકરણગ્રંથે વર્ધમાનસૂરિ અને બુદ્ધિસાગરસૂરિજીના વ્યાકરણગ્રંથોને વિસ્તૃત કરી દીધા. પાણિનિના સંસ્કૃત વ્યાકરણ પછીનું એક બીજું નોંધપાત્ર વ્યાકરણ તે “સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન' ગણાય છે. પાણિનિનાં સૂત્રોની યોજના કરતાં હેમચંદ્રાચાર્યનાં સૂત્રોની યોજનામાં અભ્યાસકને તે સુગમ થાય તેનો ખ્યાલ રખાયો છે. અભ્યાસ અર્થે ગ્રંથ રચવાનો ઉદ્દેશ હોવાથી જ જ્યાં પૂર્વાચાર્યનાં સૂત્રોથી કામ ચાલ્યું ત્યાં એ જ સૂત્રો એમણે કાયમ રાખ્યાં છે. આથી શાકટાયન અને હેમચંદ્રાચાર્યનાં સૂત્રોમાં મોટું સામ્ય જોવા મળે છે. જ્યાં દોષ, ત્રુટિ કે દુર્બોધતા દેખાય ત્યાં મૌલિક ઉમેરણથી સૂત્રોને સુગ્રાહ્ય બનાવવાનો પ્રયાસ કર્યો છે. એક વર્ષમાં આ વ્યાકરણનાં સૂત્રો અને લઘુવૃત્તિ તેમણે રચ્યાં હશે. એની બૃહદ્રવૃત્તિ અને બીજાં અંગોનું નિર્માણ તેમણે પછીથી કર્યું હશે. મૂળસૂત્ર, ધાતુ, ગણપાઠ, ઉણાદિ પ્રત્યય અને લિંગાનુશાસન – એમ પંચાંગી વ્યાકરણની રચના એમણે સવા લાખ શ્લોકોમાં કરી હતી. મેરૂતુંગાચાર્યે પણ નોંધ્યું છે કે હેમચંદ્રાચાર્યે આ વ્યાકરણ સવા લાખ શ્લોકોનું રચ્યું હતું. આ વ્યાકરણના પાઠ અધ્યાય છે. એની કુલ સુત્રસંખ્યા ૪૬૮૫ છે. પ્રાકૃત વ્યાકરણને લગતાં સૂત્રો બાદ કરીએ તો સંસ્કૃત વ્યાકરણનાં ૩પ૬૬ સૂત્રો મળે છે. આ વ્યાકરણગ્રંથના આઠમા અધ્યાયમાં મળતી પ્રાકૃત અને અપભ્રંશની ચર્ચા એ આ ગ્રંથની અભ્યાસીઓને આકર્ષતી વિશેષતા છે, જે મ પાણિનિએ ‘અષ્ટાધ્યાયી' નામના સર્વોત્કૃષ્ટ વ્યાકરણમાં વૈદિક વ્યાકરણ પ્રયોજ્યું છે, એ જ રીતે હેમચંદ્રાચાર્ય સિદ્ધહેમ'ના આઠમા અધ્યાયમાં પ્રાકૃત અને અપભ્રંશ - પ્રાચીન ગુજરાતી ભાષાનું વ્યાકરણ યોજ્યું છે. એમનું પ્રાકૃત વ્યાકરણ બધાં હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના પ્રાકૃત વ્યાકરણોમાં વધુ પૂર્ણ અને વ્યવસ્થિત છે. એમના અપભ્રંશ વ્યાકરણે અપભ્રંશ સાહિત્યની રસસમૃદ્ધિનો ખરેખરો પરિચય કરાવ્યો. આ વ્યાકરણ સંક્ષિપ્ત હોવા છતાં એમાં બધાં અંગોનો સમાવેશ થયો છે. આમ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાનું ‘સિદ્ધહેમ' જેવું વ્યાકરણ એ પછી અદ્યાપિ લખાયું નથી. અભ્યાસીને અનુકુળ એવી આની વિષયગોઠવણી અને પરિભાષાને કારણે એફ. કીલહૉર્ન (E. Keilhorn) આને ‘The best grammar of the Indian middle ages' કહે છે. પ્રાચીન ભાષાઓના પ્રત્યેક અભ્યાસીને માટે ‘સિદ્ધહેમ ” અનિવાર્ય પ્રવેશદ્વાર ગણાય. આ વ્યાકરણે રાજા સિદ્ધરાજ અને આચાર્ય હેમચંદ્રની અસર કીર્તિ સમગ્ર દેશમાં પ્રસરાવી. આ વ્યાકરણને હાથી પર અંબાડીમાં મૂકીને ધામધૂમથી પાટણમાં એની શોભાયાત્રા કાઢવામાં આવી. એ રીતે ગુજરાતમાં વિદ્યાપ્રતિષ્ઠાનો પ્રારંભ થયો. સિદ્ધરાજે રાજ્યના ત્રણસો લહિયા રોકીને આની અનેક પ્રતિલિપિઓ તૈયાર કરાવી, એટલું જ નહિ પરંતુ અંગ, બંગ, કોંકણ, કર્ણાટક તેમજ કાશ્મીર સુધી આખા દેશમાં તેમજ નેપાળ, શ્રીલંકા અને ઈરાન જેવા દૂર દૂરના દેશોમાં એની પ્રતિલિપિઓ મોકલાવી. ગુજરાતી વિદ્વત્તાની જ્ઞાનજ્યોત એમ એવી સુંદર રીતે પ્રગટી કે એનો પ્રકાશ પહેલી વાર દેશના સીમાડાઓને વીંધીને દેશપાર ગયો. વાણિજ્યમાં દેશાવર ખેડનાર ગુજરાતે જ્ઞાનપ્રસારમાં પહેલી વાર દેશાવર ખેડ્યો, આ ગ્રંથ પર વિદ્યાધરગણિ દેવાનંદ અને વાયટગચ્છીય અમરચંદ્રસૂરિએ રચનાઓ કરી છે. ‘સિદ્ધહેમ'ની રચના પછી લગભગ ત્રણસો વર્ષ બાદ વિ. સં. ૧૪૯૨માં જિનમંડનગણિએ એમના ‘કુમારપાળ પ્રબંધ 'માં લખ્યું કે “શબ્દસમુદ્રના પારગામી હેમચંદ્રાચાર્યે એકલાએ આવું શબ્દાનુશાસન રચ્યું. તેમની મતિની કઈ રીતે સ્તુતિ કરીએ ?'''' એમ કહીને હેમચંદ્રના વ્યાકરણની પ્રશસ્તિરૂપે પોતાના સમયમાં ચાલતી ઉક્તિનો નીચે પ્રમાણે ઉલ્લેખ કર્યો છે :Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 101