Book Title: Agam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Author(s): Lilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
કરી દેશે અને કુતૂહલી બનાવી ત્રસ પ્રાણીઓની રમત ગમ્મતમાં, માળાઓ અને ફૂમતાઓ કરવા, આભૂષણો, વસ્ત્રાદિ બનાવવા, પહેરાવવા, વેશભૂષામાં લઈ જશે. સાધુ-સાધ્વીજી શરીરનું પરિકર્મ ગૃહસ્થ પાસે કરાવે, સમાન આચારવાળાને રહેવા સ્થાન ન આપે, આધાકર્મી આહાર લેવાની ભાવના કરાવે, ગાવું, વગાડવું, હસવું, નૃત્ય કરવું, હાથી, ઘોડા, સિંહ આદિ જાનવર જેવા અવાજ કરવા વગેરેમાં લઈ જઈને તારી ચારિત્રની વાટ રૂંધી દેશે, તો તે સાધક ! તારી ઇન્દ્રિયનો નિગ્રહ કરજે અને કદાચ ન જ કરી શકે. અપવાદમાં આવી જા ત્યારે જલદી સાવધાન થઈ પેલી તપશ્ચરણની જડીબુટ્ટીનું પાન કરી લેજે. એક આયંબિલથી લઈને ૧૦૮ દિવસ સેવન કરીશ તો કુતૂહલ વૃત્તિનો રોગ નષ્ટ થશે અને તું ચારિત્રની વાટે અગ્રેસર થઈને વિચારી શકીશ. શિક્ષાપાઠ-૧૮ :- હે આરાધનાના અભિલાષી મુનિવર ! આપ તો પાદવિહારી અહિંસાના આરાધક છો, ચારિત્ર વાટે નીકળતા મધ્યમાર્ગમાં નદી મોટી આવે, ત્યારે પ્રયોજન વિના ત્યાં નૌકા વિહાર કે વાહન વિહાર ભૂલેચૂકે નહીં કરતાં અને કદાચ ઉત્સર્ગ માર્ગથી નીચે લઈ જનારા રતિ મોહનો પુત્ર મોજશોખકુમાર તમારા હૃદયમાં બેસી ચિત્તભ્રમ કરાવી વાહનવિહાર, નૌકાવિહાર ભાડે કરાવે, કીચડમાં ફેરવે, પાણી કઢાવે, વગેરે પાપ કરાવશે તો તમે ત્યાં નીચે ઉતરી ન જતા. હે મુનિવર ! તમારી સંયમ જડીબુટ્ટીને જાળવજો. કદાચ ન જ રહેવાયને આ ૭૩ બોલના કોઈ સ્થાને ફસાય જવાય તો ઉપરોક્ત લઘુચૌમાસી પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરી શુદ્ધ થજો. શિક્ષાપાઠ-૧૯:- અહો મહાત્યાગી મુનિવર ! આપનું નિર્દોષ જીવન કર્મના ઉદયને ક્ષય કરવા કટિબદ્ધ થયેલું જીવન નિરોગી કાયાથી કસ કાઢી સંયમ અને તપોપૂત સાધનાથી જંગલના કર્મવૃક્ષને મૂળમાંથી ઉખેડી જંગલમાંથી મંગલ શોધવા ચારિત્ર વાટે વિચરી રહેલા એવા અને કદાચ રાગના રોગ ઘેરી વળે ત્યારે ઔષધ લેવું પડે તો નિર્દોષ લાવવું જોઈએ પરંતુ સદોષ ઔષધ જેમ કે ખરીદીને લાવવું, ખાંડવું, પીસવું, ભીંજવવું, ચાળવું, વિહારમાં રાખવું વગેરેની ક્રિયા તમને પ્રમાદમાં લઈ જશે. જડની જંજાળ કરાવી જંગલ પાર કરવા નહીં દે. સ્વાધ્યાય, જ્ઞાન, ધ્યાનમાં કાળાકાળનું ભાન નહીં રહેવા દે. વિનય વિવેક વ્યવહાર માર્ગમાં, આચાર્ય, ઉપાધ્યાયની વાંચના લેવામાં આળસ, મિથ્યાત્વી ગૃહસ્થી પાસે વાંચના લેવી ઇત્યાદિ ૩૫ બોલથી ચારિત્રમાં શિથિલતા આવી ન જાય તે ધ્યાનમાં લેજે અને કદાચ પ્રમાદી બની અપવાદમાં આવી જા ત્યારે તપશ્ચરણની જડીબુટ્ટીનો ઉપયોગ એક આયંબિલથી લઈને ૧૦૮ ઉપવાસ સુધી કરજે. સ્વસ્થ બની જંગલને પાર કરજે.તે પાર કરવા અપાર ઉપાયો પ્રભુએ દર્શાવ્યા છે તેમાં પાછો સ્થિર બનજે.
45