Book Title: Vismi Sadini Viral Vibhuti Part 01
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
અરિહંત... અરિહંત... અરિહંત... અરિહંત.. અરિહંત... અરિહંત... અરિહંત.. અરિહંત... અરિહંત... નેમિનાથ... નેમિનાથ... અરિહંત અરિહંત.. નેમિનાથ... નેમિનાથ.. અરિહંત... કલાકોના કલાકો સુધી આ ધૂનની ધારા વહાવતાં. પૂજ્યશ્રી તેમાં અંતર્લીન થઈ જવાથી દેહની વેદનાને ભૂલી જતાં... એક દિવસ અમદાવાદના સુશ્રાવકે કુમુદભાઈ વેલચંદ આવ્યા અને રાત્રે સાહેબજીને ખૂબ ભાવપૂર્વક મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ વિરચિત ‘અમૃતવેલની સજઝાય' સંભળાવતાં તેઓશ્રી ઉપશમરસનું અમૃતપાન કરવા લાગ્યા. વિહાર કરવાની પ્રતિકૂળતા હોવા છતાં પર્યાયસ્થવિર પૂ. દિવ્યાનંદ મહારાજ સાહેબ જામનગરથી કષ્ટદાયી વિહાર કરીને પૂજ્યશ્રીના દર્શન કરવા માગશર સુદ આઠમના પધાર્યા...
માગશર સુદ દસમની મંગલ પ્રભાતે સાહેબને હવે ઝાઝો સમય આ કાયા સાથે રહેવાનો નથી અને આજનો દિવસ જીવનનો અંતિમ દિન હોવાની સંભાવના લાગતી હોવાથી સવારે જ ઉપવાસના પચ્ચકખાણ લીધા અને સંપૂર્ણ દિવસ દરમ્યાન અમદાવાદથી આવેલ સુશ્રાવક જયેન્દ્રભાઈ, રાજુભાઈ, વિપુલભાઈ આદિએ કલાકો સુધી પરમાત્માભક્તિના સ્તવનાદિ સંભળાવી પૂજ્યશ્રીને શાતા આપવાના પ્રયાસો કર્યા, પરંતુ કર્મરાજાને આ ભવનો હજુ થોડો હિસાબ બાકી હોવાથી આજે જ આ દેહ છોડી તેમનો આત્મા પરલોકમાં જાય તે તેને મંજૂર ન હતું... તેણે તો પૂજ્યશ્રીની સમતા અને સમાધિ ઉપર વિજય મેળવવા પોતાના સૈન્યની ફોજની ફોજને રણમેદાનમાં ઉતારી દીધી હતી. તેમાં માગશર સુદ બારસની બપોરથી તો ભીષણ યુદ્ધનો પ્રારંભ થઈ ચૂક્યો હતો..
પૂજ્યશ્રી તો ધીરતા, ગંભીરતા, અડગતા અને સમતાના શસ્ત્રો વડે
નિર્ભયતાપૂર્વક શત્રુસૈન્યના પ્રહારનો સામનો કરતાં ‘અરિહંત’ ‘અરિહંત'ના નાદ સાથે શૌર્યપૂર્વક આવેગ, આક્રોશ, અસહિષ્ણુતા, વિહ્વળતા, દીનતા, અસમાધિ આદિ અનેક શત્રુસૈન્યને મહાત કરી ફોજોની ફોજોનો કચ્ચરઘાણ વાળી રહ્યા હતા. આખી રાતના આ તુમુલ યુદ્ધના થાકના કારણે માગશર સુદ તેરસના સવારથી અનંત તીર્થંકર પરમાત્માની કલ્યાણકભૂમિ એવા આ ગિરનાર ગિરવિરના સીધા જ દર્શન કરી વિશિષ્ટ બળ મેળવવા પૂજ્યશ્રીએ પોતાનું આસન રૂમમાંથી બહારની પરશાળમાં લેવડાવ્યું. ફરી અસહ્ય વેદનાઓના જોરદાર હુમલા શરૂ થયા.
સાહેબ નશ્વર દેહની અંદરની નસો તણાતી અને તૂટતી હોય તેવી વેદના અનુભવતાં હોવાથી બે હાથ અને બે પગ પછાડતાં પછાડતાં “અરિહંત” ‘અરિહંત''ના ઉચ્ચાર સાથે સમતાપૂર્વક દર્દ સહન કરી રહ્યા હતા. કારમી વેદનાથી ઉછળતો દેહ પાટ પરથી નીચે ન પડી જાય તે માટે સાહેબે પોતાનું આસન ભૂમિ પર જ પથરાવ્યું અને ઉત્તરોત્તર પીડામાં વધારો થતો ગયો. | કર્મરાજા આ જંગ જીતવાનો મરણીયો પુરુષાર્થ કરી રહ્યો હતો અને પૂજ્યશ્રી પરાકાષ્ટાની સમતાના તીવ્ર શસ્ત્રો વડે સામનો કરી રહ્યા હતા. એકધારા લગભગ ત્રણ કલાકના આ ખુંખાર યુદ્ધને જોનારાના ગાત્રો ધ્રુજી ગયા હતા. એક તરફ અશુભ કર્મોની આખી ફોજ અને બીજી તરફ મક્કમ મનોબળવાળા આ મહાત્મા ! કયાં સુધી આ રીતે પ્રતિકાર કરી શકશે ? રખે ને કંઈ અજુગતું થઈ જાય અને અસમાધિ થાય તો ? બસ ! આ ભયથી શ્રાવકવર્ગે ડોકટરોને બોલાવી થોડો સમય બેભાન થઈ જાય અને આ વેદનમાં રાહત મળે તેવા શુભાશયથી મંદ ઘેનનું ઈન્જકશન અપાવ્યું પરંતુ અનેક પ્રહારોથી ઘાયલ થયેલ પૂજ્યશ્રીની કૃશ કાયા તેને સહન કરવા અસમર્થ બનતાં માત્ર ૨-૩ કલાકે ઘેનમાં રહે તેવા ઈન્જકશનની અસર બાર-બાર કલાક સુધી રહી હતી...
ટo
પૂજ્યશ્રી સંઘ એકતાના અરજદાર હતા...