Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 04 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી ભગવતી સૂત્ર–૪
કરી મને મિથ્યા સિદ્ધ કરવા માટે તે છોડને ઉખેડીને ફેંકી દીધો હતો. તે છોડ સંયોગવશ ત્યાં નિષ્પન્ન થયો છે. તે તલપુષ્પના જીવો મરીને પુનઃ તે જ તલની ફળીમાં સાત તલ રૂપે ઉત્પન્ન થયા છે– વનસ્પતિકાયિક જીવો મરીને પુનઃ વનસ્પતિમાં ઉત્પન્ન થઈ શકે છે.” ગોશાલકે તરત જ પ્રભુના કથનની કસોટી કરવા માટે તે તલની ફળીને તોડીને જોયું તો તેમાં સાત જ તલ હતા. તે શરમાઈ ગયો અને પ્રભુથી પૃથક્ વિહાર કરી ગયો. પરંતુ ત્યારથી તેના માનસમાં પટ્ટ (એક જીવ મરીને પુનઃ તે જ શરીરમાં ઉત્પન્ન થાય છે)નો સિદ્ધાંત ઠસી ગયો.
૧૮૪
ગોશાલકને તેજોલબ્ધિની પ્રાપ્તિ અને પ્રભાવ – તત્પશ્ચાત્ પ્રભુથી અલગ રહીને ગોશાલકે છ મહિના તપ કરીને તેજોલબ્ધિને સિદ્ધ કરી. ત્યાર બાદ એકદા અષ્ટાંગ નિમિત્તના જાણકાર છ દિશાચરો (દિશાભિગ્રહચારી પાર્શ્વ પરંપરાના શ્રમણો)નો ગોશાલકને મેળાપ થયો. તે શ્રમણો પાસેથી તેમણે અષ્ટાંગ નિમિત્ત જ્ઞાન મેળવ્યું અને તે જ્ઞાનના આધારે લોકોને લાભ-અલાભ, સુખ-દુઃખ, જન્મ-મરણ, સંબંધી પ્રશ્નોના ઉત્તર આપવા લાગ્યો અને સ્વયં જિન ન હોવા છતાં જિન હોવાનો પ્રલાપ કરતો વિચરવા લાગ્યો.
ગોશાલક દ્વારા ધમકી :- તત્પશ્ચાત્ પ્રભુએ મહાન પરિષદ સમક્ષ ગૌતમ સ્વામીના પ્રશ્નના ઉત્તર રૂપે પ્રગટ કર્યું કે ગોશાલક જિન નથી, જિનપ્રલાપી છે. લોકોના મુખેથી આ કથન સાંભળીને ગોશાલક કુદ્ધ થયો. તેણે પ્રભુના શિષ્ય મુનિ આનંદ દ્વારા પ્રભુને અનર્થકારી ધમકી આપી કે જો તેઓ મારા વિષયક કાંઈ પણ અવર્ણવાદ બોલશે તો હું મારા તપ-તેજથી તેને ભસ્મીભૂત કરીશ.
પ્રભુએ અન્ય સર્વ સંતોને ગોશાલક સાથે કાંઈ પણ વાતચીત ન કરવાનો આદેશ આપ્યો. ગોશાલકનો ક્રોધાવેશ વધતો ગયો. તે પ્રભુની સમીપે પહોંચી ગયા અને આવેશ સહિત અનર્ગલ બર્ન્સના કરવા લાગ્યો. પોતાના કલ્પિત સાત પટ્ટ હિાનને પ્રગટ કર્યા.
પ્રભુએ તેના ક્રોધને શાંત કરવા હિત સૂચન કર્યું; સત્ય વસ્તુ સમજાવી પરંતુ અહંકારના નશામાં ચકચૂર બનેલો ગોશાલક પ્રભુની વાત સમજી કે સ્વીકારી શકે તેમ ન હતો. પ્રભુના બોલવાથી ગોશાલકનો ક્રોધાવેશ વધતો જતો હતો. તે પ્રભુનો તિરસ્કાર અને અપમાન કરવા લાગ્યો.
ગોશાલક દ્વારા તેજોલેશ્યાનો પ્રહાર ઃ– પ્રભુનું અપમાન તેમના શિષ્યોથી સહન ન થયું, તેથી પ્રભુની આજ્ઞા ન હોવા છતાં સર્વાનુભૂતિ અલગારે ગોશાલકને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને તેના પ્રત્યુત્તર રૂપે ગોશાલકે સર્વાનુભૂતિ અણગાર પર તેજોલેશ્યા ફેંકી. તેથી તે સંત ભસ્મીભૂત થઈ ગયા, ત્યાર પછી સુનક્ષત્ર અણગારે પણ પૂર્વવત્ પ્રયત્ન કર્યો. ગોશાલકે તેમને પણ તેજોલેશ્યાના પ્રહારથી પરિતાપિત કર્યા. તે પણ અલ્પ સમયમાં તે ઘટના સ્થળે જ દિવંગત થયા.
તેમ છતાં ગોશાલકનો ક્રોધાવેશ શાંત થયો ન હતો. પ્રભુએ તેને સત્ય દર્શન કરાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેણે પ્રભુ પર પણ તેજોલેશ્યાનો પ્રહાર કર્યો. ગોશાલકની તેજોલબ્ધિ પ્રબળ હતી પરંતુ તીર્થંકરના પરમ પુણ્યોદયે તેમને ભસ્મીભૂત કરવા સમર્થ ન હતી. તેથી પ્રભુને ભસ્મીભૂત કરી શકી નહીં. તેજોલબ્ધિ પ્રભુને પ્રદક્ષિણા કરીને પાછી ફરી અને પુનઃ ગોશાલકના શરીરમાં જ પ્રવેશ પામી. ગોશાલકના શરીરમાં
અત્યંત દાહ-પીડા થવા લાગી.
પરસ્પર ભવિષ્યવાણી :- ગોશાલકનો પ્રહાર નિષ્ફળ જવાથી તે વધુ ક્રુદ્ધ બન્યો અને અનર્થકારી ભાષા બોલવા લાગ્યો “હે આયુષ્યમન્ ! આજે ભલે તમે જીવિત રહ્યા પરંતુ છ માસમાં જ દાહજ્વરથી પીડિત થઈને, છદ્મસ્થ અવસ્થામાં જ મૃત્યુને પામશો.’’