Book Title: Adarsh Kelavaninu Upnishad
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 32
________________ પોતાની રાષ્ટ્રભાષામાં જ વ્યવહાર કરે છે. તો વિજ્ઞાન ટેક્નૉલોજીના ક્ષેત્રે એ રાષ્ટ્રો આગલી હરોળમાં છે. સમાજે બાળકોમાં રહેલી લર્નિંગ ડિસએબિલિટી-સ્લો લર્નર (ડીસલેક્સિયા) અને હાઈપર એક્ટિવ (બિહેવિયર ડિસઑર્ડર) અતિશય ચંચળતા પ્રત્યે દુર્લક્ષ સેવ્યું છે. સરકારે પ્રાથમિક કક્ષાએ શાળાઓમાં આના સ્ક્રીનિંગ કૅમ્પ, નિદાન શિબિર યોજી, આવાં બાળકોને સ્પેશિયલ સ્કૂલમાં શિક્ષણ આપવાની દરેક જિલ્લાઓમાં સગવડ કરવી જોઈએ. શિક્ષણ સંસ્થાઓનું વ્યાવસાયીકરણ અને વૈશ્વિકીકરણ માટે સરકારે વિવેકયુક્ત નીતિ ઘડવી પડશે, જેથી ગ્લોબલાઇઝેશનના શિક્ષણક્ષેત્રમાં લાભ મળે અને અનિષ્ટોથી દૂર રહેવાય. શિક્ષણચિંતક મોતીભાઈ પટેલ કહે છે કે - “આજનો શિક્ષક ગુરુ બનવાની અને વિદ્યાર્થી શિષ્ય બનવાની હેસિયત જ ખોઈ બેઠો છે. પહેલાં ગુરુને મન અધ્યાપન એ આનંદ હતો. આજે તો એ વ્યવસાય બની ગયો છે. શિક્ષણ સંસ્થાઓ માનવઉછેરના ઉપવન બનવાને બદલે કારખાનાં બની ગઈ છે.’ શિક્ષણમાં અનામત પ્રથાના રાજકારણનાં કડવાં ફળ આપણે આરોગી રહ્યાં છીએ. ઉચ્ચ વહીવટીક્ષેત્રમાં ભ્રષ્ટ અને અનૈતિક અમલદારો આપણને કોણે આપ્યા ? આ એક ચિંતા અને ચિંતનનો વિષય છે. વિદ્યાર્થીઓ અને વાલીઓએ હવે શિક્ષણને સમાજમાં આર્થિક સીડી ચઢવાના સાધન તરીકે નહિ, પણ વ્યક્તિત્વ વિકાસના માધ્યમ તરીકે સ્વીકારવું પડશે. શિક્ષણ એ માનવહક્ક છે. માટે દરેક બાળકને શિક્ષણ મળે એ જોવાની સરકાર અને રાષ્ટ્રના દરેક નાગરિકની ફરજ છે. આ દેશમાં શિક્ષણ અંગે જાગૃતિ લાવવાનું અને શિક્ષકોને સંસ્કારવાનું કામ લોકશિક્ષકો અને સંતો સુપેરે કરી શકે તેમ છે. પૂ. મોરારિબાપુએ પોતાના ગામમાં શિક્ષકસત્ર યોજી પાંચસો શિક્ષકોને પુસ્તકો અને કૅસેટો અર્પણ કર્યાં હતાં. એ કાર્ય વિદ્યાજગતની અપૂર્વ ઘટના ગણાય. જે વિદ્યાગુરુ પાસેથી આપણે વિદ્યા ગ્રહણ કરી પરિવાર અને સમાજમાં સ્થિર થયા પછી આપણે ક્યારેય તેને યાદ કરીએ છીએ ? સૌરાષ્ટ્રના એક ગામડામાંથી ભણી અમે બધાં ભાઈ-બહેનો મુંબઈ આવ્યાં. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતનમાં લઈ અહીં ડૉક્ટર, સી.એ., એન્જિનિયર, એમ.બી.એ. થઈ પોત-પોતાના વ્યવસાય-ઉદ્યોગમાં આદર્શ કેળવણીનું ઉપનિષદ so સેટલ થયા. થોડાં વર્ષો પહેલાં અમને વિચાર આવ્યો કે - ‘આપણે જેની પાસે ભણ્યાં એ શિક્ષક-શિક્ષિકાઓને ગામ જઈ મળીએ.' કેટલાક રિટાયર્ડ થયેલા, કેટલાક બીજે ગામ ગયેલા, પરંતુ ગામની શિક્ષણસંસ્થાઓના સહયોગથી જિલ્લાનાં કુલે ૪૭ શિક્ષક-શિક્ષિકાઓ અગાઉથી આપેલ આમંત્રણ પ્રમાણે અમારે ત્યાં પરિવાર સાથે પધાર્યાં. દેશ-વિદેશમાં વસતા અમારા પરિવારના સભ્યોએ એક દિવસ એ વિદ્યાગુરુવર્યો સાથે ગાળ્યો. ‘ગુરુવંદના’ કાર્યક્રમ હેઠળ સમારંભમાં તેઓ જ્યાં બેઠા હતા ત્યાં જઈ અમે કુમકુમ અક્ષતથી તિલક કરી મા સરસ્વતીની ચાંદીની મુદ્રા પ્રતીકરૂપે અર્પણ કરી, મીઠાઈ અને ઋણ સ્વીકાર સન્માનપત્ર સાથે વંદન કરી સન્માન કર્યું. આજે વર્ષો પહેલાંનો એ દિવસ મારા માટે અવિસ્મરણીય આનંદ પર્વ સમાન છે. બાળકોના જીવનમાં શ્રમ, સ્વાવલંબન, સમૂહજીવનના ખ્યાલો અને પ્રકૃતિનું સાંનિધ્ય મળે તેવી શિક્ષણ સંસ્થાઓના વિકાસની જરૂર છે. નાલંદા, તક્ષશિલા, વિક્રમશિલા અને ગુજરાતના વલ્લભીપુરની સંસ્થાના અવશેષો આજના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઇતિહાસ સાથે બતાવવા જેવા છે. શાંતિનિકેતન, શારદાગ્રામ, લોકભારતી, ઋષિકુળ, નવસારીનું તપોવન, સંસ્કાર તીર્થ, આટકોટનું રૂડા ભગતનું વિદ્યા સંકુલ, અંકલેશ્વરની ગુરુ વિદ્યાલય, સુરેન્દ્રનગરનું સરદાર પટેલ શિક્ષણ સંકુલ અને સુરતનું ગજેરા વિદ્યા સંકુલની શિક્ષણજગતના જિજ્ઞાસુઓએ મુલાકાત લેવી જોઈએ. રાષ્ટ્રપિતા ગાંધીજી, જેના જન્મદિવસને આપણે શિક્ષકદિનરૂપે ઊજવીએ છીએ. તે ડૉ. રાધાકૃષ્ણન્, મહિલા શિક્ષણના પ્રણેતા ધોંડો કેશવ કર્વે, રવીન્દ્રનાથ ટાગોર, મનુભાઈ પંચોળી, જુગતરામ દવે, ગીજુભાઈ, નાનાભાઈ ભટ્ટ, નવલભાઈ શાહથી લઈને સૌરાષ્ટ્રના છેવાડાના ગામ અમરેલીના વિદ્યાગુરુ ઋષિકલ્પ નવલકાંત જોષી જેવા નામી-અનામી અનેક શિક્ષકો અને શિક્ષણજગતના મહાનુભાવો કે જેણે શિક્ષણના પવિત્ર ગંગાજળને દૂષિત થતું અટકાવવાનો સમ્યક્ પુરુષાર્થ કર્યો, જેના કારણે વિદ્યારૂપી દીપકની જ્યોત પ્રજ્વલિત છે અને એ વિદ્યાદીપકમાંથી લાખો દીવા પ્રગટી રહેલ છે એવા પુણ્યશ્લોક પુરુષોની આપણે અભિવંદના કરીએ. (ગુણવંતભાઈ કેટલીય શૈક્ષણિક, ધાર્મિક અને આરોગ્યને લગતી સંસ્થા સાથે સંકળાયેલા છે. તેમના લખેલા અને સંપાદિત ૬૦ પુસ્તકો પ્રગટ થયાં છે. જ્ઞાનસત્રોના આયોજનમાં રસ લે છે.) આદર્શ કેળવણીનું ઉપનિષદ ૧

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93