Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
અગ્નિકાંડમાંથી ચમત્કારિક બચાવ !
અગ્નિકાંડમાંથી ચમત્કારિક બચાવ ! જેઠ સુદ-૧૦ના દિવસે માણેકપુરમાં ગુરુમંદિરની પ્રતિષ્ઠા બાદ સાંજે પૂજ્યશ્રીએ વિહાર કર્યો... લીંબોદ્રા રાત્રિવાસ કર્યો અને બીજા દિવસે ત્યાંથી વિહાર કરી બાલવા ગામમાં પધાર્યા. આખો દિવસ ત્યાં જ પસાર કરી રાતવાસો પણ ત્યાં જ કર્યો... જેઠ સુદ ૧૨ની સવારે બાલવાથી ઉનાવા દર્શન કરી રાંધેજા પધાર્યા... બપોરના ગોચરી-પાણી કરીને સાંજે પેથાપુર જવા વિહાર કર્યો... લગભગ સંધ્યા અવસરે મહુડી-ગાંધીનગર હાઈવે ઉપર પેથાપુર ચોકડીએ પહોંચ્યા... પેથાપુર ગામમાં એક કિલોમીટર અંદર જઈ સવારે પાછા બહાર આવવું પડે તેથી જો બહાર જ ક્યાંય સંથારો કરી લેવામાં આવે તો તેટલું ચાલવાનું ઓછું થાય તેવો વિચાર થયો. તપાસ કરતાં ચોકડી ઉપર જ અરજણભાઈ પટેલની લાકડાની લાતી પટેલ સો મીલમાં ઉતારો કરવાનું નક્કી થયુ... કાળઝાળ ગરમીની મોસમમાં બહાર ઓફિસના ઓટલા
ઉપર જ સંથારો કર્યો.. લાતીના માલિકને સાધુ મહાત્માનો ખાસ પરિચય ન હોવાથી તેની ભાવનાનુસાર રાત્રિના ૧૧ વાગ્યા સુધી સત્સંગ કર્યા બાદ સૌ સંથારી ગયા..
| નિત્યક્રમ મુજબ સવારે ૩.૨૫ કલાકે પૂજ્યશ્રી ઉઠ્યા અને જાપમાં બેસવાની ભાવના વ્યક્ત કરી... મુનિ હેમવલ્લભવિજયજીએ જાપ માટેની તૈયારીઓ કરાવીને આસન, જાપના-પટ વગેરે ગોઠવી આપ્યા...પૂજ્યશ્રીએ આહ્વાન વિધિનો પ્રારંભ કર્યો... મુનિરાજ થોડીવાર સુવા માટે આડા પડ્યા પરંતુ ઊંઘ ન આવવાથી પાંચ મિનિટમાં પડખું ફર્યા ત્યાં જ લાતીના વર્કશોપના છાપરામાં બે વાર ભડકા થતાં જોયા... હજુ કંઈ વિચારે ત્યાં તો ભડકાઓ વધવા લાગ્યા... આગ લાગતી હોવાના એંધાણ આવતાં તરત જ પૂજ્યશ્રીને વાકેફ કરી તાત્કાલિક જાપનો સામાન સમેટીને પૂજયશ્રીને કામળી ઓઢાડીને રોડ ઉપર લાવ્યા... સાથે રહેલા શ્રાવક હસમુખભાઈને ઉઠાડીને માલિકને સમાચાર આપવા જણાવ્યું... સાથે રહેલા મુનિ નયનરત્નવિજયજીને ઉઠાડી ઉપધિ ખસેડવાનું શરૂ કર્યું... પૂજ્યશ્રીને રોડ ઉપર બેસાડી મુનિ હેમવલ્લભવિજયજી ઉપાધિ લેવા પાછા ફર્યા અને જેટલી હાથમાં આવે તેટલી ઉપધિ લઈ લીધી... ચારેકોર હો... હા... થઈ ગઈ... સુકા લાકડાથી ભરેલી લાતી સળગવાથી આગે ભીષણ સ્વરૂપ પકડ્યું... બાજુની જગ્યામાં રહેલી ગાય-ભેંસો તાત્કાલિક છોડવામાં આવી... આખા હાઈ-વે ઉપર દોડાદોડ થઈ ગઈ... તાત્કાલિક બંબાવાળાઓને સમાચાર મોકલવામાં આવ્યા પરંતુ તે આવે તે દરમ્યાન માત્ર દશ મિનિટમાં તો લગભગ આખી લાતી વિકરાળ અગ્નિના સપાટામાં આવી ભસ્મીભૂત થઈ... સાત બંબાઓ આવ્યા. સળગતા લાકડાઓને ઠારવાનું કામ કરવા
36