Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Urmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પરિશિષ્ટ-૩
૨૧૩.
પરિશિષ્ટ-૩
'પાંચ સમવાય : અનેકાંત દષ્ટિ
સમવાય એટલે સુમેળ. પાંચ કારણોના સુમેળને પાંચ સમવાય કહે છે. તે આ પ્રમાણે છે – (૧) કાલ (૨) સ્વભાવ (૩) નિયતિ (૪) પૂર્વકૃત કર્મ (૫) પુરુષાર્થ. જૈન દર્શનાનુસાર કોઈ પણ કાર્યની નિષ્પત્તિ પ્રત્યક્ષ દેખાતા એક કારણથી થતી નથી. કાર્ય નિષ્પત્તિમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રહેલા પાંચે સમવાય સહાયક બને છે. તે પાંચે સમવાયનો સમન્વય થાય, ત્યારે કાર્ય સંપન્ન થાય છે. જેમ હાથના પંજાની પાંચે આંગળીઓ સાથે મળીને પોતાનું કાર્ય કરે છે. તેમાં ક્યારેક અંગુઠાની, તો ક્યારેક અનામિકા કે મધ્યમા આંગળીની પ્રધાનતા પ્રતીત થાય છે, તેમ છતાં મુખ્ય કે ગૌણપણે તેમાં પાંચે આંગળીઓનો સહયોગ હોય છે. તે જ રીતે કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત કર્મ અને વર્તમાનનો પુરુષાર્થ, આ પાંચે સમવાયના સમન્વયથી કાર્યસિદ્ધિ થાય છે. ક્યારેક કાલ–સ્વભાવ આદિ એકાદ કારણથી પ્રધાનતા કે એકાદ કારણની ગૌણતા પ્રતીત થાય, પરંતુ પ્રગટ કે અપ્રગટપણે તેમાં પાંચ સમવાય કાર્યશીલ હોય છે. કાલ– કાલ દ્રવ્ય સર્વ પ્રદાર્થો પર વર્તી રહ્યું છે. પદાર્થની પરિણતિમાં તે નિમિત્ત છે. જેમ અવસર્પિણી કાલમાં પદાર્થના વર્ણાદિનો ક્રમશઃ હ્રાસ થાય અને ઉત્સર્પિણી કાલમાં ક્રમશઃ વૃદ્ધિ થાય છે. કાલ પ્રમાણે ઋતુમાં પરિવર્તન થાય છે. આંબાની ગોઠલી વાવ્યા પછી આમ્રવૃક્ષ ફલિત થાય અર્થાત્ આંબામાં કેરી આવે ત્યારે કાર્યસિદ્ધ થયું કહેવાય છે. છ-સાત વર્ષનો કાલ વ્યતીત થાય, ત્યાર પછી તે વૃક્ષ ફલિત થાય છે. ખેડૂત ગમે તેવું ખાતર નાખે, પાણીનું સિંચન કરે, રાત-દિવસ પુરુષાર્થ કરે તેમ છતાં આજે વાવેલી ગોઠલી આજે ફલિત થતી નથી. તે તેના કાલ પ્રમાણે ક્રમશઃ પાકે છે. આ રીતે વસ્તુની પરિણતિમાં કાલ સહાયભૂત છે. બાળકના ચાલવાનો, બોલવાનો, ભણવાનો પ્રારંભ યથાકાળે થાય છે. આ રીતે કેટલાક કાર્યોમાં કાલની પ્રધાનતા હોય છે. સ્વભાવ- વસ્તુની તથા પ્રકારની યોગ્યતાને સ્વભાવ કહે છે. પ્રત્યેક કાર્ય જીવ અને પુગલના સ્વભાવ પ્રમાણે થાય છે. જેમ ગાય અને બળદને એક સમાન ખાદ્ય પદાર્થો ખવડાવવા છતાં ગાયને દૂધ રૂપે પરિણત થાય છે, બળદને થતું નથી. લીંબોળીમાં લીંબડારૂપે પરિણત થવાનો સ્વભાવ છે. આંબાની ગોઠલીમાંથી આંબાનું ઝાડ થાય છે. આંબાની ગોટલીને અન્ય સમવાયનો સંયોગ થાય, ત્યારે તે પોતાના સ્વભાવ પ્રમાણે વિકસિત થાય છે. સ્વભાવમાં કોઈ પણ પ્રકારે પરિવર્તન થતું નથી. પ્રત્યેક પદાર્થો પોત-પોતાના સ્વભાવને આધીન છે. આ રીતે કેટલાક પદાર્થોના પરિણામનમાં સ્વભાવની મુખ્યતા સ્પષ્ટ જણાય છે. નિયતિ–નિયતિ એટલે ભવિતવ્યતા. પદાર્થોમાં વિવિધ પ્રકારની પરિણતિની ચોક્કસ પ્રકારની નિશ્ચિતતા હોય છે, તેને નિયતિ કે ભવિતવ્યતા કહે છે. નિયતિ પહેલેથી જ નિયત હોય છે. જીવના પુરુષાર્થથી તેમાં ફેરફાર થતો નથી. જે હોનહાર છે તે થઈને જ રહે છે. આંબાની ગોઠલીમાં આમ્રવૃક્ષ રૂપે પરિણત થવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org