________________
ફોરેન (ધંધો) ડિપાર્ટમેન્ટની વહેંચણી અને ત્યારબાદ એકમેકમાં ડખો નહીં, ચલણ છોડી દઈ ઘરમાં ગેસ્ટ તરીકેનો વ્યવહાર, પત્નીની ખાવા બાબતે કે અન્ય કોઈ ખોડ કદી ન કાઢી પોતાની મર્યાદામાં રહેવું, લગ્ન વખતે બ્રાહ્મણ દ્વારા સાંભળેલ વાક્ય “સમય વર્તે સાવધાન'નું એમના પ્રેક્ટિકલ જીવનમાં મતભેદ પડતી વખતે સાવધાની રાખી મતભેદ પડતો અટકાવવો, ઈત્યાદિ પ્રસંગો દ્વારા અહીં વિસ્તારપૂર્વક જાણવા મળશે. જેમાં એક-એક મતભેદના પ્રસંગને તેઓ કેટકેટલી સમજણના પ્રકાશથી છેદી શક્યા છે એ દેખી શકાય છે અને એમની સમજણની અથાગતાની થોડી ઝાંખી જોવા મળે છે.
સઘળા એડજસ્ટમેન્ટ સાથે વ્યવહારમાં આદર્શપણાની ઉણપ કોઈ ખૂણે જણાતી નથી. દરરોજ હીરાબા પૂછે કે “શું શાક લાવું?” અને દાદાશ્રી કહે, “જે ઠીક લાગે છે.” આમ વિનયસભર વ્યવહારની ગોઠવણી કરેલ. તેમજ સમજણપૂર્વક વિષયનો વ્યવહાર બંધ થયા બાદ કાયમ એમને “બા” તરીકે જ સંબોધ્યા છે. એમના માટે લાગણીઓ ખરી પણ લોકો જેવી નહીં. દાદાશ્રી કહે છે કે આ લોકોને તો લાગણીઓ નથી પણ આસક્તિ જ છે. જે ચઢ-ઉતર થયા કરે, જ્યારે અમારી લાગણીઓ પરમેનન્ટ હોય એટલે કે વધે નહીં, ઘટે નહીં એવી, એટલે કે પ્રેમ જ ! રિયલ ભાવે પણ પ્રેમ અને રિલેટિવ ભાવે પણ પ્રેમ ! હીરાબાને તેઓશ્રી કહેતા કે અમે પરદેશ ગયા હતા ત્યાં તમારા વગર અમને ગમતું નહોતું. તમામ બંધનોથી મુક્ત થયેલા એવા મૂક્ત પુરુષનો કેવો શુદ્ધ નાટકીય વ્યવહાર ! છતાં જ્ઞાની પુરુષનો એક ગુણ, “એક આંખમાં કડકાઈ અને એક આંખમાં પ્રેમનું અદ્ભુત સમતોલન પણ તેઓના વ્યવહારમાં હંમેશાં રહ્યું છે.
લગ્ન વખતે આપેલ પ્રોમિસ જીવનભર નિભાવવાની સિન્સિયારિટી અને મોરાલિટી આલેખતો પ્રસંગ પણ દાદાશ્રીના વ્યવહાર શુદ્ધિની યશકલગીમાં એક ઓર પીંછાનો ઉમેરો કરે એવો છે. જેમાં જ્ઞાનીની સિન્સિયારિટી અને મોરાલિટી વ્યવહારમાં પણ કેવી હોય તેનું દર્શન થાય છે.
દાદાશ્રીના ધર્મપત્ની થવાનું સૌભાગ્ય સાંપડનાર હીરાબાની પુણ્યેય પણ કેવી ગજબની ! સરળ-સીધા-સાદા અને ભલા-ભોળા હીરાબા કળિયુગી રંગથી અસંગ હોય એવા કળિયુગના સતી સમ જીવન જીવ્યા