Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
સિદ્ધગિરિ તીર્થાધિરાજના ઉત્તુંગ શિખરે બિરાજમાન તીર્થપતિ, યુગાદિદેવ, વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થકર શ્રી ઋષભજિનરાજના જિનાલયના પ્રાંગણમાં પ્રવેશ કરતાં જ પૂજ્યશ્રી દાદાના જિનાલય સમક્ષ નતમસ્તક ઝૂકી ગયા અને ડાબી બાજુથી ભમતીમાં ફરવા સાથે પ્રથમ પ્રદક્ષિણાનો પ્રારંભ કર્યો... ‘શ્વાસે શ્વાસે સમરું સ્વામી, મારા પ્રાણ તણાં આધાર....' એવા બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ પ્રભુની દેરી પાસે આવી અટકી ગયા, દર્શન કરતાં જ હૈયું પુલકિત બની ગયું....ઉછળતા ભાવે દર્શન કરી આગળ વધતાં ત્રણ પ્રદક્ષિણા પૂર્ણ કરી દાદાના દરબારમાં પ્રવેશ કરતાં જ અનેરો રોમાંચ અનુભવતાં મનોમન ભાવના ભાવવા લાગ્યા કે....
આજ મનોરથ મારો ફલીયો, શ્રી આદેશ્વર મલીયો રે; દુર્ગતિનો ભય દૂર કલીયો, પાયો પુણ્ય પોટલીયો રે.....
દાદાના દર્શન કરતાં હર્ષોલ્લાસથી સજળ થયેલા નેત્રે એકીટશે જોતાં જ રહ્યા અને ચિંતનની કેડીએ પગરવ માંડ્યો.....
અમે તો તમારા, તમે તો અમારા; સંબંધો છે આપણા, પુરાણાપુરાણા....
બસ મન મુકીને દાદાની ભક્તિ કરવા લાગ્યા. સૌ ભાવુકો સાથે જોડાયા. બે વાગ્યા સુધી ધરાઇ ધરાઇને ભક્તિ કરી. જીવનમાં દાદાના અંતિમ દર્શન પામી ગદ્ગદ્ હૈયે દાદાના દરબારમાંથી બહાર આવ્યા.... છ'રીપાલિત સંઘના ભાવુકો સાથે ઘેટીની બારીથી નીચે ઘેટી પાગ તરફ ઉતરવાનું શરૂ થયું.... લગભગ પોણાત્રણ વાગે ઘેટીપાગની ધર્મશાળામાં પધાર્યા ત્યાં જ સંઘના આરાધકોના પ્રથમ આયંબિલની વ્યવસ્થા હોવાથી પૂજ્યશ્રીએ પણ ત્યાં જ આયંબિલ કર્યું અને સંઘનો પહેલો પડાવ ઘટી ગામની સીમમાં રાખવામાં આવ્યો હતો ત્યાં પહોંચવા સાંજે પાંચ વાગે પ્રયાણ થયું અને છ વાગે મંડપના પ્રાંગણમાં પહોંચી ગયા હતા.... સાંજે સંધ્યાભક્તિ, પ્રતિક્રમણ અને પરમાત્માભક્તિ દ્વારા પ્રથમ દિવસની પૂર્ણાહુતિ થઈ....બીજા દિવસનો મુકામ
માનગઢ ગામની નજીકમાં રાખવામાં આવ્યો હતો. અંતિમ પ્રતિષ્ઠા:
કારતક વદ બીજ, રવિવાર તા. ૨-૧૨-૨૦૦૧ ની નવલી પ્રભાતે માનગઢ ગામના પડાવથી પૂજ્યશ્રી સાથે સંઘનું પ્રયાણ થયું.... સંઘના આરાધકો માટે ગારીયાધાર ગામના પાદરમાં સંઘના તંબૂઓ બંધાયેલા... ત્યાંથી ગારીયાધારની શાંતિનાથ સોસાયટીમાં દાઠા ગામના વતની સુશ્રાવક પ્રતાપભાઈ મોહનલાલ શાહ પરિવાર દ્વારા નવનિર્મિત નૂતન જિનાલય મધ્ય પરિકરની અંજનશલાકા તથા અજાહરા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા પ્રસંગે સકળ સંઘનું સામૈયું થયું. તે અવસરે મહુવા ચાતુર્માસ બિરાજમાન સાધિક ૧૦૦+૯૩ ઓળીના આરાધક પ. પૂ. જિનસેનવિજયજી મહારાજ સાહેબ, પ.પૂ. વજસેનવિજયજી મહારાજ સાહેબ તથા પૂજ્યશ્રીને ગિરનાર ગિરિવરની સ્પર્શના કરાવવા તેઓશ્રીની ખુરશીને ખભે ઉપાડી લઈ જવા થનગની રહેલા પ.પૂ. હેમપ્રભવિજયજી મહારાજ સાહેબ આદિ મુનિભગવંતો માત્ર બે દિવસમાં ૭૫ કિલોમીટરનો ઉગ્ર વિહાર કરી ગારીયાધાર પધારી ગયા હતા... સુશ્રાવકે પ્રતાપભાઈ શાહ પરિવાર દ્વારા નવનિર્મિત નૂતન ઉપાશ્રયનું ઉદ્ઘાટન થયું... પૂજ્યશ્રીના જ સ્વહસ્તે સં. ૨૦૪૯ની સાલમાં વાસણા મળે અંજનશલાકા થયેલ રક્તવર્ણના પાર્શ્વનાથ પરમાત્માની પ્રતિષ્ઠા તથા સંગેમરમરના રક્તવર્ણના નૂતન પરિકરની અંજનશલાકા-પ્રતિષ્ઠા મંગલમુહૂર્ત પૂજ્યશ્રીના સ્વહસ્તે સકળ સંઘના ભાવોલ્લાસપૂર્વક કરવામાં આવી... બીજા દિવસે મંગલપ્રભાતે શુભ મુહૂર્ત નૂતન જિનાલયનો દ્વારોદ્ધાટનનો પ્રસંગ થયો...
પૂજ્યશ્રીનું સંઘ સાથે ગરવા ગિરનાર તરફ પ્રયાણ થયું.. માર્ગમાં જૈનઅજૈનોમાં પ્રભુશાસનની પ્રભાવના કરાવતાં કરાવતાં સંઘ આગળ વધી રહ્યો હતો... સંઘના પ્રથમ દિવસથી જ મુખ્ય સંઘપતિ સુશ્રાવક પ્રકાશભાઈ વસાએ