________________
46.
રથનેમિનો પ્રભાવ
વિવાહના બદલે વરસી જેવો વિષાદ બધે છવાઈ ગયો ! નેમકુમારે જાન શું પાછી વાળી હતી, જાણે કન્યાપક્ષના જીવનરસને ખેંચી લીધો હતો. જ્યાં આનંદની છોળો ઊડવાની હતી, ત્યાં આંસુના ઓઘ ઊભરાયા હતા.
કોડભરી રાજ્યશ્રી વારે વારે મૂચ્છમાં પડી જતી હતી, અને એની માતાની વેદના અને ચિંતાનો તો કોઈ પાર ન હતો. કાળજાની કોર જેવી દીકરીનું આ શું થવા બેઠું હતું ? સખીઓ અને પરિચારિકાઓ સૂનમૂન બની ગઈ હતી. જાણે આભમાંથી વીજળી ત્રાટકી હતી.
બધું વાતાવરણ ભારે બોજ વાળું બની ગયું હતું અને કોને શું કહેવું કે શું કરવું એ સમજાતું ન હતું.
આવે વખતે એક તરવરિયો નવજુવાન રાણીજી પાસે પહોંચી ગયો. એણે મમતાપૂર્વક કહ્યું, ‘રાણીજી ! તમે આમ હતાશ બની બેસો એ કેમ ચાલે ? સંકટ વખતે જ ધીરજની કસોટી થાય છે. અને એટલું સારું થયું કે વાત વધુ વણસે તે પહેલાં જ એનો નિકાલ આવી ગયો છે. અને આમાં વિષાદ જેવું છે પણ શું?”
આ કોણ બોલી રહ્યું છે ?' રાણીએ પૂછયું. ‘એ તો હું રથનેમિ-જેમકુમારનો નાનો ભાઈ !'
આવો, આવો !” ડૂબતો માણસ તરણું પકડે એમ રાણીએ રથનેમિને આવકાર આપ્યો. કદાચ એ કંઈક ઉપાય લઈને આવ્યો હોય.
‘બધાય માણસ કંઈ એકસરખા નથી હોતા. કોઈ ભૂલ કરે તો કોઈ ભૂલને સુધારવા પ્રયત્ન કરે.’ રથનેમિ જાણે આત્મીય જન બનીને વાત કરતો હતો.
‘અમે તમારું કહેવું ન સમજ્યાં.' રાણીએ કહ્યું. ‘સમજવાનું સહેલું છે. હું મારા ભાઈના ગુનાનું પ્રાયશ્ચિત્ત કરવા આવ્યો છું!”
એટલે શું તમે મારી દીકરી રાજ્યશ્રીનો...'
અડધું વાક્ય પૂરું કરતો રથનેમિ બોલ્યો, “આપ વડીલોની અનુજ્ઞા હશે તો હું સુશીલા રાજ્યશ્રીનો ઉદ્ધાર કરીશ. મારા ભાઈની ભૂલ માટે હું શરમાઈ રહ્યો છું. એણે આવું નહોતું કરવું !'
‘તમે...તમે..મારો ઉદ્ધાર કરશો ?’ આમ બોલતી રાજ્યશ્રી એક વાર ભાનમાં આવી અને ફરી બેહોશ બની ગઈ.
રથનેમિ ફક્કડ યુવાન હતો. એના ઘુઘરાલા બાલ, લાંબા બાહુ, વિશાળ વક્ષસ્થળ, સોહામણો ચહેરો અને તેજ ભરી કીકીઓ સહુ કોઈને આકર્ષણ કરતી હતી.
એની ગોદમાં આંખોથી આંખો મિલાવી પડ્યા રહેવું કોઈ પણ સુંદરીને ગમે તેવું હતું. એના મધપ જેવાં ઓષ્ઠના મધુ પાછળ ભલભલી સુંદરી પાગલ થાય તેમ હતી ! એની સુમધુર વાણીના ઇસુરસનું પાન કરવા અનેક યાદવ સુંદરીઓના હૈયાં તૃષાતુર રહ્યાં હતાં !
એ જમાનો બંસીની ઘેલછાનો હતો. શ્રીકૃષ્ણની બંસીએ સૌને કામણ કર્યું હતું, પણ રાજ કાજની ભૂતાવળોએ બંસીને અને શ્રીકૃષ્ણના હોઠને હજારો માઈલ અંતર પાડી નાખ્યું હતું.
રથનેમિ પણ બંસીવાદનમાં નિપુણ હતો. એનો બંસીનાદ ભલે શ્રીકૃષ્ણના જેટલો અદ્દભુત ન હોય છતાં એની બંસીના સૂર ગજબ હતા.
રથનેમિ મનચલો માનવી હતો. કોઈ વાર સાગરનાં ઊછળતાં મોજાંઓ પર, નાનીશી નૈયા પર બેસીને એ દૂર દૂર ચાલ્યો જતો. આકાશમાં પૂનમનો ચાંદ ખીલતો, ધરતી પર દરિયાના તરંગો ખેલતા; ને રથનેમિની બંસીના સૂરો રેલાવા લાગતી.
સોનાનો રસ જેમ પિત્તળને સુવર્ણમય બનાવી દે એમ રથનેમિનો બંસીનાદ આખી વાતાવરણને માધુર્ય અર્પી દેતો.
રથનેમિ સંગીત, કલા ને સૌંદર્યનો આત્મા હતો. એ જ્યારે આખી રાત બંસી છેડીને પાછો ફરતો, ત્યારે દરિયાનાં મીન તેની નૌકા પાછળ ખેંચાઈ આવતાં ને દરિયાકાંઠે બેઠેલી મીનાક્ષીઓ પોતાના જીવંત મોક્ષ સમા રથનેમિને ભેટવા ધસતી.
એ નારીઓ એ વખતે ખોવાઈ ગયેલી લાગતી. રથનેમિ સામે કંકુ ને કેસરમાંથી બનેલી પોતાની કાયાને અર્પણ કરતી અને કહેતી, “અમારા કોઈ પણ અંગને સ્પર્શ કર, રથનેમિ ! અમારો મોક્ષ એમાં છે.'
પણ રથનેમિને સ્ત્રીઓ તરફ ઝાઝું આકર્ષણ ન હતું. આવી ગમે તેવી સ્ત્રીને સ્પર્શવું એના રસમસ્ત આત્માને હીનતા જેવું લાગતું. એ માનતો કે બાહ્ય ઉપાદાનથી
રથનેમિનો પ્રભાવ D 341