Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સમયસુંદરે સુદીર્ઘ આયુષ્ય ભોગવ્યું હતું. પોતાની અપ્રતિમવિદ્વતા, સંયમી સાધુજીવન, ગુણગ્રાહકતા અને ઉદારચરિત વૃત્તિને લીધે તેઓ માત્ર પોતાના ગચ્છના જ નહીં પણ સમગ્ર સમાજના તેઓ સર્વસામાન્ય સાધુ બની ગયા હતા. તેમ છતાં તેમની ઉત્તરાવસ્થામાં વૃદ્ધાવસ્થાની પરાધીનતાને લીધે તેમને ઘણો માનસિક પરિતાપ વેઠવો પડ્યો હતો. તેનું એક કારણ સં. ૧૬૮૭માં ગુજરાતમાં પડેલા ભયંકર દુષ્કાળનું હતું. ઇતિહાસમાં આ દુષ્કાળને 'સત્યાસીયા દુકાળ” તરીકે વર્ણવાયેલો છે. સમયસુંદરની સઘળી કાવ્યકૃતિઓમાં તેમની સત્યાસીયા દુષ્કાળ વર્ણન છત્રીસી’ ઐતિહાસિક દષ્ટિએસવિશેષ મૂલ્યવાન છે.સં. ૧૬૮૭માં ગુજરાતમાં પડેલા એ મહાભયંકર દુકાળનો અનુભવ ખુદ કવિને પોતાને પણ થયો હતો. બુભૂક્ષ કિંન કરોતિ પાપમ્ એ ઉક્તિને સાર્થક કરનારો આ ભીષણ દુષ્કાળ મનુષ્ય પાસે કેવા કેવા પાપ કરાવે છે તેનું આબેહૂબ વર્ણન કવિએ આ છત્રીસીમાં કર્યું છે.
સમયસુંદરે ૯૦ વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું. સં. ૧૭૩૦ ના ચૈત્ર સુદ- ૧૩ ના દિવસે અમદાવાદમાં હાજાપટેલની પોળના ખરતરગચ્છ ઉપાશ્રયમાં તેઓ કાળધર્મ પામ્યા હતા. એમના એક પ્રશિષ્ય કવિ રાજસોમે તેમને અંજલિ આપતા લખ્યું છે'અણસણ કરી આણગાર,
સંવત સત્તર હો સય બિડોરે; અહમદાબાદ મઝાર - પરલોક પહુતા હો ચૈત્ર સુદિ તેરસે.”
પ્રખર વિદ્વાન, સમર્થ સાહિત્યકાર, સિદ્ધહસ્ત કવિ એવા સમયસુંદર જૈનશાસનના શણગાર હતા. તેમનું ઉત્કૃષ્ટસંયમી સાધુ જીવન અને તેમના વિપુલ સાહિત્યની નોંધ જૈન ઇતિહાસના પૃષ્ઠોમાં સુવર્ણ અક્ષરે લખાઇ છે. અગણિત વંદન હો એ મહાન જ્યોતિર્ધરને !
=જ્ઞાનધારા-૧
૧૮૪
= જનસાહિત્ય જ્ઞાનસત્ર-૧=