Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Amitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શબ્દનો એક વિશેષ અર્થ માન્ય કરવામાં આવે છે. આ આખુ શાસ્ત્ર છત્રીસ અધ્યયનનું વિશાળ હોવાથી દીર્ઘદ્રષ્ટિવાળા સંપાદક મંડળના જ્ઞાની આત્માઓએ તેના બે ભાગ કરી આખું શાસ્ત્ર પ્રકાશિત કર્યું છે. આજે પ્રભુની વાણીરૂપે માન્ય અને સઉપદેશ તથા ઉદ્ધોધનથી પરિપૂર્ણ એવા શાસ્ત્ર ઉપર આમુખ લખવા માટે મને જે સુઅવસર આપવામાં આવ્યો છે તેથી હું ધન્યતા અનુભવું છું અને પોતાના પ્રાણમાં પ્રાણરૂપે સમાવિષ્ટ થયેલું આ મંગલમય શાસ્ત્ર અને તેનું થોડું મહત્વ પ્રગટ કરી શકું, તો ગુરુઓની ઉત્તમ કૃપાનું બળ પ્રાપ્ત થયું છે, એમ સમજુ છું.
ઉત્તરાધ્યયનના બે ભાગ હોવાથી બંને ભાગ પર સ્વતંત્ર રૂપે આમુખ લખવાની તક સાંપડી. પ્રથમ આમુખમાં ઉત્તર શબ્દ શા માટે વાપરવામાં આવ્યો અને ઉત્તમાધ્યયન ન કહેતાં ઉત્તરાધ્યયન શા માટે કહ્યું? તેનો ઝીણવટભર્યો ખુલાસો કર્યો છે. જેથી આ લેખાંકમાં એટલું જ કહેશું કે જીવાત્મા અજ્ઞાનાવસ્થામાંથી ઉત્તર અવસ્થા મેળવે તો જ ઉત્તમ અવસ્થા સુધી પહોંચી શકે. જીવના ઉત્થાન માટે પ્રથમ મધ્યમ ભાવવાળી શ્રેષ્ઠ અવસ્થા પ્રાપ્ત થાય, તે જરૂરી છે અને જો ઉત્તર અવસ્થા ખીલે તો જીવ ઉત્તમ અવસ્થા તરફ જવાનો જ છે. ઉત્તર અવસ્થા તે પાયાની અવસ્થા છે, ઉત્તમ અવસ્થા તે ફળરૂપ છે. ખેડૂત ખેતી કરી ખેતરને સાફ કર્યા પછી બીજ વાવીને વચ્ચગાળાના બધાં ક્રિયાકલાપ પૂરા કરે, તો ઉત્તમ ફળ આવવાનું જ છે અર્થાત્ ધાન્ય પ્રગટ થવાનું છે. તે રીતે જીવ જો અજ્ઞાનાવસ્થાથી આગળ વધીને ઉત્તર અવસ્થાને કેળવે અને કુંભાર જેમ ઘડો તૈયાર કર્યા પહેલાં માટીને કેળવે છે, તેમ જીવ પોતાના સંસ્કારને કેળવે તો ઉત્તમ કળશ તૈયાર થશે. આ સમગ્ર શાસ્ત્ર ઉત્તર ભાવોનો ઉપદેશ આપતું એક ઉપદેશાત્મક શાસ્ત્ર છે, જેમાં ક્રમશઃ અજ્ઞાની જીવથી લઇને પંચમહાવ્રત પામેલા સંતો અને ત્યાગી મહાત્માઓ માટે પણ ઉપદેશ આપ્યો છે. પ્રથમ ગુણસ્થાનથી લઇ સાતમા ગુણસ્થાનના પ્રથમ સમય સુધી પહોંચાડે તેવા મંગલમય શબ્દો તથા જ્ઞાન અને ત્યાગ ભરેલી સૂચના પદ-પદ પર જોવા મળે છે અને જરાપણ કટાક્ષ કે તીખા પ્રહારો કર્યા વિના લગભગ મૃદુ ભાવથી ઉદ્દબોધન કરવામાં આવ્યું છે. જાતિવાદની સામે ઉત્તરાધ્યયન સૂત્ર લાલબત્તી ઘરે છે. જાતિવાદનું નિરાકરણ કરી જેને સમાજ અસ્પૃશ્ય માનતો હતો તેવા પવિત્ર જીવોને પણ વંદનીય બનાવી મોક્ષમાર્ગના યાત્રી બનાવ્યા છે. સમાજમાં પ્રચલિત કુપ્રથાઓ સામે પણ પ્રકાશ પાથરવામાં આવ્યો છે. જેમકે, યજ્ઞ વખતે નિષ્પન્ન થયેલું ભોજન અમુક માણસોને જ આપી શકાય તેવી માન્યતાવાળા બ્રાહ્મણ સમુદાયને કહ્યું છે કે, કોઇપણ ક્ષુધાર્થીને આવું પવિત્ર ભોજન આપીએ તો કોઈ દોષ નથી. તે જ રીતે મોટા