Book Title: Hem Sangoshthi
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
૧૧
* આત્મા સિવાયના પદાર્થોમાં સંતોષ માનનાર મૂર્ણ મનુષ્યની આત્મજ્યોતિ અંદર અંદર જ ઢંકાયેલી રહે છે, જ્યારે બાહ્ય પદાર્થોમાંના સુખની ભ્રાન્તિ નિવૃત્ત થવાથી જ્ઞાની થયેલ યોગી પોતે પોતાના આત્મામાં તુષ્ટ કે મસ્ત રહે છે. ૧૯ આવા આત્મજ્ઞાનવાંછુ મનુષ્યો આત્મજ્ઞાન પ્રાપ્ત થતાં આપોઆપ જ અવ્યયપદ એટલે કે નિર્વાણ પામે છે એ ચોક્કસ છે. ૨૦ આત્મજ્ઞાનથી જ આત્માને પરમાત્મપણાનો અનુભવ થાય છે. ૨૧ યોગીને પૂર્વજન્મના સંસ્કારથી તત્ત્વનો પ્રકાશ લાધે છે; એ માટે ઉપદેશની જરૂર રહેતી નથી. અહીં હેમચંદ્રાચાર્ય વિન પદ પ્રયોજીને પરંપરાની માન્યતાનો નિર્દેશ કરતા હોય તેમ લાગે છે, અથવા આ બાબત શાસ્ત્રગમ્ય નહીં પણ અનુભવગમ્ય હોવાનું પણ સૂચવતા હોય એવું સંભવિત છે. વિકલ્પ, કદાચ પોતાની જાતના કે પોતાના પરિચિત યોગીઓના અનુભવને આધારે, હેમચંદ્રાચાર્ય ઉમેરે છે કે ગુરુચરણની ઉપાસના કરનાર, પ્રશાન્ત અને શુદ્ધ થયેલા ચિત્તવાળા યોગીને ગુરુકૃપાથી આ જન્મમાં જીવતેજીવત જ તત્ત્વનો સાક્ષાત્કાર થઈ જાય છે એમાં શંકા નથી. ૨૩
આના પ્રથમ પગથિયા રૂપે હેમચંદ્રાચાર્યે ગુરૂનો આશ્રય લેવાની ભલામણ કરતાં કહ્યું છે કે ગુરુ તત્ત્વજ્ઞાનનો ઉપદેશ કરીને તેનું દર્શન અર્થાત અનુભવ કરાવે છે, અજ્ઞાનરૂપ અંધકારને હરાવે છે, માટે પ્રાણાયામ વગેરે ક્લેશમય પ્રવૃત્તિનો પરિત્યાગ કરીને યોગાભ્યાસીએ ગુરુ પાસે જઈ આત્મસાધના પ્રત્યે રુચિ રાખવી. ૨૪ અહીં હેમચંદ્રાચાર્ય ઉપનિષદોમાંના શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુની “ઉપસત્તિ ના ઉપદેશનો પડઘો પાડતા હોય એવું લાગે છે.
આત્મા અને શરીરને ભિન્ન તરીકે અનુભવતા યોગાભ્યાસીઓએ મન, વચન અને કાયાની ચંચળતાને પ્રયત્નપૂર્વક ટાળીને શાન્ત બનવું. ૨૫ એકદમ ઉદાસીનતા પરાયણ વૃત્તિ ધારણ કરવી અને કોઈ જ બાબતનું ચિંતન ન કરવું, કેમ કે સંકલ્પવિકલ્પોને લીધે ચિત્ત સ્થિરતા પ્રાપ્ત કરી શકતું નથી. મન, વચન, કાયાથી એકાગ્રતા માટે લેશમાત્ર પણ પ્રયત્ન કે સંકલ્પયુક્ત કલ્પના ન કરવી, કારણ કે પ્રયત્ન કે સંકલ્પકલ્પના હોય ત્યાં સુધી ચિત્ત લય પામતું નથી. ઉદાસીનવૃત્તિપરાયણ યોગીને તત્ત્વનો સાક્ષાત્કાર, અર્થાત અનુભવ, સ્વયંપ્રકાશ હોય છે; એનું વર્ણન કે વિશ્લેષણ તો ગુરુ પણ કરી શકતા નથી ૨૭ અહીં હેમચંદ્રાચાર્ય આડકતરી કબૂલાત કરતા લાગે છે કે આત્માનુભવ એ શાસ્ત્રમાંના આત્મવિષયક ભિન્નભિન્ન દર્શનોના શાસ્ત્રીય નિરૂપણોથી વિલક્ષણ એવો કેવળ સ્વાનુભવગમ્ય ગૂઢ અવર્ણનીય અનુભવ છે. ઉપનિષદો પણ આવું જ કહે છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org