________________
દ્વિતીય આવૃત્તિ પ્રસંગે વિવેચનકારે આલેખેલ ગ્રન્થ-પરિચય
: ૪ :
પરમ પુણ્યનિધિ શ્રી વીતરાગ સર્વજ્ઞ પરમાત્માએ વહાવેલી નિર્મળ ભારતી ભાગીરથીના અખંડ સ્રોતથી આર્યદેશ આજે પણ ગૌરવવંતો છે. અંતરની તૃષ્ણાના તાપને, વિષયાસક્તિ-જવરના દાહને અને કર્મલેપના મળને મિટાવી, ભવભ્રમણના થાક ઉતારી, મોક્ષપર્યંતના અનંત ગુણોના પાકને આત્મક્ષેત્રે પકવનારી એ ભાગીરથીથી હારીને જાણે લૌકિક ભાગીરથી સમુદ્રમાં આપધાત અર્થે ન પડતી હોય !
આ વીતરાગની વાણીને ચિરસ્થાયી રૂપમાં ગુંથી લેનાર અનેકાનેક જૈન શાસ્ત્રરતો છે. શ્રી પંચસૂત્ર એ પૈકીનું એક ભવ્ય શાસ્ત્ર છે. કર્મને પલ્લે પડેલા ભવ્ય જીવો સંસાર અટવીમાં રઝળતા રઝળતા મહામુશીબતે માનવ જીવનમાં આવ્યા પછી, એ જીવો કર્મનો સર્વનાશ નીપજાવી, માનવતા અને દિવ્યતાને ય વટાવી પરમાત્મતામાં મ્હાલતા કેવી રીતે બને, એ માટેની ક્રમિક સાધનાનું વર્ણન પંચસૂત્રમાં કરવામાં આવ્યું છે. અહિ સૂત્ર એટલે એકેક પ્રકરણ, એકેક અધિકાર, એ ગંભીર અને વિશાલ અર્થનું સંક્ષેપમાં સૂચન કરે છે એ માટે સૂત્ર કહેવાય છે.
આ શાસ્ત્રના રચયિતાનું નામ તથા ઇતિહાસ મળ્યા નથી. પરંતુ શાસ્ત્રની ભાષા આગમસૂત્ર જેવી ગદ્ય પ્રૌઢ અને ભાવવાહી હોઇને એ કોઇ બહુ પ્રાચીન અને પૂર્વનું જ્ઞાન ધરાવતા મહર્ષિની કૃતિ હોય એમ સંભવે છે. એ શાસ્ત્ર મૌલિક વાતો કહેતું હોઇ શ્રી તત્ત્વાર્થ મહાશાસ્ત્રની પૂર્વે એ રચાયું હોય એ બનવા જોગ છે. અલાબુનું દ્રષ્ટાંત વગેરે એમાંથી તત્ત્વાર્થકારે લીધા સંભવે છે.
શ્રી પંચસૂત્ર ઉપર ટૂંકું વિવેચન લખનાર મહર્ષિને કોણ નથી ઓળખતું ? ચિતોડના રાણાના સમર્થ વિદ્વાન પુરોહિત બ્રાહ્મણપણામાંથી જૈન સાધુદીક્ષા પામી, જૈનશાસનના મહાપ્રભાવક જૈનાચાર્યપદે પહોંચી જનાર, ૧૪૪૪ અજોડ શાસ્ત્રોના પ્રણેતા, ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ આ પંચસૂત્ર ઉપર વિવેચન લખે, એ ગ્રંથની મહાન ઉપયોગિતા અને ગંભીરતા સૂચવે છે. આ વિવેચનના આધારે જ ગુજરાતી ભાષામાં અહીં વિવેચન કરવામાં આવ્યું છે.
ગ્રંથનું નામ ટીકાકારના અનુસારે પંચસૂત્રક, અને ઉપાધ્યાય શ્રી યશોવિજયજી