Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
"ચૂલિકા સૂત્ર"ના નામે પ્રસિદ્ધ છે. કોઈ અધ્યયન કે ગ્રંથોના અવશિષ્ટ—શેષ રહી ગયેલ વિષયોનું વર્ણન જેમાં કરવામાં આવે છે તે ચૂલિકા કહેવાય છે. દશવૈકાલિક અને મહાનિશીથ સૂત્રના અંતમાં પણ ચૂલિકા, ચૂલા કે ચુડા જોવા મળે છે. વર્તમાન યુગની ભાષામાં ચૂલિકા એટલે પરિશિષ્ટ. નંદીસૂત્ર અને અનુયોગદ્વાર સૂત્ર આગમ સાહિત્યના અધ્યયન માટે પરિશિષ્ટનું કાર્ય કરે છે. પાંચ જ્ઞાનરૂપ નંદી મંગલ સ્વરૂપ છે તો અનુયોગદ્વાર સૂત્ર સમગ્ર આગમો અને તેની વ્યાખ્યાઓ સમજવા માટે ચાવી સદશ છે. આ બંને આગમ એક બીજાના પૂરક છે. આગમોના વર્ગીકરણમાં આ બંનેનું સ્થાન "ચૂલિકા" રૂપે છે. જેમ કોઈ ભવ્ય મંદિર તેના શિખરથી વધુ શોભા પામે છે તેમ આગમ મંદિર પણ નંદી અને અનુયોગદ્વાર રૂપી શિખરથી વધુ ઝગમગે છે.
શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજમાં આ સૂત્રની ચૂલિકાસૂત્રમાં ગણતરી થાય છે જ્યારે સ્થાનકવાસી આચાર્યોએ આ સૂત્રની ચાર મૂળસૂત્રોમાં ગણતરી કરી છે. વર્તમાનમાં પણ તે અનુસાર પરંપરા પ્રચલિત હોવાથી પ્રસ્તુત સંસ્કરણમાં આ સૂત્રને ચોથા મૂળ સૂત્ર રૂપે અંકિત કર્યું છે. આ રીતે આ સૂત્રની બે પ્રકારે મહત્તા છે– (૧) ચૂલિકા એટલે શિખરસ્થ (૨) મૂલ એટલે મૌલિક અથવા મૂળભૂત શાસ્ત્ર.
બંને પ્રકારના વિભાજન સમય સમયની અપેક્ષાને લઈને થયા છે. આગમ
વર્ણનની અપેક્ષાએ તો આ સૂત્ર અંગબાહ્ય ઉત્કાલિક સૂત્ર છે. આગમમાં આ સૂત્રને ચૂલિકાસૂત્ર કે મૂળસૂત્ર કહેલ નથી. તે બંને કથન પરંપરાના આધારે જુદી જુદી અપેક્ષાથી પ્રચલિત છે.
અનુયોગનો અર્થ વ્યાખ્યા કે વિવેચન છે. તેથી જ ભદ્રબાહુ સ્વામીએ આવશ્યક નિર્યુક્તિમાં નિયોગ, ભાષા—વિભાષા, વાર્તિક અને અનુયોગના પર્યાયવાચી શબ્દ કહ્યા છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના સમયમાં સૂત્રની જે વ્યાખ્યા પદ્ધતિ હતી તે વ્યાખ્યા પદ્ધતિનું વિકસિત અને પરિચય રૂપ સહજરૂપે અનુયોગદ્વાર સૂત્રમાં જોવા મળે છે. તત્પશ્ચાત્ લખાયેલા જૈનાગમોના વ્યાખ્યા સાહિત્યમાં અનુયોગદ્વારની જ શૈલી સ્વીકારવામાં આવી છે.
અનુયોગદ્વાર સૂત્રનો વિષય પરિચય :
અનુયોગદ્વાર સૂત્રમાં દ્રવ્યાનુયોગની પ્રધાનતા છે. તેના ચાર દ્વાર છે. ૧૮૯૯
42