________________
ઉશ્કેરાયેલા મુસલમાનોને જ્યારે ખબર પડતી કે રામમૂર્તિના શિષ્યોમાં તો જેમ હિંદુ છે તેમ મુસલમાન પણ છે ત્યારે તેમનો ઊભરો શમી જતો. રામમૂર્તિના વિખ્યાત પહેલવાનમાં ગામા અને ઇમામબક્ષ જેવાનો સમાવેશ થતો હતો. ખુદ નિઝામ સરકારે રામમૂર્તિનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને એમને સોનાનો ચાંદ આપ્યો હતો.
રામમૂર્તિએ જીવન સાથે યુદ્ધ આદર્યું હતું એટલે તેઓ કદી મૂંઝાયા નહીં. જેમ એમની શક્તિ અપૂર્વ હતી એમ એમના પર આવેલી આફતો પણ અનોખી જ હતી. વિદેશની ધરતી પર તો ડગલે ને પગલે જીવ જોખમમાં મૂકવો પડતો. ઈ. સ. ૧૯૧૦માં મલાકામાં એમને બબ્બે વાર છાની રીતે સોમલ (ઝેર) આપવામાં આવ્યું. પહેલી વખતનું ઝેર તો આ ભીમસેનને પચી ગયું, પણ બીજી વખત તો એક ઘોડો મરી જાય એટલું ઝેર આપવામાં આવ્યું હતું. બચવાની આશા ન હતી, છતાં રામમૂર્તિ નિરાશ થવાનું જાણતા ન હતા. તરત જ લંગોટ મારી પાંચ હજાર દંડ ખેંચી કાઢ્યા અને પરસેવામાં ઘણુંખરું ઝેર બહાર ખેંચી કાઢ્યું. પરંતુ આ પછી દસ મહિના પથારીવશ રહેવું પડ્યું.
તેઓ ફ્રાંસ ગયા. ફ્રેન્ચ પ્રજાએ હિંદના વીરપુરુષનો પ્રેમથી સત્કાર કર્યો. અહીં એમના યુરોપિયન મૅનેજરે દગો કર્યો. રામમૂર્તિ છાતી પર પાટિયું મૂકીને એના પર હાથી ઊભો રખાવતા. એ પાટિયું જ કોઈએ અડધું કાપી નાખેલું. ખેલ શરૂ થયો. હાથીએ પાટિયા પર ચઢીને જેવો એનો પગ મૂક્યો કે તરત જ પાટિયાના બે ટુકડા થઈ ગયા. હાથીનો પગ રામમૂર્તિની છાતી પર પડ્યો. એમની ત્રણ પાંસળીઓ ભાંગી ગઈ અને એ બેભાન બની ગયા. ફ્રાંસના કુશળ ડૉક્ટરોની સારવારને કારણે રામમૂર્તિ મોતના મુખમાંથી ઊગરી ગયા, પરંતુ એમને છ અઠવાડિયાં દવાખાનામાં રહેવું પડ્યું.
એક વાર બહેરામપુરમાં રામમૂર્તિ પોતાનું સરકસ લઈને ગયા હતા. ગામને પાદર સરકસના ડેરાતંબુ તણાયા હતા. નિત્યકાર્યોમાં સહુ મશગૂલ હતા. રામમૂર્તિ સંધ્યા કરી રહ્યા હતા. એવામાં એક લોખંડનું પાંજરું વાઘની ભયંકર ગર્જના સાથે ધણધણી ઊઠ્યું. સરકસનો સૌથી ભયંકર વાઘ કોઈની ભૂલથી પાંજરામાંથી બહાર નીકળી ગયો. છલાંગ મારીને એ સરકસના મેદાન પર આવ્યો.
104 * જીવી જાણનારા