Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૨ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ).
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પંચમહાભૂતવાદ અને આત્મષષ્ઠવાદનું સ્વરૂપ અને તેનો સ્વીકાર કરનારાઓની મોક્ષ પ્રાપ્તિમાં અસફળતાનું પ્રતિપાદન છે. પંચ મહાભૂતવાદ- સર્વ લોકવ્યાપી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ, આ પાંચ મહાભૂત
જ્યારે શરીર રૂપે પરિણત થાય, ત્યારે ચૈતન્ય ઉત્પન્ન થાય છે અને તેના વિનાશથી જીવનો પણ વિનાશ થાય છે. જેમ પાણીના પરપોટા પાણીમાંથી ઉત્પન્ન થાય અને પાણીમાં જ વિલીન થાય છે. પાણીના પરપોટા પાણીથી ભિન્ન નથી તેમ પાંચ મહાભૂતથી ભિન્ન કાંઈ જ નથી. સમગ્ર સંસાર, સંસારની સમસ્ત ક્રિયાઓ, લોકની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનું કારણ પંચમહાભૂત જ છે. લોકમાં પંચ મહાભૂત જ સર્વસ્વ હોવાથી તે મહાભૂત કહેવાય છે. આ પાંચમહાભૂત સ્વયં અનાદિ-અનંત, અકૃત, અનિર્મિત, ઈશ્વરાદિ દ્વારા અપ્રેરિત સ્વયં સ્વતંત્ર છે. આત્મષષ્ઠવાદ– સાંખ્યવાદી પૂર્વોક્ત પાંચ મહાભૂત તથા છઠ્ઠા આત્માને માને છે. તેઓના મતે છે એ તત્ત્વ શાશ્વત છે. તેનો નાશ કદાપિ થતો નથી, આ રીતે તેઓ આત્માને માને છે પરંતુ તેને નિષ્ક્રિય માને છે.
તેઓના મતાનુસાર સર્વ કાર્યો કરનાર પ્રકૃતિ છે. સત્ત્વ, રજ અને તમ આ ત્રણ પદાર્થ સંસારનું મૂળભૂત કારણ છે. આ ત્રણ પદાર્થોની સામ્ય અવસ્થાને જ પ્રકૃતિ કહે છે.
પ્રકૃતિમાંથી બુદ્ધિ અને બુદ્ધિથી અહંકારની ઉત્પત્તિ થાય છે. અહંકારમાંથી રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ આ પાંચ તન્માત્રા(સૂક્ષ્મ ભૂતો) તથા પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને મન, આ સોળ ગુણ ઉત્પન્ન થાય છે. પાંચ તન્માત્રાથી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ મહાભૂત, ઉત્પન્ન થાય છે. આ રીતે પ્રકૃતિ + બુદ્ધિ + અહંકાર + ૧૬ ગુણ + ૫ મહાભૂત, સર્વ મળીને ૨૪ પદાર્થ થાય છે. તે સમસ્ત વિશ્વના પરિચાલક છે અને પચીસમું પુરુષ–આત્મતત્ત્વ છે, પરંતુ પુરુષ બુદ્ધિ દ્વારા ગૃહિત પદાર્થોને પ્રકાશિત કરે છે તે સિવાય તે કાંઈ જ કરતો નથી. પુણ્ય-પાપ આદિ સમસ્ત કાર્ય પ્રકૃતિથી જ થાય છે. તેથી પુરુષ પુણ્ય-પાપથી બંધાતોનથી. પુરુષ એટલે આત્મા સદાય અલિપ્ત જ રહે છે.
આત્મામાં સત્વગુણની વૃદ્ધિ થાય, ત્યારે શુભ કાર્યો થાય, રજોગુણની વૃદ્ધિ થાય ત્યારે પુણ્ય-પાપ બંને મિશ્રિત થાય, તમોગુણની વૃદ્ધિ થાય ત્યારે હિંસા, ચોરી આદિ અશુભ કાર્યો થાય છે. આ રીતે સત્વ, રજ અને તમોગુણની હાનિ-વૃદ્ધિથી જ જગતના સમસ્ત કાર્યો થયા કરે છે. આત્મા સ્વયં નિષ્ક્રિય રહે છે.
પંચમહાભૂતવાદ કે આત્મષષ્ઠવાદ–સાંખ્યવાદીઓનું કથન વિચારવાન પુરુષોની દષ્ટિએ સર્વથાનિઃસાર તથા યુક્તિરહિત પ્રતીત થાય છે. તેઓ પુરુષને ચેતન અને પ્રકૃતિને અચેતન તથા નિત્ય કહે છે તે યોગ્ય નથી. અચેતન અને નિત્ય સ્વરૂપી પ્રકૃતિથી વિશ્વની ઉત્પત્તિ થાય, તે શક્ય નથી. પ્રકૃતિ જડ અને જ્ઞાન રહિત છે. તેમજ સાંખ્ય મતાનુસાર સતુનો નાશ થતો નથી અને અસતની ઉત્પત્તિ નથી અને આ લોકમાં પ્રકૃતિ અને પુરુષ બે જ તત્ત્વ હોય, તો અન્ય તત્ત્વો ઉત્પન્ન કેવી રીતે થાય? પુણ્ય-પાપ આદિ પ્રકૃતિ કરે અને તેનું ફળ પુરુષને ભોગવવું પડે, તો એક કર્મનું ફળ બીજાને ભોગવવું પડે, આ સિદ્ધાંત પણ યુક્તિ સંગત નથી.
પંચમહાભૂત જડ હોવાથી તેમાંથી ચૈતન્ય તત્ત્વની ઉત્પત્તિ કદાપિ થઈ શકતી નથી. સંક્ષેપમાં પંચમહાભૂતવાદ કે આત્મષષ્ઠવાદના સિદ્ધાંતો મિથ્યાત્વ અને અજ્ઞાન કર્મના નિમિત્તથી ઉત્પન્ન થાય છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org