Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૮૨ ]
શ્રી દશવૈકાલિક સૂત્ર
સર્વથા કર્મમુક્તિના ઉપાયને લોકોત્તર વિનય કહે છે. વિનય એક આત્યંતર તપ છે, કર્મનિર્જરાનું ઉત્તમ સાધન છે. પપાતિક સુત્રાનુસાર લોકોત્તર વિનયના સાત પ્રકાર છે. જ્ઞાન વિનય, દર્શન વિનય, ચારિત્ર વિનય, મન વિનય, વચન વિનય, કાય વિનય અને ઉપચાર વિનય. આ અધ્યયનમાં ઉપચાર વિનયની મુખ્યતા છે અને શેષ સર્વ વિનયોનો તેમાં સમાવેશ છે. (૧૩) જ્ઞાનાદિ પ્રાપ્ત કરવા, તેનું સમ્માન અને જ્ઞાની પ્રત્યે નમ્ર રહેવું તેને જ્ઞાનાદિનો વિનય કહે છે (૪-૬) ગુર્નાદિકો પ્રતિ મન, વચન, કાયાથી નમ્ર વ્યવહાર કરવો તે મન આદિનો વિનય છે. (૭) ગુરુનો સત્કાર, સન્માન, સેવા-સુશ્રુષા કરવી, તેઓ આવે ત્યારે ઊભા થવું, વંદન–નમસ્કાર કરવા, આસનાદિ આપવા તેના અનુશાસનમાં રહેવું, આજ્ઞાનું પાલન કરવું વગેરે ઉપચાર વિનય છે. ખરેખર સાતમું ઉપચાર વિનય પૂર્વના છ વિનયનું ક્રિયાત્મક રૂપ છે. * અનુશાસન અને નમ્રતા, તે વિનયની બે ધારાઓ છે. શિષ્ય ગુરુ પ્રતિ ઉદ્ધતભાવનો કે અભિમાનનો ત્યાગ કરી નમ્ર વ્યવહાર કરવો અને ગુરુના અનુશાસનનો પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરવો એ વિનયની પરિપૂર્ણતા છે. કેવળ અનુશાસનના સ્વીકારથી જ વિનયધર્મનું પાલન થતું નથી. અનુશાસનના સ્વીકાર સાથે નમ્રતા હોવી અત્યંત જરૂરી છે. બંને ધારાઓના સુમેળથી જ વિનય ધર્મની પૂર્ણતા થતાં સાધક આચારવાન બને છે. * આ અધ્યયનના ચાર ઉદ્દેશકમાં ક્રમશઃ ચાર વિષયનું પ્રતિપાદન છે. (૧) ગુરુની આશાતનાનું દુષ્પરિણામ, ગુરુનો મહિમા અને વિનય ભક્તિનો નિર્દેશ. (૨) વિનયની ઉપલબ્ધિ, વિનયવિધિ તથા અવિનીત, સુવિનીતના લક્ષણ. (૩) આચાર પ્રધાન વિનય ધર્મની આરાધના દ્વારા સાધકની લોકપૂજ્યતા. (૪) ચાર ભેદોમાં વિનય સમાધિની પરિપૂર્ણતા.
* પ્રથમ ઉદશકમાં ગરુ પ્રત્યેના શિષ્યના વર્તનનું નિરૂપણ છે. અલ્પવયના કે મંદબુદ્ધિના ગરુની પણ અવહેલના કે આશાતનાનું પરિણામ સૂત્રકારે વિવિધ દષ્ટાંતોથી સમજાવ્યું છે. સતાવાઓ વિ સતી... શિષ્ય અનંતજ્ઞાની થઈ જાય તેમ છતાં છદ્મસ્થ ગુરુનો પૂર્વવત્ વિનય કરે છે, આ પદમાં વિનયની સર્વોત્કૃષ્ટ દશા દર્શાવી છે. જેની પાસે ધર્મનું એક પદ પણ શીખ્યો હોય, તેના પ્રતિ વિનયનું આચરણ સદાને માટે થવું જોઈએ, ક્યારે ય છૂટી જવું જોઈએ નહીં." "જે મને સતત હિતશિક્ષા આપે છે તે ગુરુની હું સતત પૂજા કરે" આ પ્રકારની મનોભાવના વિનયની પરંપરાને સહજ બનાવે છે. શિષ્યના માનસમાં વિનયના સંસ્કાર દઢ બની જાય ત્યારે ગુરુ અને શિષ્યમાં એકાત્મભાવ સ્થાપિત થાય છે. ત્યાર પછી શિષ્ય આચાર્યના સાન્નિધ્યથી ઈષ્ટ ફળની પ્રાપ્તિ કરે છે. * બીજ ઉદ્દેશકમાં ધર્મના મૂળથી ધર્મના ફળ પર્યતનું કથન છે. વિનય ધર્મરૂપ વૃક્ષનું મૂળ છે અને મોક્ષ તેનું ફળ છે. સુત્રકારે વિનીત અને અવિનીત શિષ્યના લક્ષણો અને બંનેના પરિણામને સમજાવ્યા છે. અવિનીત શિષ્ય વિપત્તિને અને વિનીત શિષ્ય સંપત્તિને પ્રાપ્ત કરે છે. જે આ બંનેને જાણે છે તે જ શિક્ષાને પ્રાપ્ત કરી શકે છે. તેની શિક્ષા ક્રમશઃ પુષ્પિત અને ફલિત થાય છે. અવિનીત શિષ્ય ઉદ્ધત, ક્રોધી, આજ્ઞાનો ભંગ કરનાર, સાહસિક અને અસંવિભાગી હોય છે. જે અસંવિભાગી છે તેને મોક્ષનો અધિકાર નથી. જે વિનીત છે તેનો અવશ્ય મોક્ષ થાય છે.