Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
છતાં પણ દેવગિણિ ક્ષમાશ્રમણે' શરૂ કરેલી ગ્રંથીીકરણની પરંપરાને પુષ્ટ કરવા માટે અનેક શ્રમણ શ્રેષ્ઠોએ તેમ જ શ્રાવક શ્રેષ્ઠોએ ઘણું મોટું યોગદાન આપ્યું છે. શ્રી હરિભદ્ર સૂરિશ્વરજી', ‘શ્રી હેમચંદ્રાચાર્યજી', “શ્રી યશોવિજયજી' જેવા ગીતાર્થ મૂર્ધન્ય મહાપુરુષોએ શ્રુતનું સર્જન કર્યું, તો કુમારપાળ મહારાજા, વસ્તુપાળ, તેજપાળ, પેથડશાહ વગેરે મંત્રીશ્વરોએ કરોડો સોનામહોરોનો સદ્વ્યય કરી હજારો જ્ઞાનભંડારોનું નિર્માણ કર્યું હતું. વિ.સં. ૧૪૦૦થી ૧૫૧૫ના ગાળામાં હજારો હસ્તલિખિત હસ્તપ્રતો (ગ્રંથો) લખાઈ અને વિવિધ જ્ઞાનભંડારોમાં મુકાઈ. આમ ધીરે ધીરે લેખન કાર્યનો વિકાસ થયો અને તે વિકાસ મધ્યકાલીન યુગમાં પુરબહારમાં ખીલ્યો હતો.
આ હસ્તલિખિત ગ્રંથો (હસ્તપ્રતો) પ્રથમ તાડપત્ર પર લખાતાં હતા. કાળક્રમે ચીનમાં કાગળની શોધ થતાં બારમી સદી પછી કાગળ પર પ્રતો લખાવા માંડી. | વિક્રમ સંવતની સોળમી શતાબ્દીમાં વીર લોકાશાહે પણ આ દિશામાં ક્રાન્તિકારી પ્રયત્ન કર્યો. આગમોના શુદ્ધ અને યથાર્થ અર્થજ્ઞાનને નિરૂપિત કરવા એક સાહસિક ઉપક્રમ ફરીથી ચાલુ થયો. પરંતુ થોડા સમય પછી તેમાં પણ સાંપ્રદાયિક વિદ્વેષથી વ્યવધાન ઉપસ્થિત થવા લાગ્યા. સૈદ્ધાંતિક વિગ્રહ તથા લિપિકારોનું અત્યંત ઓછા જ્ઞાનને કારણે આગમોની અનુપલબ્ધિના કારણે સમ્યક અર્થબોધ પામવામાં ઘણું મોટું વિઘ્ન આવ્યું.
ઓગણીસમી શતાબ્દીના પ્રથમ ચરણમાં મુદ્રણની શોધ થતાં આગમ ગ્રંથોનું મુદ્રણ થવા લાગ્યું. તેમાં પણ આગમ-દિવાકર શ્રી આનંદસાગરસૂરિ મહારાજશ્રીનું આગમ ગ્રંથોનું મુદ્રણ, સંશોધન, સંપાદનકાર્ય અદ્વિતીય ગણાય છે.
ત્યાર પછી આગમોનું પૂર્ણતઃ હિંદી અનુવાદનું પ્રકાશન સર્વપ્રથમ આગમ વિદ્વાન સમાદરણીય મુનિશ્રી અમોલખ ઋષિએ કરાવ્યું. પૂજ્ય ઘાસીલાલજી મહારાજે સ્વરચિત સંસ્કૃત ટીકાસાથે હિંદી ગુજરાતી ભાષામાં ૩ર આગામોનું પ્રકાશન કરાવ્યું. પૂજ્ય આત્મારામજી મહારાજએ આગમોનું હિંદી અનુવાદનું કાર્ય કર્યું. શ્રમણસંઘના યુવાચાર્ય પૂ. શ્રી મધુકરમુનિએ હિંદી વિવેચન સહ આગમ બત્રીસીનું પ્રકાશન કર્યું. આગમ મનીષી શ્રી ત્રિલોક મુનિએ બત્રીસ શાસ્ત્રોનો હિંદીમાં સારાંશ પ્રકાશિત કરાવ્યો છે કે જે સામાન્ય અને પ્રૌઢ બન્ને સ્વાધ્યાયીઓને ઉપયોગી છે.
આમ મુદ્રણની શોધનાં ફળસ્વરૂપે આગમોની પઠન-પાઠનની પ્રવૃત્તિ વધી. સરળ ભાષામાં વિવિધ ગ્રંથો છપાવા લાગ્યા. તેમ જ આજે એકવીસમી સદીમાં કંપ્યુટરની શોધ થતાં સીડીમાં પણ આગમ સાહિત્યની સાચવણી કરવામાં આવી રહી છે.
વર્તમાનમાં જૈનસાહિત્ય અર્ધમાગધી, પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ ગુજરાતી, હિન્દી, તામિલ, કન્નડ, મરાઠી તેમ જ અંગ્રેજી અને અન્ય પ્રાંતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. આજે આપણી પાસે જે પવિત્ર અને મહાન ગ્રંથોનો વારસો સચવાઈને આવ્યો છે તે હસ્તલેખનની પરંપરાને જ આભારી છે. હસ્તલેખન શૈલી
પ્રાચીન ભારતમાં લખવાની પરંપરા આદિકાળથી હતી, તેના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. લિપિનું જ્ઞાન ભગવાન ઋષભદેવથી ચાલુ હતું. “શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં પુસ્તક લેખનને ‘આર્યશિલ્પ’ કહ્યું છે.