Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૫ઃ ઉદ્દેશક-૬
( ૮૧
|
* અગ્નિ સ્વયં જીવ છે તેથી તેના અધ્યવસાય પ્રમાણે તેને કર્મબંધ થાય છે. અગ્નિ જ્યારે પ્રજ્વલિત હોય ત્યારે તેના દ્વારા છકાય જીવની હિંસા થાય છે તેથી તે જીવો મહાકર્મ, મહાશ્રવ, મહાક્રિયા અને મહાવેદનાવાળા હોય છે. જ્યારે તે અગ્નિ ક્રમશઃ બુઝાતી જાય ત્યારે તે અલ્પકર્મા થાય છે. અંતે જ્યારે તે ભસ્મસ્વરૂપ થઈ, શીતલ થઈ જાય છે ત્યારે તે અગ્નિકાયના જીવો મરીને અન્યત્ર ચાલ્યા જાય અને તે ભસ્મ(રાખ) જીવ રહિત થવાથી કર્માદિથી રહિત થઈ જાય છે. * ધનુષ, બાણ આદિ શસ્ત્ર જે જીવોના શરીરથી બન્યા હોય તે જીવોએ પોતાના શરીરનો સમજણપૂર્વક ત્યાગ કર્યો ન હોય અને તેના અવિરતિભાવની પરંપરા ચાલુ હોય તો તે જીવોને પણ હિંસકની સમાન પાંચ ક્રિયા લાગે છે. જ્યારે બાણ પોતાના ભારથી સ્વયં નીચે પડે અને તેના નિમિત્તે જે જીવની હિંસા થાય ત્યારે જે જીવોના શરીરથી બાણ બન્યું હોય તે જીવોને પાંચ ક્રિયા અને હિંસકને ચાર ક્રિયા લાગે છે. તેનું તાત્પર્ય એ છે કે જે જીવ કે જીવોના શરીર હિંસાની ક્રિયામાં સાક્ષાત્ પ્રવૃત્ત થાય તેને પાંચ ક્રિયા અને અન્યને ચાર ક્રિયા લાગે છે. * ૫00 યોજન પ્રમાણ મનુષ્ય લોક ક્યાંય ઠસોઠસ ભર્યો નથી. પરંતુ નરકમાં ૪૦૦-૫૦૦ યોજનનું એક સ્થાન નૈરયિકોથી ઠસોઠસ ભર્યું છે. નૈરયિકો એક કે અનેક સંખ્યાત રૂપોની વિદુર્વણા કરી શકે છે. વિવિધ રૂપોની વિકર્વણા કરીને પણ તે અન્ય જીવોને પીડા પહોંચાડે છે. * આધાકર્મ આદિ દોષયુક્ત આહાર સેવનમાં કોઈ પાપ નથી તેમ જે વ્યક્તિ (૧) સમજે છે (૨) સ્વયં તે દોષયુક્ત આહાર કરે છે (૩) અન્યને તે દોષયુક્ત આહાર આપે છે (૪) અન્ય અનેક મનુષ્યોની સમક્ષ તેવી પ્રરૂપણા કરે છે; આ ચારેય પ્રકારના દોષનું સેવન કરનાર જો અંત સમયે તે દોષની આલોચનાદિ કર્યા વિના કાલધર્મ પામે તો તે વિરાધક અને અંત સમયે તેની આલોચનાદિ કરીને કાલધર્મ પામે તો તે આરાધક થાય છે. * આચાર્ય અને ઉપાધ્યાય પોતાના શિષ્ય પરિવારની અગ્લાનભાવે સારસંભાળ કરે અને નિર્દોષ સંયમ પાલનમાં સહાયક બને, તો તેઓ જઘન્ય તે જ ભવે અને ઉત્કૃષ્ટ ત્રીજે (મનુષ્ય) ભવે મોક્ષે જાય છે. વચ્ચે દેવના એક અથવા બે ભવ થાય તેની અહીં ગણતરી કરી નથી.
* કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિ પર મિથ્યા દોષારોપણ કરે તો તે તેવા જ કર્મો બાંધે છે અને તેના ફળ સ્વરૂપે પુનઃ પ્રાપ્ત થતા મનુષ્ય ભવમાં મિથ્યા આક્ષેપને પામી તે કર્મોને ભોગવે છે.