Book Title: Agam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Author(s): Lilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શિક્ષાપાઠ—૨૦ :– અહો કલ્યાણકાંક્ષી મુનિવર ! તું ગુરુની સન્મુખ રહેજે, ભૂલ કબૂલી લેજે. સત્ય વાત કરી આલોચના કરજે, તો જલદી શુદ્ધ થવાશે, પરંતુ વચન ખોટું, મન ખોટું અને કાયાની ક્રિયા ખોટી કરી ગુરુવર્યોની છેતરપીંડી નહીં કરતો. તે તને જંગલમાંથી મંગલ માર્ગે જવા નહીં દે અને ગુરુ તને આરોપણ પ્રાયશ્ચિત્ત આપી શુદ્ધ કરશે. ખોટું બોલીશ તો પ્રાયશ્ચિત્ત વધી-વધીને છ માસ સુધીનું થઈ જશે તે પણ લઈને શુદ્ધ થજે, તો તારો બેડો પાર થશે, નહીં તો જંગલમાં જ પાપ શ્રમણ તરીકે જીવન પૂરું થશે, માટે આરોપણ પ્રાયશ્ચિત્તથી બચી જજે. આ છે આપણી મુનિ જીવનની શિક્ષાપોથી હે મુનિવર! મેં તને બે જડીબુટ્ટી આપી છે. તે વીતરાગ અરિહંત પરમાત્માની જ ચારિત્ર ચિકિત્સાલયમાંથી લાવીને આપી છે. આનું ભાવન તને પાર ઉતારશે. રોજ સાવધાન રહેજે. ચારિત્રની સારવાર કરજે. વિરાધનામાંથી બચવા માટે રોજ બંને વખત પ્રતિક્રમણ કરી પાપમાંથી પાછો ફરજે અને આગળ વધીને જંગલ પાર કરીને છેલ્લું દ્વાર આવે તે સંવર દ્વારને ખોલજે એટલે તેમાં તને પ્રવેશ મળી જશે. ત્યાં મંગલ એવો આત્મા બિરાજમાન છે, પંચાચારનો પલંગ છે, તેની ઉપર સમિતિની શય્યા અને ગુપ્તિની મચ્છરદાની છે. સર્વવિરતિની સાથે અનંત સુખમય જીવન વીતાવવાનું છે. કર્મની નિર્જરા કરીને સદા માટે સમતાનો સ્વાદ લેતા, અનંત સુખનો આનંદ લૂંટતા, સ્વમાં રમણતા કરવાની છે. એકાંત આત્મા સાથે વીતરાગતાની સુરતા ખેલવાની છે. તો આવી જાઓ મુનિવર સ્વ સ્વરૂપમાં સમાઈ જાઓ. તેમાં જ કેલી કરો તમારા ઉત્કૃષ્ટ તપ, જપ, યમ, નિયમ બધા તેમાં જ સમાવી દ્યો. આ છે આપણી નિશીથ અધ્યાત્મ ગીતાની શિક્ષાપોથી. તેને રોજ વાંચી હર્ષપૂર્વક આચરણ સુધારી સદાચારના પુષ્પોને પુષ્પિત કરી, ઉર્મિલ ભાવે સ્વને માણો પર થી પર થાઓ. વીરતાપૂર્વક સ્થિરતા કેવળો. વિનીત થઈ સમવાયમાં સમાઈ જાઓ, ભગવાન બનવા ભગવતી પરાયણ બની સદ્ગુણની આરતી રોજ સવાર-સાંજ આલોચનાથી ઉતારો. જ્ઞાતા દષ્ટા થઈ મનને સુમન બનાવો, વાસનાને ઉપાસનામાં વાળી ઉરમાં વસી જાઓ, કર્મનો અંત કરવા જંગી પુરુષાર્થ ઉપાડો કારણ કે આપણા ભારત ક્ષેત્રમાં તીર્થંકર નથી તેમની વાણીથી જ પાર ઉતરવાનું છે. અનુત્તર એવી કરણી કરવા સન્મતિ કેળવો. આત્માના પ્રશ્ન આત્મામાં જ કરો, સુનીત બનીને કરો જેથી વિવેકનું વ્યાકરણ જાગે, જડ ચેતન જુદા પડે તેવો પુરુષાર્થ ઉપાડો, સુખ દુઃખના વિપાકને સહન કરી, પ્રતિક્રિયા કર્યા વિના ખપાવી દો તો આનંદની ઉષા ઉદય પામે. જન્મમરણની ઉત્પત્તિ હંમેશાં ટાળો. કલ્પનામાંથી બહાર આવો કુદરતી તત્ત્વો જે છે તેને જ ભજો. તમે આસ્તિક બનો, નાસ્તિકતાનો સુમેળ કરો. અપેક્ષા છોડી સાપેક્ષવાદમાં ચિત્ત જોડો તો જ્ઞાનનું બિન્દુ સિન્ધુ બની જશે ત્યારે રૂપલ ઘંટડી અનંત આનંદની વાગશે. પુનિત બનશો તો ત્રિલોકી બની જવાશેને જીવાજીવાભિગમને સંપૂર્ણ
46