Book Title: Kautiliya Arthashastra Darshanik Sanskrutik Parikshan
Author(s): Nitin R Desai
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 323
________________ કૌટિલ્ય ‘અર્થશાસ્ત્ર’ : દાર્શનિક-સાંસ્કૃતિક પરીક્ષણ ગામેગામ ગ્રામસ્વરાજ્ય ખિલવીને છેક નીચલા સ્તરની આમપ્રજા સ્વ-શાસિત, સ્વ-પોષિત, સ્વશિક્ષિત બની રહીને રાષ્ટ્રના નિર્માણ અને વિકાસની ખરેખરી ભાગીદાર બનવી ઘટે. રાજ્યતંત્રનું કામ રાષ્ટ્ર-નિર્માણનાં ગ્રાસસ્તરનાં વિકેન્દ્રિત કામોમાં પાયાની મુલ્કી સુવિધાઓ (infrastructure), જરૂરી આર્થિક અનુદાન, વહીવટી સંકલન ઇત્યાદિરૂપે ટેકો પૂરું પાડવાનું જ મુખ્યપણે રહે. આ રીતે કૌટિલ્યના સમયની રાજ્યતંત્રીય ફરજોને ઉત્ક્રાંતિક્રમના એક તબક્કા તરીકે મૂલવવી જોઈએ, અને કૌટિલ્યને એ સ્વરૂપે જ તે અભિપ્રેત હોવાના અનેક સંકેતો ગ્રંથમાંથી તારવી શકાય તેમ છે. ૩૦૬ (૬) પરદેશ-નીતિ સફળતા મળે તેવી સમગ્રતાની દૃષ્ટિએ પ્રાચીન-ભારતીય રાજનીતિમાં પરદેશનીતિની વિચારણા વ્યવહારુ પાસાંઓ પરત્વે તો છે જ, ઉપરાંત તાત્ત્વિક કે દાર્શનિક સ્તરે, પણ થયેલી છે તે કૌટિલ્યનાં કેટલાંક નિરૂપણોને આધારે આપણે પ્રાસંગિક રૂપે આગળ જોયું છે. સ્વદેશનીતિ અને પરદેશનીતિ માટે, અગાઉ જોયું તેમ, કોઈ તબક્કે પ્રાચીન-ભારતીય પરિભાષામાં અનુક્રમે તન્ત્ર અને આવાવ શબ્દો રૂઢ થયા હતા. ‘તંત્ર’ એટલે સ્વદેશના રક્ષણ અને પોષણ માટેનું વહીવટી માળખું. ‘આવાપ’નો શબ્દાર્થ છે ચોપાસ વાવણી. જેમ ખેડૂત પોતાની સર્વાંગી સમૃદ્ધિ માટે ખેતરમાં તે-તે સ્થાને જુદાં-જુદાં બીજ, ધરુ કે રોપાની વાવણી કરે છે, તેમ દૃષ્ટિસંપન્ન રાજ્યતંત્ર દ્વારા નજીકનાં તેમ જ દૂરનાં પડોશી રાષ્ટ્રો સાથેના જાગૃત સ્વહિતકર સંબંધ માટે ચોક્કસ સુચિંતિત અભિગમો, મનુષ્યો અને કર્મોની વાવણી અર્થાત્ સ્થાપના કરાય છે. વિશાળ ધરતીનાં રાષ્ટ્રો કે મનુષ્યોના સંદર્ભે રાજ્યતંત્રે સ્વરાષ્ટ્રનું દૃઢ અસ્તિત્વ સ્થાપવું હોય, તો તેણે પોતાના આંતરિક સ્થિતિ માટેના સંગઠન ઉપરાંત પડોશનાં રાષ્ટ્રોનાં પોતાનાં જેવાં સંગઠનોના પરીક્ષણ દ્વારા તેમની સાચી અંતરંગ ઓળખાણ મેળવી લેવી જોઈએ. તેનાથી એ રાષ્ટ્રોના પ્રાસંગિક દુષ્ટ વ્યવહારોનું નિયંત્રણ અને અનુકૂળતા પ્રમાણે શક્ય તેટલા આર્થિક-સામાજિક-સાંસ્કૃતિક સહયોગનાં પણ સ્થાપન અને પલ્લવન (ખિલવટ) - એ બંને માટે વિશાળ અવકાશ ઊભો થાય છે. ‘અર્થશાસ્ત્ર’માં પ્રથમ પાંચ અધિકરણો સ્વદેશનીતિનાં છે, જે ગ્રંથપરિમાણની દૃષ્ટિએ તેના બેતૃતીયાંશ ભાગથી પણ વધારે સ્થાન રોકે છે. અધિકરણ ક્ર. ૬થી ૧૩ પરદેશનીતિ અંગેનાં છે, અને છેલ્લાં બે અધિકરણો પરિશિષ્ટો રૂપ છે. માનેલું ‘પોતાનું રાષ્ટ્ર’ જ રાજનીતિનું કાયમી કે ફેરફાર ન થાય તેવું સલામત ઘટક નથી તે સમજાતાં, જે-તે કાળે માણસની જેટલા મુલ્ક સુધીની આવન-જાવનની પહોંચ હોય તે સમગ્ર ક્ષેત્ર સર્વદા રાજનીતિનું વાસ્તવિક ક્ષેત્ર, ઘટક કે એકમ હોવાનું સમજાય છે. તે સમજાયાથી જ પરદેશનીતિની આખી રાજનૈતિક શાખા વિકસી છે, જેના મૂર્ત પરિણામ કે પ્રતીક તરીકે ‘રાજમંડલ’ની પ્રાચીન રાજનૈતિક વિભાવના રૂઢ થઈ. જેવી પોતાના રાષ્ટ્રની અસ્મિતા હોય છે તેવી અનેક રાષ્ટ્રીય અસ્મિતાઓ ચોપાસ સક્રિય છે અને એ બધાં સાથેની આંતરક્રિયા પર જ આપણી પોતાની રાષ્ટ્રીય અસ્મિતા, સમૃદ્ધિ અને સુખશાંતિ નિર્ભર છે તે બાબતની નિત્ય-જાગૃતિ અર્થે જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374