Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૩૦૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ભક્તિની પેટી, પાઠશાળા-આયંબિલ ભવનની પેટી વગેરે જિનમંદિરની અંદરના ભાગમાં ન રાખી શકાય. એ ઉપાશ્રયમાં અથવા જિનમંદિરની બહાર ક્યાંક સુરક્ષિત સુયોગ્ય સ્થાનમાં રાખવી. આ ખાસ ધ્યાન રાખવું.
૧૩. ઉપાશ્રય-પૌષધશાળા-આરાધના ભવન:
(૧) ઉપાશ્રય બનાવવા માટે દાનવીરો દ્વારા આપેલી રકમ, ઉપાશ્રયના જુદા જુદા વિભાગો અને ઉપાશ્રય નામકરણ માટે આવેલી રકમ, ઉપાશ્રય ખાતાની પેટી-ભંડારમાંથી નીકળેલી રકમ, ઉપાશ્રય ઉદ્ઘાટનની બોલીની રકમ, વગેરે ઉપાશ્રય ખાતાનું દ્રવ્ય ગણાય છે.
(૨) ધર્મ આરાધના કરવા માટે ઉપાશ્રયનું નિર્માણ શ્રાવકે પોતાનાં સ્વદ્રવ્યથી કરવું જોઈએ.
(૩) ઉપાશ્રય, શ્રાવક-શ્રાવિકા સંઘની આરાધના માટેનું પવિત્ર સ્થાન છે. એનો ઉપયોગ ધાર્મિક કાર્યો કરવા માટે જ કરવો જોઈએ. વ્યવહારિક-સ્કૂલ, કૉલેજ, રાષ્ટ્રીય-સામાજિક પ્રવૃત્તિઓ-સમારોહ અને લગ્ન વગેરે સાંસારિક કોઈ પણ કાર્યમાં આ ઉપાશ્રયનાં મકાનનો ઉપયોગ કરી શકાય નહિ.
ઉપરોક્ત કોઈ પણ કાર્યો માટે આ ઉપાશ્રય ભાડાથી પણ આપી ન શકાય.
(૪) આ ધર્મસ્થાનોની માલિકી કોઈ કરી શકે નહિ. કારણ કે, આ જૈનશાસનની અબાધિત મિલકત છે અને રહેશે.
(૫) ઉપાશ્રયની જમીન ખરીદવા કે ઉપાશ્રય વગેરે સ્થાન બનાવવા માટે દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, વૈયાવચ્ચ દ્રવ્ય વગેરેનો ઉપયોગ કરી શકાય નહિ. તે જ પ્રમાણે તે-તે ખાતામાંથી વ્યાજે કે વગર વ્યાજે લોન પણ લઈ શકાય નહિ. | (૬) લક્કી ડ્રો (ભાગ્ય લક્ષ્મી) જેવી અહિતકર પદ્ધતિઓ દ્વારા પણ ઉપાશ્રય માટે રકમ એકઠી કરવી ઉચિત નથી.