Book Title: Mahatirth Ujjayantgiri Girnar Author(s): Anandji Kalyanji Pedhi Publisher: Anandji Kalyanji Pedhi View full book textPage 7
________________ ઉજજયન્તગિરિનાં જિનમંદિરો અને રેવતકથી ભિન્ન પર્વતો સમજાતા. અસલ રેવતક પર્વત દ્વારાવતી (દ્વારિકા) સમીપ હતો. પછીથી “સ્કંદપુરાણમાં તેને ઉજજયન્તથી ભિન્ન પણ તેની સમીપમાં હોવાનું માન્યું છે. જ્યારે ગુપ્ત સમ્રાટ સ્કન્દગુપ્તના ગુ. સં. ૧૩૬ (ઈ. સ. ૪૫૫)ના શિલાલેખમાં તેમ જ મધ્યકાલીન જૈન સાહિત્યમાં “ઉજ્જયન્ત અને “રેવત"ને એકબીજાના પર્યાય માન્યા છે. બીજી બાજુ ઉજ્જયન્ત પર્વતની પશ્ચિમે આવેલા, મૌર્ય સમ્રાટું ચંદ્રગુપ્તના સમયથી જાણીતા થયેલા, “ગિરિનગર'' (સાંપ્રતકાલીન જૂનાગઢ) અભિધાનનું મધ્યકાળમાં અપભ્રષ્ટ રૂપગિરિનાર” અને પછી “ગિરનાર” બની, ઉજ્જયન્તગિરિને તે પ્રાપ્ત થઈ ગયું : અને એ રીતે આજે તો પ્રસ્તુત ગિરનાર અભિધાન જ વિશેષ પ્રચારમાં છે. જિન અરિષ્ટનેમિનું ધામ મનાતા આ પ્રાચીન ઉજજયન્તગિરિ પર સોલંકી કાળમાં છએક જેટલાં જિનમંદિરો, અને સોલંકીયુગ પછી ૧૫મા શતકમાં પ્રસ્તુત જૂનાં મંદિરોના પુનરુદ્ધાર અતિરિકત છએક જેટલાં નવાં જિનાલયો પણ ઉમેરાયેલાં. પણ સોલંકીકાળ પૂર્વે તો અહીં કેવળ બે જ જિનમંદિરો હતાં : એક તો ભગવાન નેમિનાથનું, અને બીજું શિખરની ટોચે રહેલ શાસનાધિષ્ઠાત્રી અમ્બિકાદેવીનું. (આ મંદિરો સિવાય “ગજેન્દ્રપદકુંડ” પણ તીર્થરૂપ મનાતો, પણ તેના અસ્તિત્વ સમ્બદ્ધ પ્રમાણો બારમા શતકથી મળે છે.) ઉજજયન્ત પર્વત ભગવાન નેમિનાથનાં નિર્વાણ -કલ્યાણકથી પુનિત થયેલો મનાતો હોઈ ગણધર પુંડરીકની નિર્વાણભૂમિ શત્રુંજયગિરિની જેમ અહીં પણ પ્રારંભે તો જૈન મુનિઓ અનશન કરવા આવતા હશે તેવું પુરાણા આગમિક સાહિત્યના ઉલ્લેખો પરથી કલ્પી શકાય છે. ઐતિહાસિક કાળમાં નેમીશ્વરદેવનું પ્રથમ આલય કયારે બંધાયું તે વાત પર હાલ સંશોધન થઈ રહ્યું છે, જેનો નિષ્કર્ષ અહીં સંક્ષેપમાં હવે રજૂ કરીશું. ગિરનારતીર્થ સંબંધી છૂટાછવાયા જૂના ઉલ્લેખોને બાદ કરતાં એ વિષયને લગતું વિસ્તૃત અને વિગતપૂર્ણ સાહિત્ય વિશેષે તો કેવળ ઈસ્વીસનના ૧૩મા શતકના દ્વિતીય ચરણ જેટલા મોડા કાળથી મળવા લાગે છે. એ ઉપલક્ષમાં જોઈએ તો નાગેન્દ્રગથ્વીય વિજયસેનસૂરિ કૃત રેવંતગિરિરાસ (આ સં. ૧૨૮૮ | આ૦ ઈ. સ. ૧૨૩૨), તપાગચ્છીય ધર્મઘોષસૂરિ કૃત ગિરનારકલ્પ (આ. સં. ૧૩૨૦ | આ૦ ઈ. સ. ૧૨ ૬૪), અને ખરતરગચ્છીય જિનપ્રભસૂરિ કૃત કલ્પપ્રદીપ (આ સં. ૧૩૬૪-૧૩૮૯ / આ૦ ઈ. સ. ૧૩૦૮-૧૩૩૩)માંથી “ઉજ્જયન્તતીર્થ'નાં મંદિરો અને તેના પ્રસ્થાપકો-નિર્માતાઓ સંબંધમાં બહુમૂલ્ય કહી શકાય તેવી પ્રમાણભૂત અને અધિકૃત ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે; તદુપરાંત તે ત્રણેમાં પ્રસ્તુત તીર્થ-વિષયક કેટલીક વૃદ્ધશ્રુતિઓ-અનુશ્રુતિઓ પણ ત્યાં સંગૃહીત થયેલી મળે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 90