________________
અને મૌલિક અભિવ્યક્તિ થઈ શકે. કહેવાય છે કે જે ભાષામાં સ્વપ્ન આવે
તે જ સ્વભાષા ગણાય. આ નિર્ણયથી દેશની ભાષાઓનો વિકાસ રૂંધાશે. અને આવાં જ વલણોના કારણે કાળાન્તરે આ બધી ભાષાઓનો મૃત્યુઘંટ વાગશે. જાણીતા ભાષાશાસ્ત્રી એન્ડ્રુએ ‘Language and Languages'માં ભવિષ્યવાણી ભાખતાં નોંધ્યું છે કે - એકવીસમી સદીના અંતમાં વિશ્વની ૨૫૦૦ ભાષાઓ મૃતપ્રાયઃ થઈ જશે. યુનિવર્સિટી સ્તરનાં પ્રકાશનો માતૃભાષામાં તૈયાર કરાવી પ્રકાશન કરતી યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ જેવી સંસ્થાઓની લાંબા ગાળે કેટલી પ્રસ્તુતતા બની રહેશે ? યુજીસી - યુનિવર્સિટીઓએ આ નિર્ણય સંદર્ભે પુનઃ વિચારણા કરવી રહી. યુજીસીના કર્ણધારો આ નિયમથી શું નિષ્પન્ન કરવા માંગે છે ? અહીં અંગ્રેજીના વિરોધ કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રસ્થાપિત મહત્ત્વને અવગણવાનો પ્રશ્ન છે જ નહિ. આ નિયમનો ઘણી ખરી યુનિવર્સિટીઓએ અમલ શરૂ કર્યો. તેના પરિણામે અનુવાદ ઇન્ડસ્ટ્રીઝ અસ્તિત્વમાં આવી. અનુવાદ કરનારા પ્રાયઃ વિષયથી પરિચિત ન હોવાથી વિષયને કેટલા અંશે સમજી શકતા હશે તથા
પારિભાષિક શબ્દોના અનુવાદની સમસ્યા, અનુવાદક અને અનુવાદનું સ્તર, સંશોધકે અનુવાદ વાંચવાની - સમજવાની તસ્દી લીધી હશે કે કેમ ? વગેરે પ્રશ્નો ચિંતાનો વિષય છે.
તાજેતરનાં વર્ષોમાં કૉલેજોમાં CBCS ચોઈસ બેઝ ક્રેડિટ સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. ખરા અર્થમાં તેનું હાર્દ જળવાય તે રીતે વૈકલ્પિક વિષયોની પસંદગીને અવકાશ છે ખરો ? અથવા તેવા વિષયો આપવામાં આવે છે ખરા ? જો ‘હા' તો તેવા વિષયો માટે તજૂશ અધ્યાપકોની નિયુક્તિ કરવામાં આવી છે ખરી ? અંદર પ્રવેશીને ડોકિયું કરીએ તો ઘોર નિરાશા સાંપડે તેવું ચિત્ર જોવા મળે છે. સરવાળે દીસે છે ‘નામ રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ.'
ગુણવત્તાપૂર્ણ સંશોધનના આપણે સૌ પક્ષધર છીએ. પરંતુ તેની સામે પર્યાપ્ત માળખાગત સુવિધાઓ પણ જરૂરી બની રહે છે. ગુજરાતની અનુદાનિત કૉલેજો અને યુનિવર્સિટીઓ તરફ નજર ફેરવતાં જાણવા મળે છે કે ઉચ્ચ શિક્ષણની આ સંસ્થાઓમાં જ્યાં સંશોધનની ભૂમિકા તૈયાર કરવામાં આવે છે કે સંશોધનો કરવામાં કે કરાવવામાં આવે છે ત્યાં વર્ષોથી અધ્યાપકો અને ગ્રંથપાલોની ઘણી જગ્યાઓ ખાલી છે. ગ્રંથપાલોની આદર્શ કેળવણીનું ઉપનિષદ
૮૮
તો એક જ પોષ્ટ હોય છે. શિક્ષણ અને સંશોધનમાં ગ્રંથપાલ અને ગ્રંથાલયની અનિવાર્ય આવશ્યકતા બની રહે છે. તેની અનુપસ્થિતિમાં ઉચ્ચ શિક્ષણનાં ધ્યેયોની પ્રાપ્તિમાં ઘણી પ્રતિકૂળતા પેદા થાય. આમ છતાં ગ્રંથપાલોની ભરતીમાં ઉદાસીન વલણ અપનાવવામાં આવી રહ્યું છે. એક અનુભવપૂત બાબત છે કે એક દૃષ્ટિવંત ગ્રંથપાલ ઘણા અધ્યાપકોની ગરજ સારે છે, આમ છતાં ગ્રંથાલયો અને ગ્રંથપાલો પ્રત્યે પ્રાયઃ ઉપેક્ષાવૃત્તિ જ જોવા મળે છે. હાલમાં અધ્યાપકોની કેટલી ઘટ પ્રવર્તે છે તે સંદર્ભે એમ.એસ. યુનિવર્સિટી, વડોદરાના પ્રો. ગોયલ અને પ્રો. ગોયલે ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલયે પાર્લમેન્ટ્રી કમિટી સમક્ષ કરેલી રજૂઆતનો હવાલો ટાંકીને ‘યુનિવર્સિટી ન્યુઝ’ના ડિસેમ્બર ૨, ૨૦૧૨ના અંકમાં તેમના પ્રગટ થયેલા લેખમાં નોંધ્યું છે કે - ૪૨ કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં ૧૬૬૦૨ મંજૂર થયેલ જગ્યાઓ પૈકી ૬૫૪૨ ખાલી, ૧૫ આઈઆઈટીઓમાં ૫૦૯૨ની સામે ૧૬૧૧ ખાલી, ૪ આઈઆઈઆઈ ટીમાં ૨૨૪ની સામે ૧૦૪ ખાલી અને એનઆઈટીમાં ૪૨૯૧ની સામે ૧૪૮૭ ખાલી છે.' ગુજરાતમાં શિક્ષકો - અધ્યાપકો - ગ્રંથપાલોની ઘટ શોધવા જવાની જરૂરત ખરી ? તા. ૪-૮-૨૦૧૩ ‘ગુજરાત સમાચાર'ના અહેવાલના આધારે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિજ્ઞાન વિદ્યાશાખાની ૧૪ કૉલેજોમાં ૧૫૨ અધ્યાપક અને ૧૭૩ બિન-શૈક્ષણિક કર્મચારીઓની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. પર્યાપ્ત સંખ્યામાં અધ્યાપકોના અભાવે અધ્યાપન સંશોધન અને પ્રકાશન પ્રવૃત્તિમાં ભારે ઓટ આવી રહી છે. ગુજરાતનાં પ્રાચ્યવિદ્યાનાં શોધ-સંસ્થાનોમાં અધ્યાપકો અને સંશોધન અધિકારીઓની નિયુક્તિ અટકાવીને પ્રાયઃ મૃતપ્રાય કરી દેવામાં આવ્યાં છે. આપણી યુનિવર્સિટીઓની પ્રકાશન પ્રવૃત્તિ આજે પ્રાયઃ ભૂતકાળ બની ગઈ છે. યુનિવર્સિટીઓને ખરા અર્થમાં ઉચ્ચ અધ્યયન, અધ્યાપન અને સંશોધનનો કેન્દ્રો તરીકે વિકસાવવા માટે આ બધા પ્રશ્નોના ઉકેલને પાયાની અનિવાર્ય આવશ્યકતા ગણવી રહી !
(કેળવણીકાર શ્રી મણિભાઈ પ્રજાપતિ - કડી. સર્વ વિશ્વવિદ્યાલય સાથે સંકળાયેલા છે. સંસ્થાના વૃતપત્રના સંપાદક છે.)
આદર્શ કેળવણીનું ઉપનિષદ
૮૯