________________
ઓ મૂઢબુદ્ધિ ! પહેલા તારી જાતને ઓળખી લે. ચારિત્રના ઐશ્વર્યથી તું સંપન્ન છે. અનંત પુણ્યનું તું ભાજન છે. તું ત્રણ લોકના ઉત્કૃષ્ટ સ્થાને બિરાજમાન છે. હાય, પોતાની જાતથી જ અજાણ્યો બનીને અજ્ઞાનથી પોતાને ભિખારી માનીને, જેઓ વાસ્તવિક રીતે ભિખારી છે, એવા શ્રીમંતોના તું પગ શા માટે ચાટે છે ?
અરે, શ્રીમંતો તો કેટલું દયનીય જીવન જીવે છે. ભૂખ લગાડવા ય તેમને ગોળી લેવી પડે છે, ભોજન પચાવવા ય ગોળી... લેટ્રિન જવા માટે ય ગોળી.... અરે, સૂવા માટે ય ગોળી, અડધી રાતે ય તેઓ જંપીને સૂઈ શકતા નથી. સકારણ કે નિષ્કારણ ચિંતાઓ તેમને સતાવતી જ રહે છે. જે સુખ જાનવરો પાસે પણ છે, તે ભોજન અને ઊંઘનું સુખ પણ તેમના નસીબમાં નથી. મહારંભ અને મહાપરિગ્રહના મેનેજમેન્ટમાં જેમનો આલોક ખલાસ થઈ ગયો છે, અને તેના જ પાપે જેમનો પરલોક પણ ભડકે બળવાનો છે, એવા શ્રીમંતો તારી સામે શું વિસાતમાં ?
प्रशान्तस्य निरीहस्य सदानन्दस्य योगिनः । इन्द्रादयोऽपि ते रङ्कप्रायाः स्युः किमुतापराः ? | (યોગસાર-૧૪૧) જે પ્રશાંત અને નિસ્પૃહ છે, સદાનંદી છે, એવા યોગીની સામે તો ઇન્દ્ર વગેરે પણ રંક સમાન છે, તો બીજાની તો શું વાત કરવી ?
આમ છતાં ય તું શ્રીમંતાદિને આકર્ષવા માટે સંયમની ભૂમિકાથી નીચે ઉતરી જતો હોય, તને ઇષ્ટ જીવન જીવવા માટે જિનાજ્ઞાને અભરાઈએ ચડાવી દેતો હોય, તો કદાચ સાધુવેષના કારણે આ લોકમાં તારી આજીવિકા તો થઈ જશે, તારો રોટલો મળી જશે, પણ પરલોકમાં તારે ભયંકર દુર્ગતિમાં જવું પડશે. તું ગમે તેટલા ધમપછાડા કરે, તારા ભયાનક ભાવિને તું ભૂંસી નહીં શકે.
( ૧૪૩ )