________________
૪
લા
૪૨ વિજ્ઞાન અને જૈન ધર્મ
જ સોતોની સમાપ્તિથી પણ ચિંતિત છે. પાણીનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે. એવી આશંકા છે કે એક દિવસ પીવાનું પાણી દુર્લભ બની જશે. જંગલો ને વૃક્ષોનું આડેધડ નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. તેનાં પરિણામો અનેક પ્રદેશો અત્યારે ભોગવી રહ્યા છે. વરસાદની ઊણપનું બહુ મોટું કારણ વૃક્ષોનું નિકંદન માનવામાં આવી રહ્યું છે.
ઇચ્છા અને ભોગ, સુખવાદી અને સુવિધાવાદી દૃષ્ટિકોણે હિંસા ભડકાવી છે અને સાથોસાથ પર્યાવરણનું સંતુલન પણ છિન્નભિન્ન કર્યું છે. અહિંસાનો સિદ્ધાંત આત્મશુદ્ધિ છે તો સાથેસાથે તે પર્યાવરણશુદ્ધિનો પણ છે. પદાર્થ સીમિત છે, ઉપભોક્તા અધિક છે અને ઇચ્છા અસીમ છે. અહિંસાનો સિદ્ધાંત છે ઇચ્છાનો સંયમ કરો, તેમાં કાપકૂપ કરો. જે ઇચ્છા પેદા થાય તેને તે જ સ્વરૂપે સ્વીકારી ન લેવી, પરંતુ તેનું શુદ્ધિકરણ કરવું જોઈએ. આજના વૈજ્ઞાનિકો ને ઉદ્યોગપતિઓ માનવી સમક્ષ સુવિધાનાં વધુ ને વધુ સાધનો રજૂ કરવા ઇરછે છે, જે અગાઉ ક્યારેય નથી બન્યા તેવા પદાર્થો ઇચ્છે છે. એક તરફ લોકોનો સુવિધાવાદી દૃષ્ટિકોણ બની ગયો છે, બીજી તરફ સુવિધાનાં સાધનોના નિર્માણની હોડ શરૂ થઈ ગઈ છે. જીવનની અનિવાર્ય આવશ્યકતાઓ કંઈક ગૌણ બની ગઈ છે, સુવિધાનાં સાધનો અને પ્રસાધન સામગ્રી વગેરે મુખ્ય બની ગયાં છે. આવી સ્થિતિમાં અનાવશ્યક હિંસા વધી છે અને સાથોસાથ પર્યાવરણનું સંતુલન પણ બગડયું છે.
આજે પર્યાવરણના પ્રદૂષણનો કોલાહલ જોરશોરથી સાંભળવા મળે છે, પરંતુ આ પ્રદૂષણ દૂર થાય કઈ રીતે ? સુવિધાવાદી આંકાક્ષાની આગ ભભૂકતી રહે અને પ્રદૂષણનો ધુમાડો ન નીકળે એ કઈ રીતે શક્ય બને ? અહિંસાના સિદ્ધાંતની ઉપેક્ષા કરીને પર્યાવરણ-પ્રદૂષણની સમસ્યાને ન જ ઉકેલી શકાય. શ્રમણ સંસ્કૃતિએ ઉપભોગ નહીં પણ ઉપયોગની સંસ્કૃતિના આચરણ પર ભાર મૂક્યો છે જેથી કુદરતી સંપત્તિનો બેફામ દુર્વ્યય અટકશે.
વીતરાગી પ્રભુ મહાવીરે પ્રરૂપેલ માર્ગનું આચરણ પર્યાવરણ સંતુલન માટે જરૂર સહાયક થઈ શકે.
યોગસાધના અને જૈન ધર્મ
- જિતેન્દ્ર મ. કામદાર યોગવિદ્યા એ માનવજાતિના ઉત્કર્ષ માટે ભારતના ઋષિમુનિઓ તરફથી મળેલી અણમોલ ભેટ છે. એક એવી જીવનપ્રણાલી છે કે સામાન્યમાં સામાન્ય માનવી તે માર્ગે ચાલી પોતાના જીવનનો વિકાસ કરી શકે છે. મહાન ઋષિમુનિઓ, પૂર્વોચાર્યો, યોગીઓ પોતાના જ જીવનને પ્રયોગશાળા બનાવી જીવન પર્યત સાધનામાં રત રહેતા હતા. સાધનાની રીતો અને રહસ્યો, તેની ફળશ્રુતિ અને અનુભવના નિચોડરૂપે અનેક ગ્રંથોની રચના કરી તેઓએ યોગવિદ્યાને વહેતા ઝરણાના નિર્મળ નીરની જેમ વહેતી કરી છે.
જૈન ધર્મમાં આરાધકને પોતાના આત્માની ઉન્નતિ માટે, રાગ-દ્વેષ અને અન્ય દોષોથી મુક્ત થવા માટે, જન્મ-જન્માંતરથી આત્મા પર લાગેલા કર્મોનો ક્ષય કરી આત્માને નિર્મળ અને મોક્ષમાર્ગે લઈ જવા માટે કરવાની સાધનાના ઘણાં માર્ગો, વિધિવિધાનો, કર્તવ્યો વગેરે કરતાં રહેવાનું માર્ગદર્શન આપ્યું છે.
પરંતુ આ બધાં ધર્મકરણી, ક્રિયાઓ માત્ર ગતાનુગતિકતાથી, બીજા કોઈની નકલ કરવાથી કે કૂળપરંપરાથી મળેલા જૈન સંસ્કારોને આધીન કરતા રહેવાથી જોઈતું ફળ પ્રાપ્ત થતું નથી. માત્ર એક સંતોષ મળે કે, મેં આટલો સ્વાધ્યાય કર્યો, સંખ્યાબંધ સામાયિક, પ્રતિક્રમણ કર્યા, ઉપવાસ, આયંબિલ તો અગણિત કર્યા વગેરવગેરે, પરંતુ એટલા માત્રથી આપણો આત્મા રાગ-દ્વેષથી મુક્ત, નિર્મળ, પવિત્ર કેટલો થયો એ કેવી રીતે જાણી શકાય ?
આ રીતે કોઈ પણ પ્રકારની ધર્મકરણી, ઉત્સવો, ઉજવણીઓ, તપશ્ચર્યા, મંત્રજાપ, સામાયિક-પ્રતિક્રમણ એકાંતમાં કે સમૂહમાં કયા બાદ, શરીરની ટેવો ન બદલાય, વાણીના દોષો દૂર ન થાય, ઇન્દ્રિયોની ચંચળતા અને બહિર્મુખતા ન ઘટે અને મન એકાગ્ર, શાંત અને નિર્વિકલ્પ ન બને તો ખરેખર ગંભીરતાપૂર્વક વિચારવું કે ભૂલ ક્યાં થઈ છે ? રાગ-દ્વેષ, મોહના સંસ્કારો ન ઘટયા, કામ, ક્રોધ, વાસનાના વિકારોનું શમન ન થયું. ઇચ્છાઓ, અપેક્ષાઓમાં કંઈ પણ ઘટાડો ન થયો, પરિગ્રહ ઘટયો નહીં તો પછી આટઆટલું કર્યાનો અર્થ શો ?