________________
વૈકલ્પિક શિક્ષણ વ્યવસ્થા ગુલાબભાઈ જાની
પરીક્ષાની મોસમ છલકે છે અને વિદ્યાર્થીઓ હતાશામાં આવી આત્મહત્યા કરી રહ્યાના સમાચાર આવે છે. પરીક્ષામાં ગેરરીતિઓ, પેપર ફૂટી જવાં, પરીક્ષામાં ચોરી કરાવવામાં વાલીઓ તથા અન્યોની સામેલગીરી -
આ બધું સાંભળી દુ:ખ થાય છે. આપણું શિક્ષણ કયા માર્ગે જઈ રહ્યું છે ?
એક તરફથી શિક્ષણની નવી નીતિ ઘડાઈ રહી છે. આ પૂર્વે પણ ઘણાં પંચો રચાયાં છે, તેમની ભલામણોનો આંશિક અમલ થયો છે, પણ શિક્ષણની દશા અને દિશા ઉત્તરોત્તર કેમ બગડતી જાય છે ?
જરૂર છે શિક્ષણપદ્ધતિના આમૂલ પરિવર્તનની. પહેલાં શિક્ષણ પછી પરીક્ષણ હોય. મહત્ત્વ શિક્ષણનું છે, પરંતુ અત્યારે પરીક્ષાનું મહત્ત્વ એટલી હદે વધી ગયું છે કે માબાપ, સરકારીતંત્ર, શિક્ષણવ્યવસ્થા - બધાંનું ધ્યાન અને કેન્દ્ર માત્ર અને માત્ર પરીક્ષા પર છે, તેમાં યેન-કેન પ્રકારે માર્ક્સ - ગુણ મેળવવા પ્રયત્નો થઈ રહ્યા છે. ગુણવત્તાવાળું શિક્ષણ કે ગુણવાન બતાવે તેવું શિક્ષણ હાંસિયામાં ધકેલાઈ રહ્યું છે.
આવી પરિસ્થિતિમાં શું કરીશું ? : મહાત્મા ગાંધીજીના મંત્રી તરીકે ફરજ બજાવનાર મહાદેવ દેસાઈના પુત્ર નારાયણ દેસાઈને આજે આપણે એક વિખ્યાત સમાજસેવક, ચિંતક અને સાહિત્યકાર તરીકે ઓળખીએ છીએ. તેઓ નાના હતા ત્યારે શાળાએ જવાનું શરૂ કર્યું. બે-એક દિવસમાં શાળામાં ગમ્યું નહિ. પિતાને વાત કરી કે - “મારે શાળાએ જવું નથી.’’ પિતાએ કહ્યું : “બાપુને પૂછી જો.’” નાનકડા બાબલાએ ગાંધીજીને પોતાને શાળાએ જવું ગમતું નથી અને હવે શાળાએ નહિ જાય તેમ જણાવ્યું. ગાંધીજીએ ઉત્તરમાં ‘શાબાશ' કહ્યું અને પછી તેનુ શિક્ષણ ગાંધીજીના સાંનિધ્યમાં શરૂ થયું. એ વિદ્યાપીઠમાં જે પામ્યા તેથી તેઓ વિશ્વવિખ્યાત થયા.
બિલ ગેટ્સ, સ્ટિવ જોબ્સ, ઝુકરબર્ગ - આ બધાને ચીલાચાલુ શાળા - મહાશાળામાં ફાવ્યું નહિ, પણ પોતાની મહેનત તથા બુદ્ધિથી વિશ્વને એવું પ્રદાન કર્યું કે આજે સહુ તેમના પ્રત્યે અહોભાવથી જુએ છે.
૧૦૨
// આદર્શ કેળવણીનું ઉપનિષદ
વીસમી સદીમાં પશ્ચિમમાં એક અવાજ ઊઠ્યો : ‘School is dead - Deschooling society’ - એ આંદોલને વેગ પકડચો. દુનિયાભરમાં એના પડઘા પડ્યા.
ઇંગ્લૅન્ડમાં વિખ્યાત શિક્ષણશાસ્ત્રી નીલે ‘સમરહિલ’ નામની શાળા શરૂ કરી. એ. એસ. નીલને વિશ્વના સૌથી મોખરાના ૧૦ કેળવણીકારોમાંના એક ગણવામાં આવે છે.
નીલના મતે વિશ્વના બધા ગુનાઓ, નફરત - બધાં યુદ્ધોનાં મૂળમાં છેવટે નાખુશી છે. આ નાખુશી કેવી રીતે ઉદ્ભવે છે, તે કેવી રીતે મનુષ્યોનાં જીવન બરબાદ કરી નાખે છે અને બાળકોનો ઉછેર કેવી રીતે કરવો જોઈએ, જેથી આ નાખુશી ઉદ્દભવે જ નહિ - આ બાબતો દર્શાવવાનો આ પુસ્તકનો પ્રયત્ન છે.
એરિક ફ્રોમે ‘સમરહિલ' પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યું છે -
અઢારમી સદી દરમિયાન પ્રગતિશીલ વિચારકોએ સ્વતંત્રતા, લોકશાહી અને સ્વશાસનના ખ્યાલો રજૂ કર્યા હતા. ઈ.સ. ૧૯૦૦ના પૂર્વાર્ધમાં આ વિચારો શિક્ષણક્ષેત્રમાં લાભદાયી પુરવાર થયા. આવા સ્વૈચ્છિક નિર્ણયોનો આધારભૂત સિદ્ધાંત હતો - સત્તાને બદલે સ્વતંત્રતા - બાળકોને કોઈ પણ દબાણ વગર અને તેમની જરૂરિયાત અનુસાર, તેમની જિજ્ઞાસાવૃત્તિ પ્રત્યે સમજણ દાખવીને, તેમની આસપાસની દુનિયામાં રસ લેતાં કરવાં. આ પ્રકારના દૃષ્ટિકોણે પ્રગતિશીલ શિક્ષણનો આરંભ કર્યો અને તે માનવવિકાસના ક્ષેત્રમાં એક મહત્ત્વનું પગલું હતું.'
પરંતુ આ નવી પદ્ધતિનાં પરિણામો વારંવાર નિરાશાજનક રહ્યાં. છેલ્લાં થોડાં વર્ષોમાં પ્રગતિશીલ શિક્ષણનો વિરોધ વધતો ગયો. આજે ઘણા લોકો માને છે કે - ‘આ શિક્ષણપદ્ધતિ ભૂલભરેલી છે અને તેને દૂર કરવી જોઈએ.’ શિસ્તપાલન પર વધુ ને વધુ ભાર મુકાય તે માટે જલદ આંદોલન ચાલે છે. બાળકોને શારીરિક શિક્ષા કરવા માટે પરવાનગી મળે તે માટે પબ્લિક સ્કૂલના શિક્ષકોએ ખાસ અભિયાન આદર્યાં છે.
એ. એસ. નીલની પદ્ધતિ બાળકના ઉછેર માટેનો ક્રાન્તિકારી અભિગમ
છે. મારા મત પ્રમાણે તેમનું આ પુસ્તક એટલા માટે બેહદ મહત્ત્વનું છે કે - ‘તે ભયમુક્ત શિક્ષણના સાચા સિદ્ધાંતોનું પ્રતિનિધિત્વ કરે છે.' સમરહિલ શાળામાં સત્તાધીશો કોઈ અર્દશ્ય રીતે બાળકોનું સંચાલન કરતા નથી. આદર્શ કેળવણીનું ઉપનિષદ
૧૦૩