Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
નિગોદ અવસ્થામાં હતો ત્યારથી છે. એ અવસ્થામાંથી બહાર નીકળી અનંતાનંત ચક્કરો ચારે ગતિમાં મારતો મારતો જીવ મનુષ્યપણું પામ્યો છે, પણ કેટલાક માણસોને જેમ અપ્રિય ભૂતકાળ યાદ કરવો ગમતો નથી, તેમ મનુષ્યને પોતે વીતાવેલા એ ચક્કરોના કાળને યાદ કરવો ગમતો નથી. એ વિશે સૂઝ પણ નથી. પરંતુ માણસો જો સમજે અને પોતે આગલા જન્મોમાં કેટલાં કષ્ટો વેઠ્યાં છે અને કેટલો બધો પુરુષાર્થ કર્યો છે એ વિશે જાણે તો જ આ ચક્કરમાંથી જલદી છુટવાનો એને ભાવ થાય.
જીવનો જડ તત્ત્વ એટલે કે પુદ્ગલ સાથેનો સંબંધ અનાદિ છે એમ કહેવું સહેલું છે, પણ અનાદિની કલ્પના કરવી ઘણી અઘરી છે. અનાદિ કાળથી, નિગોદ અવસ્થાથી જીવનો જડ તત્ત્વ, પુદ્ગલ સાથે જોડાયેલા સંબંધ સતત આ મનુષ્યભવ સુધી ચાલતો આવ્યો છે.
આપણે આપણા સમગ્ર જીવનકાળ દરમિયાન આહાર માટે અને અન્ય વપરાશ માટે જે બધાં પુદ્ગલ પરમાણુઓનો ઉપયોગ કરીએ છીએ તેના જેટલો ઢગલો કરીને કોઈ આપણને બતાવે તો આશ્ચર્યચકિત થઈ જવાય. માણસ પોતાના સિત્તેર, એંસી કે સો વર્ષના આયુષ્યમાં ફક્ત અનાજ, શાકભાજી, પાણી વગેરે વાપરે છે એ બધાં એક જ સ્થળે એકત્ર કરવામાં આવે તો પણ મોટો પર્વત થઈ જાય. એક વિશાળ સરોવર કરતાં વધુ પાણી આપણે પીવામાં-નહાવાધોવામાં વાપરતાં હોઈશું. જેમ ભોજન વગેરેમાં તેમ શૌચાદિ ક્રિયામાં જે પુદ્ગલોનું આપણે વિસર્જન કરીએ છીએ એનું પ્રમાણ પણ એટલું જ મોટું છે. શ્વાસોચ્છવાસમાં પ્રાણવાયુનો ઉપયોગ એક જિંદગીમાં જે થાય છે એનો હિસાબ તો કેવી રીતે થઈ શકે?
આપણે જે પુદ્ગલ પરમાણુઓ ભોજનાદિમાં ગ્રહણ કરીએ છીએ અને એનું ઊંઝન-વિસર્જન કરીએ છીએ એમાં દરેક વખતે એનાં એ જ પરમાાણુઓનું પણ ગ્રહણ-વિસર્જન થાય છે. આ બધાંનો હિસાબ કોણ રાખે? અને આ તો વર્તમાન જીવન પૂરતી વાત થઈ. ભૂતકાળમાં જે અનંતજન્મો એકેન્દ્રિયથી મનુષ્યપણા સુધીમાં પસાર થઈ ગયો તેનો હિસાબ પણ વિચારવો જોઈએ.
જ્ઞાનધારા-૧
૨૨૧
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧